અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ થયું તો અમે પોતાની સરહદ બંધ કરી દઈશુંઃ કુરૈશી


- પાકિસ્તાન દેશમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખશે અને તેના લોકશાહીથી ચૂંટાયેલા નેતૃત્વનું સ્વાગત કરતું રહેશે

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે જણાવ્યું કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા સર્જાઈ શકે છે. જો અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ગયું તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે. 

કુરૈશીએ જણાવ્યું કે, પાકિસ્તાન પહેલેથી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરણ આપી ચુક્યું છે પરંતુ હવે તે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે. કુરૈશીએ મધ્ય મુલ્તાન શહેર ખાતે આયોજિત સંમેલનમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. 

કુરૈશીએ કહ્યું હતું કે, અમે વધુ શરણાર્થીઓ ન લઈ શકીએ, અમે અમારી સરહદ બંધ કરી દઈશું. અમારે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની છે. વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન દેશમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખશે અને તેના લોકશાહીથી ચૂંટાયેલા નેતૃત્વનું સ્વાગત કરતું રહેશે. 

1989ના વર્ષમાં તત્કાલીન સોવિયત સંઘની વાપસી બાદ મુજાહિદીન સમૂહો વચ્ચે છેડાયેલી આંતરિક લડાઈના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ ભાગીને પાકિસ્તાન આવ્યા હતા. અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા હુમલા બાદ અમેરિકા નીત ગઠબંધને તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાંથી ઉખાડી ફેંક્યુ હતું. 

છેલ્લા કેટલાક સપ્તાહથી તાલિબાની યોદ્ધાઓએ દક્ષિણી અને ઉત્તરી અફઘાનિસ્તાનના વિભિન્ન જિલ્લાો પર કબજો જમાવેલો છે. સાથે જ તેઓ સરકારી સુરક્ષા દળોને સમર્પણ કરાવવા તથા તેમના હથિયાર અને સૈન્ય વાહનોને જપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3di5djm
via IFTTT

ટિપ્પણીઓ નથી: