બ્રિટનમાં કોરોનાની પાંચમી લહેર, ચીનની જેમ આંકડા જાહેર નહીં કરે


- બ્રિટનમાં પણ કોરોના વકર્યો, ચીન જેવી સ્થિતિ સર્જાવાનો ભય

- બ્રિટનમાં ગયા સપ્તાહે કોરોનાના 40,000 કેસ, 283નાં મોત નોંધાયા : 6 જાન્યુ.એ અંતિમ વખત આંકડા જાહેર કરાશે

- બ્રિટનમાં લોકો કોરોના સાથે જીવતા શીખી ગયા, હવે મહામારી નહીં ગણે

- કોરોનાનો નવો વેરિઅન્ટ આવશે તો આંકડાઓની ફરી સમીક્ષા કરાશે 

લંડન : ચીનમાં કોરોનાના કેર વચ્ચે દુનિયાભરમાં ફરી એક વખત લોકો મહામારીથી ગભરાઈ રહ્યા છે. ચીનની જેમ બ્રિટનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને પાંચમી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સરકારે કહ્યું છે કે તે નવા વર્ષથી કોરોનાના કેસના આંકડા નિયમિત જાહેર કરવાનું બંધ કરી દેશે. બ્રિટને પણ કોરોનાના આંકડાની બાબતમાં ચીનનું અનુસરણ કર્યું છે. ચીનમાં પણ કોરોનાના દૈનિક કેસ લાખોમાં પહોંચતા જિનપિંગ તંત્રે આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર નહીં કરવાનું કારણ જણાવતા કહ્યું કે કોરોના રસી અને દવાઓની મદદથી દેશ એવી સ્થિતિમાં પહોંચી ગયો છે, જ્યાં તે આ વાઈરસ સાથે જીવવાનું શીખી ગયો છે. એવામાં હવે કોરાનાના આંકડા જાહેર કરવાની કોઈ જરૂર જણાતી નથી. જોકે, બ્રિટન હેલ્થ સિક્યોરિટી એજન્સીનું કહેવું છે કે બ્રિટન સિઝનલ ફ્લૂ જેવી અન્ય બીમારીઓની જેમ કોરોનાની સ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. આ વર્ષે એપ્રિલ મહિનાથી કોરોનાનો રિપ્રોડક્ટિવ રેટ એટલે કે જે ઝડપથી કોરોના લોકોને સંક્રમિત કરી રહ્યો છે, તેના આંકડા દર બે સપ્તાહે પ્રકાશિત થતા રહે છે.

યુકેએચએસએ એપેડિયોમોલોજી મોડેલિંગ રિવ્યૂ ગૂ્રપ (ઈએમઆરજી)ના ચેરમેન ડૉ. નિક વોટકિન્સનું કહેવું છે કે કોરોના દરમિયાન 'આર વેલ્યુ' અને ગ્રોથ રેટથી જ સૌથી સરળ સૂચકાંક રહ્યા છે. હકીકતમાં આર વેલ્યુ એ માપદંડ છે, જેના મારફત કોરોના ટ્રાન્સમિશનની ઝડપનો ખ્યાલ આવે છે.

તેમણે કહ્યું કે, રસી શોધાઈ તે પહેલાંથી આપણે એક એવા તબક્કામાં પહોંચી ગયા છીએ, જ્યાં આપણે કોરોનાની સાથે જીવવાનું શીખી ગયા છીએ. તેમ છતાં અમે તેના પર ચાંપતી નજર રાખી છે. પરંતુ કોરોનાના મોડેલિંગ ડેટા જાહેર કરતા રહેવાનું હવે અમને જરૂરી નથી લાગતું. તેમણે કહ્યું કે અમે કોવિડ-૧૯ને હવે અન્ય બીમારીઓની જેમ જ ગણીશું અને તેના પર એ જ રીતે નજર રાખીશું. બધા જ ડેટાની સમીક્ષા કરવામાં આવે છે અને આ મોડલિંગ ડેટા જરૂર પડતા ફરીથી રજૂ કરી શકાશે. ઉદાહરણરૂપે, કોરોનાનો કોઈ નવો વેરિઅન્ટ સામે આવશે તો તે ફરીથી રજૂ કરી શકાશે.

ઈએમઆરજીનું કહેવું છે કે તાજેતરમાં જ વિસ્તૃત સમીક્ષામાં નિર્ણય કરાયો હતો કે કોરોનાના આગામી આંકડા છ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જાહેર કરાશે, જે અંતિમ હશે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કહ્યું છે કે કોરોના અને ફ્લૂના કેસ હજુ પણ બ્રિટનમાં વધી રહ્યા છે. જાન્યુઆરીમાં તે પીક પર રહેવાની આશંકા છે. જોકે, ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળશે. આ વર્ષની શરૂઆતથી જ કોરોના અંગેના બધા જ પ્રતિબંધો હટાવી દેવાયા હતા, જેમાં કોરોનાના લક્ષણ મળી આવતા સેલ્ફ-આઈસોલેશનના નિયમનો પણ સમાવેશ થાય છે. શિયાળામાં કોરોનાના કેસ વધાવની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય વિભાગે શ્વાસ સંબંધી તકલીફ હોય અથવા જેમનામાં કોઈ પ્રકારે કોરોનાના લક્ષણ હોય એવા લોકોને જાહેર તહેવારોથી દૂર રહેવા સૂચન કર્યું હતું.

બ્રિટનમાં ૧૭થી ૨૩ ડિસેમ્બર વચ્ચે એક સપ્તાહમાં અંદાજે ૪૦,૦૦૦ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૨૮૩ લોકોના મોત થયા છે. જોકે, ૨૨થી ૨૩ ડિસેમ્બરે એક પણ મોત થયા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ બ્રિટનનો સમાવેશ એવા ૧૫ દેશોમાં થાય છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dThc9vZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: