આઇટી પોર્ટલની તમામ ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને અલ્ટિમેટમ

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩

નાણા પ્રધાન નિર્મલા સિતારમને ઇન્ફોસિસને નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા જણાવ્યું છે. આ અગાઉ તેમણે આ પોર્ટલને વિકસિત કરનારી કંપની ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખની સમક્ષ વેબસાઇટ સાથે જોડાયેલી ટેકનિકલ ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલા સિતારમન પોતાના કાર્યાલયમાં સલિલ પારેખને મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને પૂછ્યું હતું કે વેબસાઇટ લોન્ચ થયાના અઢી મહિના પછી પણ વેબસાઇટ શા માટે બરાબર ચાલતી નથી?

આ બેઠક દરમિયાન ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે તેઓ અને તેમની ટીમ પોર્ટલ સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. 

આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બેઠક દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને વેબસાઇટની ટેકનિકલ ખામીઓ દૂર કરવા વધુ પ્રયત્નો કરવા જણાવ્યું હતું જેથી કરીને કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું ઝડપથી ઉકેલ મેળવી શકાય. 

આ બેઠક પછી આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાને  વેબસાઇટની તમામ પ્રકારની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને જણાવ્યું છે. બેઠક દરમિયાન નાણા પ્રધાને વેબસાઇટની ખામીને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વેબસાઇટમાં વારંવાર સર્જાતી ખામી અંગે ઇન્ફોસિસ પાસે ખુલાસો માગ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ૨૧ અને ૨૨ ઓગસ્ટે આવકવેરા વિભાગની વેબસાઇટ સંપૂર્ણ ઠપ થઇ ગઇ હતી. જેના પગલે નાણા પ્રધાને આ વેબસાઇટની રચના કરનાર ઇન્ફોસિસના સીઇઓને આજે મળવા બોલાવ્યા હતાં.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gsjfjJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: