પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઇએ નહીં, અલગ અનામત આપો


કેન્દ્રીય મંત્રી આઠવલેએ વિવાદનો મધપૂડો છેડયો

કેટલાંક લોકોને દલિતો સારા કપડા પહેરે, ઘોડા પર બેસે તે ગમતું નથી, દલિતો પર આજેય અત્યાચાર થાય છે: આઠવલે

અમદાવાદ : એક બાજુ, આગામી વિધાનસભાની ચૂંટણીનેજોતા મોદીની કેબિનેટમાં પાટીદાર મંત્રીઓનુ કદ વધારાયુ છે  જયારે બીજી તરફ, મોદીના મંત્રી રામદાસ આઠવલે એ એવો મત વ્યક્ત કર્યો કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઇએ નહી બલ્કે અલગ કવોટામાં અનામતઆ પવી જોઇએ.

અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી આઠવલે એ પાટીદાર વિરોધી સૂર ઉઠાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.એટલુ જ નહીં, પાટીદાર અનામત મુદ્દે રાજનીતિ શરૂ થઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી અનામતનો કાયદો ઘડી પાટીદારોને અનામત આપવાનો માર્ગ મોકળો બનાવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અનામતના મુદ્દે વિવાદ છેડયો હતો.

અમદાવાદની મુલાકાતે આવેલા રામદાસ આઠવલેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુકે, ઇબીસીનો નિર્ણય યોગ્ય છે પણ સમાજને તેનો કોઇ લાભ મળતો નથી. રૂા.8 લાખથી ઓછી આવક હોય તે લોકોને અનામતનો લાભ મળે તેવો કાયદો કેન્દ્ર સરકારે ઘડવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઇએ નહી. સરકાર અલગ ક્વોટા અને કેટેગરી બનાવી અનામત આપે.

ગુજરાતમાં જ નહીં, દેશભરમાં દલિતો પર અન્યાય અને અત્યાચાર થઇ  રહ્યા છે તેવો ઉલ્લેખ કરતાં આઠવલે કહ્યું કે, કેટલાંક લોકોને દલિતો સારા કપડા પહેરે, ઘોડા પર બેસે તેવુ ગમતુ નથી.સમગ્ર દેશમાં જાતિ વ્યવસૃથા છે. લોકોને ન્યાય મળે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.

સમગ્ર દેશમાં 1 લાખ આંતરજાતિય લગ્ન થઇ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સંપતિ વેચવાના મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.હકીકતમાં ખાનગીકરણ કરવાનો નિર્ણય જ કોંગ્રેસનો હતો. હવે કોગ્રેસ રાજનીતિ કરી રહી છે.  આઠવલે એ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 350 બેઠકો મળે તે માટે આયોજ્ન કરાયુ છે.

આગામી દિવસોમાં યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગંઠબંધન કરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમારા પક્ષનુ ભાજપને સમર્થન રહેશે. મોદી સરકારે છેલ્લા 7 વર્ષમાં મહત્વપૂર્ણ કામો કર્યાં છે. પ્રધાનમંત્રી ઉજવલા યોજનાથી માંડીને રસીકરણને લઇને આઠવલેએ સરકારના કામોના વખાણ કર્યા હતાં. 

નિતિન પટેલ કહે છે : હિન્દુઓની વસ્તી ઘટવી જોઇએ નહી, આઠવલે કહે છે કે, એક કુટુંબ, એક બાળકનો કાયદો ઘડો

એક તરફ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટલે જાહેરમંચ પરથી એવુ કહ્યુ કે, જો હિન્દુઓની વસતી ઘટી તો લોકસભા,કાયદો,કોર્ટ-કચેરી બધુ સમાપ્ત થઇ જશે. જયારે આજે અમદાવાદ આવેલાં કેન્દ્રીય મંત્રી આઠવલેએ સ્પષ્ટ કહ્યુ કે,દેશમાં હવે એક કુટુંબ- એક બાળકનો કાયદો ઘડવો જોઇએ.

એક જ પક્ષના બે નેતાઓના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ભાજપના એક મંત્રી હિન્દુઓની વસ્તી વધારવાના મતમાં છે તો બીજા મંત્રી વસ્તી નિયંત્રણ માટે કડક પગલો લેવાનો અભિપ્રાય ધરાવે છે.  આઠવલેએ સાફ શબ્દોમાં કહ્યું કે, હમ દો-હમારે એક કાયદા માટે વડાપ્રધાન મોદી આખરી નિર્ણય લેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GjVOb
via IFTTT

ટિપ્પણીઓ નથી: