કોરોના વેક્સિન મેળવવામાં મુશ્કેલીના કારણે બદલવામાં આવી ખરીદ નીતિઃ SCમાં કેન્દ્રનું સોગંદનામુ


- કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, નવી વેક્સિનેશન નીતિમાં 'વાઉચર'ની જોગવાઈનો પણ સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા કોરોનાના સંકટ વચ્ચે ભારત સરકારની વેક્સિન ખરીદ નીતિની ભારે ટીકા કરી હતી. આ બધા વચ્ચે શનિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરીને તેનો જવાબ આપતા વેક્સિન ખરીદ નીતિ બદલાઈ ગઈ હોવાનું કહ્યું હતું. 

સોગંદનામામાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યો અને નાની ખાનગી હોસ્પિટલોને વેક્સિન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી સરકારે વેક્સિન ખરીદ નીતિ બદલવી પડી. સોગંદનામામાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કામાં વેક્સિન ખરીદી માટે 50-50 ક્વોટાની મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. 

31મી ડિસેમ્બર લક્ષ્ય તારીખ

સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું કે, સરકારનો પ્રયત્ન 31મી ડિસેમ્બર સુધીમાં ભારતના તમામ વયસ્ક નાગરિકોને કોરોના વેક્સિન આપવાનો રહેશે. દેશના 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમર ધરાવતા 93-94 કરોડ લોકોને વેક્સિન આપવા માટે વેક્સિનના 186થી 188 કરોડ ડોઝની આવશ્યકતા રહેશે. 

વધુમાં કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, નવી વેક્સિનેશન નીતિમાં 'વાઉચર'ની જોગવાઈનો પણ સમાવેશ થાય છે. કંપનીઓ અને બિનસરકારી સંગઠનો પોતાના કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા લોકોને આપવા માટે વાઉચર ખરીદી શકશે જેથી તેઓ ફ્રીમાં વેક્સિન લઈ શકે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jjbfUo
via IFTTT

ટિપ્પણીઓ નથી: