રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ ધ્યાનચંદ રખાતા રાજકીય વિવાદ

ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના ઐતિહાસિક પ્રદર્શનને પગલે નિર્ણય
મેજર ધ્યાનચંદે ભારતને ગૌરવ અપાવ્યું છે, દેશના સર્વોચ્ચ ખેલ એવોર્ડનું નામ તેમના નામે કરીને સન્માન આપીએ : મોદી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમનું નામ પણ બદલીને કોઇ ખેલાડીનું નામ આપવું જોઇએ : કોંગ્રેસ
નવી દિલ્હી : ભારતમાં રમતગમત માટે અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડના નામને હવે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રેસે માગણી કરી છે કે સાથે સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરામાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેનું નામ પણ બદલી નાખવું જોઇએ. આમ નામ બદલવાને લઇને હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને આમને સામને આવી ગયા છે. અને રાજકીય વિવાદ સર્જાયો છે.
ટોક્યોમાં ખેલાઇ રહેલા ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરૂષ બન્ને હોકી ટીમોએ સારો દેખાવ કર્યો હતો. જેને પગલે ભારતમાં હોકી લેજન્ડ તરીકે પ્રખ્યાત મેજર ધ્યાન ચંદના નામે હવે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ રખાયું છે.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધીનું નામ હટાવવામાં આવતા રાજકીય હોબાળો મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ બદલવામાં આવ્યું તેની જાણકારી જાહેર કરી હતી. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે તેને ધ્યાન ચંદને અપાયેલ સાચી શ્રદ્ધાંજલિ અને સન્માન ગણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મેજર ધ્યાનચંદ ભારતના એ આગળી હરોળના ખેલાડીઓમાંથી એક હતા કે જેઓને કારણે ભારતને સન્માન અને ગૌરવ મળ્યું. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હવેથી ખેલ રત્નને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવશે. જોકે જેવું નામ બદલાયું કે તુરંત જ સોશિયલ મીડિયા પર માગણી થવા લાગી કે સ્ટેડિયમ અને ખેલ સંલગ્ન એવોર્ડના નામ ખેલાડીઓના નામે જ હોવા જોઇએ.
લોકોએ મોદીનું ધ્યાન દોર્યું કે અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું છે તેને બદલીને હવે કોઇ ખેલાડીના નામે રાખવુ જોઇએ. બીજી બાજુ આ નિર્ણયનો કોંગ્રેસે શરૂઆતમાં સીધો વિરોધ જ કરવા માંડયો હતો. જો કે હિન્દી પટ્ટામાંથી આવકાર મળતાં અંતે કોંગ્રેસે નવો સૂર છેડયો હતો.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર હતા, સરકારે તેમના નામનો ઉપયોગ રાજકારણ માટે ન કરવો જોઇએ.
રાજીવ ગાંધીના સૃથાને મેજર ધ્યાનચંદ ખેલ રસ્ત નામ રખાયું તેનું કોંગ્રેસ સ્વાગત કરે છે. હવે નરેન્દ્ર મોદીએ રાજકારણથી બહાર આવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને કપિલ દેવ, મેરી કોમ, પીટી ઉષા, પુલેલા ગોપીચંદ, સુનીલ ગાવસ્કર વગેરેમાંથી કોઇ એક ખેલાડીના નામે કરવું જોઇએ.
સાથે જ જેટલા પણ સ્ટેડિયમોના નામ નેતાઓના નામે છે તેને બદલીને ખેલાડીઓના નામે કરી દેવા જોઇએ અને તેમાં અરૂણ જેટલી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવો જોઇએ. જેટલીના નામને હટાવીને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓના નામે સ્ટેડિયમનું નામ રાખવું જોઇએ. જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સ્વયંથી બહુ જ પ્રેમ છે. તેઓએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પોતાના નામે જ કરી દેવાની જરૂર હતી.
'ખેલરત્ન'એવોર્ડ જોડે નામ જોડવા કરતા
ખરેખર તો હોકીના લેજન્ડ ધ્યાનચંદને 'ભારત રત્ન' જાહેર કરવા જોઇએ
મેજર ધ્યાનચંદનું વિરાટ પ્રદાન જોતા 'ભારત રત્ન' જ શોભે
નવી દિલ્હી : ભારતના શ્રેષ્ઠ ખેલાડીને અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવાના નિર્ણયની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે તે સાથે જ રાજકીય હોબાળો મચે તે સ્વાભાવિક છે.
ફેબુ્રઆરી 2014માં યુ.પી.એ.ની સરકાર હતી ત્યારે 'ભારત રત્ન' ક્રિકેટર તેંડુલકરને આપવામાં આવતા કોંગ્રેસની ભારે ટીકા થઇ હતી. તે વખતે વિરોધ પક્ષના રાજકારણીઓ પણ જોડાયા હતા કે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદને હજુ 'ભારત રત્ન' અપાયુ નથી અને પોપ્યુલર વોટ બેંકને નજરમાં રાખીને તેંડુલકરને 'ભારત રત્ન' એનાયત થયો.
હવે ભાજપની સરકાર છે અને મેજર ધ્યાનચંદનું ખેલ રત્ન એવોર્ડની આગળ નામ મુકવા કરતા તેમને માટે મરણોત્તર 'ભારત રત્ન' સન્માન જ કેમ જાહેર નથી કરતા તે પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાય છે.
સ્વ. રાજીવ ગાંધીની જગ્યાએ મેજર ધ્યાનચંદ રાખવા કરતા તેના કરતા પણ ઉંચું સ્થાન કે જેમના માટે ધ્યાનચંદને દાયકાઓથી અન્યાય થયો છે તે દૂર કરીને તેમને 'ભારત રત્ન' જાહેર કરવા જોઇએ. કેન્દ્ર સરકાર ધારે તો પળોમાં જ આ નિર્ણય ત્વરિત લઇ જ શકે પણ ધ્યાનચંદના નામે સ્વ. રાજીવ ગાંધીના નામ પર કૂચડો ફેરવવાની દાનત વધુ છતી થઇ છે તેમ નાગરિકો માને છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vwmtey
via IFTTT
ટિપ્પણીઓ નથી: