RSS નથી કહેતું અમે દક્ષિણપંથી છીએ, અમારા અમુક વિચારો વામપંથીઓ સમાનઃ દત્તાત્રેય હોસબલે

- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ બાદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સંઘર્ષની વાત ધૂમિલ થઈ ગઈઃ હોસબલે
નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર, 2021, શનિવાર
આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું કે, સંઘમાં દક્ષિણ અને વામપંથી બંને વિચારો માટે જગ્યા છે કારણ કે, તે માનવીય અનુભવ છે. દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે, હું સંઘમાં છું, અમે અમારી પ્રશિક્ષણ શાખાઓમાં એમ નથી કહ્યું કે આપણે દક્ષિણપંથી છીએ. અમારા અનેક વિચારો વામપંથી વિચારધારાની સમાન છે. કેટલાક નિશ્ચિતરૂપથી તથાકથિત દક્ષિણપંથી વિચાર છે.
આરએસએસ નેતા દત્તાત્રેય હોસબલે દિલ્હીમાં આરએસએસ નેતા રામ માધવ દ્વારા લિખિત પુસ્તક 'ધ હિંદુત્વ પેરાડિગ્મ'ના વિમોચન પ્રસંગે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે અમારી શાખાઓમાં કદી નથી કહેતા કે આપણે દક્ષિણપંથી છીએ. સંઘમાં દક્ષિણ અને વામપંથી બંને વિચારોની જગ્યા છે. આ માનવીય અનુભવ છે.
હોસબલેએ કહ્યું કે, ભારતીય પરંપરામાં કોઈ પૂર્ણવિરામ નથી. ભારતની વર્તમાન ભૂ-રાજનીતિ માટે લેફ્ટ અને રાઈટ બંને વિચારધારાઓ જરૂરી છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ સંપૂર્ણપણે પશ્ચિમ નથી અને પૂર્વ સંપૂર્ણપણે પૂર્વ નથી. એજ રીતે વામપંથી સંપૂર્ણપણે વામપંથી નથી અને દક્ષિણપંથી સંપૂર્ણપણે દક્ષિણપંથી નથી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ બાદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સંઘર્ષની વાત ધૂમિલ થઈ ગઈ છે.
હોસબલેએ કહ્યું કે, દુનિયા લેફ્ટની તરફ ગઈ હતી અથવા લેફ્ટમાં જવા મજબૂર કરવામાં આવી હતી અને હવે સ્થિતિ એવી છે કે, દુનિયા દક્ષિણપંથ તરફ વધી રહી છે. મતલબ કે તે હવે કેન્દ્રમાં છે. આ જ હિંદુત્વ છે. ના તો વામપંથી અને ના દક્ષિણપંથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CbBJ0I
via IFTTT
ટિપ્પણીઓ નથી: