અમે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઊઠાવીશું : તાલિબાન

(પીટીઆઈ) પેશાવર/દોહા, તા. ૩
તાલિબાને ૧૫મી ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યા બાદથી જ અફઘાનિસ્તાનની ધરતીનો ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થશે તેવી કેન્દ્ર સરકારની આશંકાઓ હવે સાચી પડી રહી હોય તેવા અફઘાનિસ્તાનમાંથી સંકેતો મળી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સરકાર રચવાના એક દિવસ પહેલાં જ કતારની રાજધાની દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસના પ્રવક્તાએ કાશ્મીર અંગે ઝેર ઓકતાં કહ્યું કે, કાશ્મીરના મુસ્લિમો માટે તેઓ અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતાની સાથે જ છેલ્લા એક મહિનાથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી હોવાનું સુરક્ષા એજન્સીઓનું કહેવું છે. બીજીબાજુ તાલિબાને ચીનને પોતાનો સૌથી મહત્વપૂર્ણ સાથી ગણાવીને ભારતની ચિંતા વધારી દીધી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શુક્રવારે નવી સરકારની જાહેરાત કરવાનું હતું. પરંતુ તાલિબાને નવી સરકારની જાહેરાતને એક દિવસ પાછી ઠેલી છે તેમ તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં સરકાર રચવાના એક દિવસ અગાઉ જ કતારની રાજધાની દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસમાંથી તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને વીડિયો લિંક મારફત બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કાશ્મીર સહિત દુનિયામાં કોઈપણ જગ્યાએ મુસ્લિમો માટે અવાજ ઉઠાવવો એ તેમનો અધિકાર છે. જોકે, તેનો અર્થ એ નથી કે તેઓ કોઈ દેશ સામે 'સશસ્ત્ર અભિયાન' ચલાવશે.
અમેરિકા સાથે દોહા કરાર હેઠળ અમે કોઈપણ દેશ વિરુદ્ધ આતંકીઓને અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ નહીં કરવા દઈએ. શાહીને ઉમેર્યું હતું કે મુસ્લિમો તરીકે કાશ્મીર સહિત વિશ્વના કોઈપણ દેશમાં રહેલા મુસ્લિમો માટે અવાજ ઊઠાવવો એ અમારો અધિકાર છે. અમે આ મુસ્લિમો તમારા જ લોકો છે, તમારા પોતાના નાગરિકો છે અને તમારા કાયદા હેઠળ તમારે તેમને સમાન અધિકારો આપવા જોઈએ તેમ કહીને અવાજ ઊઠાવતા રહીશું. તાલિબાનની વિનંતીને પગલે દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસના વડા મોહમ્મદ અબ્બાસ સ્તાનેકઝાઈ સાથે ભારતના કતાર ખાતેના રાજદૂત દીપક મિત્તલની મુલાકાત થઈ હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યા પછી શાહીનની ટીપ્પણી નોંધપાત્ર છે.
બીજીબાજુ અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના અગાઉ તાલિબાનોની સરકારની દુનિયા સાથે કેવી રણનીતિ હશે અને અન્ય દેશો સાથે તેના સંબંધો કેવા હશે તે મુદ્દે જવાબ આપતાં તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે ચીનને તેનો સૌથી મોટો સાથી ગણાવ્યો છે. આર્થિક બેહાલીની કોરે ઊભા રહેલા અફઘાનિસ્તાનને ફરીથી બેઠું કરવાની જવાબદારી તાલિબાન ચીનને સોંપે તેવી સંભાવના છે. ભારત માટે આ બાબત પણ વધુ ચિંતાજનક છે. મુજાહિદે કહ્યું કે ચીન અમારા દેશમાં રોકાણ કરીને ફરીથી આ દેશને બેઠો કરશે.
અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં કોપર માઈન છે. એવામાં ચીન આ માઈનને ફરી સક્રિય કરે અને તેને આધુનિક બનાવે તો તે અફઘાનિસ્તાન માટે લાભદાયક હશે. આમ, આગામી દિવસોમાં તાલિબાન અને ચીનની ભાગીદારી વધી શકે છે, જેના પગલે ભારતની સમસ્યા વધી જશે. ચીન પાસેથી આર્થિક મદદની આશા ધરાવતા તાલિબાને ભારત ચીનના જે દરેક પ્રોજેક્ટનો વિરોધ કરે છે તેનું સમર્થન કરવાનું શરૂ કર્યું છે. તાલિબાને ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની તરફેણ કરી છેે અને તેને અફઘાનિસ્તાનના અર્થતંત્ર માટે સારો ગણાવ્યો છે. બીજીબાજુ ચીન પણ તાલિબાન સરકારને માન્યતા આપવા માટે ઉતાવળું થયું છે.
દરમિયાન મુજાહિદે કહ્યું કે તાલિબાન દ્વારા નવી સરકારની રચનાની જાહેરાત શુક્રવારે થવાની હતી, પરંતુ તે હવે એક દિવસ પાછી ઠેલાઈ છે. હવે શનિવારે નવી સરકારની જાહેરાત થશે. સૂત્રો મુજબ તાલિબાનના રાજકીય વડા મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાન સરકારના વડા બની શકે છે. તાલિબાનના ધાર્મિક વડા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદા અફઘાનિસ્તાનની સુપ્રીમ ઓથોરિટી હશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zNn8ro
via IFTTT
ટિપ્પણીઓ નથી: