સરકારે રૂ. 6 લાખ કરોડની મિલકત વેચવા કાઢી


આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા નાણાંકીય સાધનો ઊભા કરવા નિર્ણય

પેસેન્જર ટ્રેનો, સ્ટેડિયમ, રેલવે સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને એરપોર્ટનું વેચાણ કરીને સરકાર નાણાં એકત્રિત કરશે

વર્તમાન વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડના એસેટ વેચાણનું આયોજન

રેલવે, રસ્તા અને વીજળી મારફત સૌથી વધુ ભંડોળ એકત્ર કરશે

નવી દિલ્હી : કેન્દ્ર આગામી ચાર વર્ષમાં એસેટ મોનેટાઇઝેશન દ્વારા છ લાખ કરોડની રકમ એકત્રિત કરવાનું આયોજન ધરાવે છે. સરકાર બજેટ ખાધમાં ઘટાડો કરવા અને નાણાકીય સ્ત્રોતોમાં વધારો કરવા માટે એસેટ મોનેટાઇઝેશન કરવામાં  આવનાર છે.

આ પ્લાનમાં રોડ અને રેલવે એસેટ્સ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઇન્સ, અને ગેસ પાઇપલાઇનોનો હિસ્સો  વેચવાનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે તેનો રોડમેપ પૂરો પાડવાના છે. આ  હિસ્સા વેચાણ પીએમ મોદીની વ્યૂહાત્મક વિનિવેશ નીતિ હેઠળ કરાશે.

આ આયોજન હેઠળ રાજ્ય કેટલાક ઓળખી કાઢવામાં આવેલા ક્ષેત્રો જ તેની પાસે રાખશે અને બાકીનાનું ખાનગીકરણ કરશે. સરકાર અહીં કોઈ એસેટ્સ સંપૂર્ણપણે વેચી નહી નાખે, પરંતુ તેનો સારામાં સારો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશે.

આમ એસેટની માલિકી સરકાર પાસે રહેશે. સમગ્ર કવાયત દ્વારા વધુને વધુ મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સરકાર માર્ચ 2022માં પૂરા થનારા નાણાકીય વર્ષ સુધીમાં એસેટ મોનેટાઇઝેશનના આયોજન હેઠળ 1.75 લાખ કરોડ મેળવે તેવી સંભાવના છે. 

આ એસેટ વેચાણ આયોજન દ્વારા કોરોનાના લીધે કરવેરાના મોરચે પડેલી ઘટને ભરપાઈ કરવામાં આવશે. આ વર્ષે વ્યાપક વિનિવેશ દરખાસ્તમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પબ્લિક ઇશ્યૂની સાથે બીપીસીએલ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના વેચાણનો સમાવેશ થાય છે. સીતારામન 11 મંત્રાલયો હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સના મોનેટાઇઝેશનના આયોજનની જાહેરાત કરે તેમ મનાય છે. 

26,700 કિ.મી.ના નેશનલ હાઇવે અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરીને 1.6 લાખ કરોડ મેળવાશે. આ માટે એનએચએઆઇ ઇનવિટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) રૂટ અપનાવશે. 

રેલવેનું મોનેટાઇઝેશન કરીને 1.5 લાખ કરોડ મેળવવામાં આવે તેમ માનવામાં આવે છે. તેમા 400 રેલવે સ્ટેશનો, 90 પેસેન્જર ટ્રેનો, 741 કિ.મી.ની કોંકણ રેલવેઝ અને 15 રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓનું મોનેટાઇઝેશન કરીને અંદાજે 1.2 લાખ કરોડ મેળવવામાં આવશે. 

વીજ ક્ષેત્રની એસેટ્સ દ્વારા એક લાખ કરોડ મેળવાશે તેમ મનાય છે. તેમા પાવર ટ્રાન્સમિશનનું મોનેટાઇઝેશન કરીને 45,200 કરોડ અને છ ગીગાવોટની પાવર જનરેશન એસેટનું મોનેટાઇઝેશન કરીને 39,832 કરોડ એકત્રિત કરાશે. 

ગેસ પાઇપલાઇન દ્વારા 59,000 કરોડ  મેળવાશે. 8,154 કિ.મીની નેચરલ ગેસ પાઇપલાઇન દ્વારા 24,462 કરોડ અને 3,930 કિ.મી પ્રોડક્ટ પાઇપલાઇન દ્વારા 22,504 કરોડ મેળવાશે તેમ મનાય છે. 

 ટેલિકમ્યુનિકેશન એસેટ્સ દ્વારા 40,000 કરોડ મેળવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. તેમા ભારતનેટ ફાઇબરની 2.86 લાખ કિ.મી.નું લાઇનનું મોનેટાઇઝેશન કરી 35,100 કરોડ મેળવાશે. જ્યારે બીએસએનએલઅને એમટીએનએલના સિગ્નલ ટાવરના 14,917 કરોડ મેળવાશે. 

પબ્લિક વેરહાઉસિસ અને કોલસાની ખાણો દ્વારા 29,000-29000 કરોડ મેળવાશે. એરપોર્ટ મોનેટાઇઝેશન દ્વારા 20,782 કરોડ અને પોર્ટ દ્વારા 12,828 કરોડ મેળવાશે. નાગરિક ઉડ્ડયન અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઇનિંગ એસેટ્સ દ્વારા બીજા એક લાખ કરોડ મેળવવામાં આવશે તેમ મનાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત નવી દિલ્હીમાં આવેલા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ અને પ્રાદેશિક કેન્દ્રો દ્વારા 11,450 કરોડની રકમ મેળવાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં વાર્ષિક ભાષણ દરમિયાન મીડિયમ ટર્મના રોડમેપની કરેલી જાહેરાત સરકારના એસેટ સેલની પહેલ માટે એક રોડમેપ તરીકે કામ કરશે. 

ઓછી ઉપયોગમાં લેવાતી એસેટને મોનેટાઇઝ કરવામાં આવશે અને એસેટની માલિકી સરકાર પાસે રહેશે. તેમણે જણાવ્યું હતું કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ બ્રાઉનફિલ્ડ એસેટ્સને મોનેટાઇઝ કરવામાં આવશે અને તેમા ખાનગી ક્ષેત્રની ભાગીદારી કરવામાં આવશે. ખાનગી ભાગીદારીઓએ નિયત સમય પછી સરકારને મિલકત પરત સુપ્રદ કરી દેવાની રહેશે.

મોનેટાઇઝેશન દ્વારા મળેલા નાણાન ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ માટે કરવામાં આવશે. આમ વેચાનારી એસેટનું મૂલ્ય એનઆઇપી હેઠળ થનારા કુલ 111 લાખ કરોડના રોકાણના 5.4 ટકા હશે અને કેન્દ્રના 43 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચના 14 ટકા હશે. જોકે આ છ લાખ કરોડના મોનેટાઇઝેશનના પ્લાનનો આધાર પહેલા દસ હજાર કરોડની એસેટનું સરળતાથી મોનેટાઇઝેશન થાય તેના પર છે.

એસેટે મોનેટાઇઝેશન : 26 રાજ્યોએ નોડલ અધિકારી નિમ્યા

મોટા ભાગના રાજ્યો મિલકતો વેચીને નાણાં એકત્ર કરવા તૈયાર

એસેટ મોનેટાઇઝેશન માટે રાજ્યોને કેન્દ્રની રૂ. 5000 કરોડની સહાયની જાહેરાત

નવી દિલ્હી : મોટા ભાગના રાજ્યો એસેટ મોનેટાઇઝેશન દ્વારા નાણા એકત્ર કરવા માટે તૈયાર છે તેમ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું છે. આ માટે 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોેએ નોડલ અિધકારીઓની નિમણૂક કરી છે. 

સિતારમને જણાવ્યું છે કે રાજ્યો આ પ્રક્રિયામાં ભાગ લે તે માટે કેન્દ્ર સરકારે તેમને 5000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. જો રાજ્યો તેમની મિલકતોનું ડિઇન્વેસ્ટમેન્ટ અને મોનેટાઇઝેશન કરશે તો તેમને આ નાણાકીય સહાય વ્યાજ મુક્ત લોન તરીકે આપવામાં આવશે. નીતિ આયોગના સીઇઓ કાંતના જણાવ્યા અનુસાર અમે રાજ્યોની સાથે છીએ. અમે રાજ્યો સાથે મળીને કામ કરવા માગીએ છીએ.

કેન્દ્રીય પ્રધાનોએ ફક્ત પહેલ કરવાની જરૂર છે.  કોરોનાની બીજી લહેરને કારણે એસેટ મોનેટાઇઝેશનની પ્રક્રિયા મંદ પડી ગઇ છે ુપણ હવે સરકાર રાજ્યો સાથે મળીને આ પ્રક્રિયાને ઝડપી બનાવશે.  કાંતે વધુમાં જણાવ્યું હતું કે અમે આ સંદર્ભમાં રાજ્યોમાં રાજ્યમાં વેબિનારનું આયોજન કર્યુ છે. વિશ્વના અગ્રણી રોકાણકારોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sHRitp
via IFTTT

ટિપ્પણીઓ નથી: