અમિત શાહની ટ્વીટ- એક પરિવારના વિરોધમાં ઉઠતા સ્વરોને કચડવા માટે થોપવામાં આવી હતી ઈમરજન્સી


- ઈમરજન્સી દરમિયાન દેશમાં મીડિયા પાસે બોલવાની આઝાદી નહોતી, સાથે જ નસબંધીનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષ 1975માં જે ઈમરજન્સી લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાય દિગ્ગજોએ આ મુદ્દે ટ્વીટ કરી હતી. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, એક પરિવારના વિરોધમાં ઉઠેલા સ્વરોને કચડવા માટે થોપવામાં આવેલી ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. 21 મહિનાઓ સુધી નિર્દયી શાસનની ક્રૂર યાતનાઓ સહીને દેશના બંધારણ અને લોકશાહીની રક્ષા માટે નિરંતર સંઘર્ષ કરનારા તમામ દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન. 

ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, 1975માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને અહંકારવશ દેશ પર ઈમરજન્સી થોપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી દીધી હતી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કાળકોટડીમાં કેદ કરીને પ્રેસ પર તાળા જડી દેવામાં આવ્યા હતા. નાગરિકોના મૌલિક અધિકાર છીનવીને સંસદ અને ન્યાયાલયને મૂકદર્શક બનાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી. આ દરમિયાન નાગરિકો, પ્રેસના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. દેશમાં મીડિયા પાસે બોલવાની આઝાદી નહોતી, સાથે જ નસબંધીનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vPoFKA
via IFTTT

ટિપ્પણીઓ નથી: