રાણી એલિઝાબેથની અંતિમયાત્રાનાં રીહર્સલની વિગતો લીક થતાં હોબાળો

બ્રિટનના રાણી ક્વિન એલિઝાબેઝ દ્વિતીય અત્યારે ૯૫ વર્ષના છે. રાણીના શાસનની ૨૦૨૨માં પ્લેનિયમ જ્યૂબિલી ઉજવાશે. તે પહેલાં બ્રિટનનો ટોપ સિક્રેટ પ્લાન મીડિયામાં લીક થઈ જતાં હોબાળો મચી ગયો છે. બ્રિટનના રાણીનું નિધન થશે ત્યારે અંતિમ વિધિ કેવી રીતે થશે તેના રિહર્સલની તસવીરો જાહેર થઈ જતાં તપાસનો આદેશ અપાયો છે.
અત્યારે ૯૫ વર્ષના થયેલાં રાણીનું જે દિવસે અવસાન થશે ત્યારે કેવું આયોજન કરવું પડશે? કેવી રીતે આખી ઘટના વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે? ક્યારે કઈ ઘટના બનશે? અંતિમયાત્રા કેવી રીતે કાઢવામાં આવશે. કોફિન કેવી રીતે લઈ જવાશે અને એમાં કેટલો સમય લાગશે? એ બધું જ નક્કી કરવા માટે બ્રિટનમાં ઓપરેશન લંડન બ્રિજ હાથ ધરાયું હતું.
રાણીના નિધનના સમાચાર સૌથી પહેલાં વડાપ્રધાનને ફોનમાં આપવામાં આવશે. એ પછી પહેલા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે. નવા રાજા કિંગ ચાર્લ્સ પણ દેશને સંબોધશે. બીજા, ત્રીજા, ચોથા દિવસે શું થશે એ બધું જ નક્કી થઈ ગયું છે. નિધનના ૧૦મા દિવસે રાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
એ ઓપરેશનની વિગતો મીડિયામાં લીક થઈ જતાં હોબાળો મચી ગયો છે. અંતિમ સંસ્કારના રિહર્સલની તસવીરો લીક થઈ ગઈ હતી. તેના કારણે સોશિયલ મીડિયામાં બ્રિટનના રાણીની તબિયત ખૂબ જ ખરાબ હોવાની અટકળો પણ શરૃ થઈ હતી. અહેવાલોમાં તેને ડી ડે ગણાવાયો છે.
આ ઓપરેશન લીક થઈ જતાં તપાસના આદેશ અપાયા છે. રોયલ પરિવારે પણ સરકારી અધિકારીઓ સમક્ષ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી દીધી છે. સત્તાવાર રીતે આ મુદ્દે સરકારે કે રોયલ પરિવારે કોઈ જ ટીપ્પણી આપવાનો ઈનકાર કર્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WPHxx6
via IFTTT
ટિપ્પણીઓ નથી: