કોવિશીલ્ડને વેક્સિન પાસપોર્ટની માન્યતા નહીં, આ વેક્સિન લેનારાઓ નહીં જઈ શકે યુરોપ


-  હજુ અનેક દેશોએ કોવિશીલ્ડને પોતાના ત્યાં મંજૂરી નથી આપી

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ વેક્સિનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલ મોટા ભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક સમાચારના કારણે વિદેશ જવાની તૈયારી કરતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે. 

હકીકતે હજુ અનેક દેશોએ કોવિશીલ્ડને પોતાના ત્યાં મંજૂરી નથી આપી. આ કારણે કોવિશીલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીય સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપીય સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીય લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે. 

વેક્સિન પાસપોર્ટ એ વાતના પ્રમાણ તરીકે કામ કરશે કે કોઈ વ્યક્તિને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન લગાવાઈ છે. યુરોપીય સંઘે અગાઉ એમ કહ્યું હતું કે, સદસ્ય દેશોએ કોવિડ-19 વેક્સિનના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણપત્ર જાહેર કરવા જોઈએ. પરંતુ 'ગ્રીન પાસ'ની ટેક્નિકલ વિશિષ્ટતાઓ પાસેથી સંકેત મળી રહ્યો છે કે, તે ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dk6t5u
via IFTTT

ટિપ્પણીઓ નથી: