દેશમાં કોરોનાના 41 હજાર, કેરળમાં 32 હજાર કેસ : અનેક રાજ્યોમાં સ્કૂલો ખુલી


24 કલાકમાં કોરોનાથી 460 લોકોનાં મોત

આ મહિનાના અંત સુધી બધા શિક્ષકો અને સ્કૂલના સ્ટાફને રસી આપવાનું કામ પૂર્ણ કરી લેવાનું સરકારનું અભિયાન

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 41965 કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા 3,28,10,845એ પહોંચી છે. બીજી તરફ કોરોનાથી વધુ 460 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 4,39,020એ પહોંચ્યો છે. દરમિયાન કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,78,181ને પાર જતી રહી છે જેમાં છેલ્લા 24 કલાકમાં 7500 જેટલા કેસોનો વધારો થયો છે.  

એક જ દિવસમાં કોરોનાના 16 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા, જેથી દેશમાં કુલ ટેસ્ટની સંખ્યા પણ 52.31 કરોડને પાર જતી રહી છે. જે નવા 41 હજારથી વધુ કેસો સામે આવ્યા છે તેમાં 32 હજાર કેસ માત્ર એક જ રાજ્ય કેરળના છે.

કેરળમાં કોરોનાના નવા 32802 કેસો સામે આવ્યા છે અને વધુ 173 લોકોએ જીવ ગુમાવ્યો છે. અનેક રાજ્યોમાં હવે સ્કૂલો ખુલવા લાગી છે. જેને પગલે ઘણા મહિના બાદ વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને સ્કૂલમાં પરત ફર્યા છે. 

જે રાજ્યોમાં સ્કૂલો ખોલી નાખવામાં આવી છે તેમાં દિલ્હી, રાજસૃથાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ ચોક્કસ ધોરણોની સ્કૂલો ખોલી નાખવામાં આવી છે.

એવામાં માતા પિતાએ પણ પોતાના સંતાનોને કોરોનાની ગાઇડલાઇન સમજાવી દીધી છે. બાળકો એકબીજાની સાથે ટિફિન શેર નથી કરતા, વર્ગખંડમાં માત્ર 50 ટકા સંખ્યા જ રાખવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં મોટા ભાગના સ્કૂલોમાં શિક્ષકો અને અન્ય સ્ટાફને રસી આપવાનું કામ પૂર્ણ કરી લેવા સરકાર વિચારી રહી છે અને બેઠકો શરૂ કરી દીધી છે.

અનેક વિદ્યાર્થીઓ રસીથી વંચિત છે તેથી તેમને હજુ પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. માતા પિતા પણ આ જ ચિંતા સાથે પોતાના બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છે. બીજી તરફ દેશભરમાં મંગળવારે 1.33 કરોડ ડોઝ રસીના આપવામાં આવ્યા હતા, બુધવારે આ આંકડો 69 લાખ હતો, જ્યારે અત્યાર સુધીમાં કુલ 66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t8ZbrG
via IFTTT

ટિપ્પણીઓ નથી: