રિલાયન્સ અને ફ્યુચર ગુ્રપ વચ્ચેની ડીલ પર સુપ્રીમની રોક : એમેઝોનની જીત

રિલાયન્સ દ્વારા બિગ બજારને રૂ.24,713 કરોડમાં ખરીદવા સામે એમેઝોનનો વિરોધ
સિંગાપુરમાં જે ઈમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે ભારતમાં પણ લાગુ પડશે : સુપ્રીમનો ચુકાદો
નવી દિલ્હી : રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપની આશરે 24 હજાર કરોડ રૂપિયાની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી છે.
પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સિંગાપુરમાં જે ઈમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે ભારતમાં પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુચર ગ્રૂપના સોદા પર રોક લગાવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ભારતમાં પણ એમેઝોને વિલય સોદા વિરૂદ્ધ અરજી કરી હતી.
રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપની આશરે 24 હજાર કરોડ રૂપિયાની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તે ડીલ પર રોક લગાવવા મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ એમેઝોને સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા.
દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા બિગ બજાર એ ફ્યુચર ગ્રૂપનો જ હિસ્સો છે. થોડા સમય પહેલા રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપમાં રિટેલ માર્કેટને લઈ સૌથી મોટી સમજૂતી થઈ હતી અને 24,713 કરોડ રૂપિયાની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રૂપના માલિકી હક આવી ગયા હતા.
આ ડીલને લઈ એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ફ્યુચર ગ્રૂપની એક કંપનીમાં એમેઝોનનો 49 ટકા ભાગ હતો. ડીલ પ્રમાણે જો કંપની વેચવામાં આવે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમેઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રૂપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું.
એમેઝોને આને લઈ સૌથી પહેલા સિંગાપુરની કોર્ટમાં રાવ નાખી હતી જ્યાં તેના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. ત્યાર બાદ આ કેસ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો જ્યાં હાઈકોર્ટની ડીલને આગળ વધારવા કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AkUPjE
via IFTTT
ટિપ્પણીઓ નથી: