ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : મુખ્યમંત્રીપદેથી રૂપાણીનું રાજીનામું


પાટીદારોનું અલ્ટીમેટમ : મોદીના ઇશારે સત્તા પરિવર્તન

2022ની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્યાંક હોવાથી નવી નેતાગીરીને પૂરતો અવકાશ મળે તે માટે વેળાસર રાજીનામું લેવાયું

અમદાવાદ : કેન્દ્રની નેતાગીરીની સૂચનાને માથે ચઢાવીને ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પરથી વિજય રૂપાણીએ આજે બપોરે અંદાજે અઢીથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું.

ભાજપના સિનિયર કેન્દ્રિય નેતા અને સંગઠન મંત્રી બી.એલ. સેંતોષ તેમને મળવા ગુરૂવારે ખાસ ગાંધીનગર આવ્યા હતા અને મોવડી મંડળની ઇચ્છાની વિજય રૂપાણીને જાણકારી આપી હતી. આ ઇચ્છા જાણ્યા પછી વિજય રૂપાણીએ હોદ્દો છોડી દેવાનું મન બનાવી લીધું હતું. આજે સવારે ભાજપ ગુજરાતના પ્રભારી  ભૂપેન્દ્ર યાદવ પણ વિજય રૂપાણીને મળ્યા હતા.

તેમની સાથેની મુલાકાત બાદ તેમણે તેમની નિકટના માણસોના પણ જાણ કર્યા વિના જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય લીધો હતો અને બહુ જ સ્વસ્થતા સાથે અને તેમની પાંચ વર્ષની મુદત દરમિયાન તેમને કરેલી કામગીરી માટેના સંતોષ અભિવ્યક્ત કરીને આજે બપોરે અંદાજે અઢી પોણા ત્રણે વાગ્યાના અરસામાં તેમણે રાજીનામું આપ્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપ્યા પાદ પત્રકાર પરિષદમાં બોલતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરવાનો મોકો આપવા બદલ  તેમણે ભાજપના મોવડીઓનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ેનેજા હેઠળ કામ કરવાની તેમને તક આપી અને ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો મોકો આપ્યો તે માટે પણ તેમણે પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે હવે પક્ષની નેતાગીરી મને જે જવાબદારી સોંપશે તે નિભાવવા હું તૈયાર છું. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીની જવાબદારી રીલે રેસ જેવી જ છે.

મને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ હું પાંચ વર્ષ સુધી સતત દોડયો છું. હવે મે પક્ષને વધુ આગળ લઈ જનારી વ્યક્તિને ધ્વજ સોંપી દેવાનું કામ કર્યુંે છે. હેવે પછી નવા નેતા પક્ષને આગળ લઈ જવાનું કામ કરશે. અમારા પક્ષની આ પ્રથા જ છે. તેમાં કશું જ અજુગતું નથી. 

જોકે એકાએક તેમણે રાજીનામું આપવાનો નિર્ણય શા માટે લીધો તે અંગેના સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળી દીધું હતું. સમયાંતરે પક્ષના મોવડીઓને નવા નેતા પસંદ કરવાનું યોગ્ય લાગે ત્યારે જૂની નેતાગીરીને રિપ્લેસ કરતાં જ હોય છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સાથે જ તેમણે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીના વડપણ અને માર્ગદર્શન હેઠળ પક્ષને માટે કામ કરવાનું ચાલુ રાખવાની તૈયારી દર્શાવીહતી. ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુંકે પક્ષના મોભીઓ જ નવા નેતાની પસંદગી કરશે. 

ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી માં ભાજપનો ડંકો વાગે તે માટે નવા નેતાને તૈયારી કરવાનો મોકો મળે તે જ ગણતરીથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 સીટ પણ મેળવી શક્યો નહોતો. 

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકોનું ટાર્ગેટ રાખીને ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છે, તેથી વહેલી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે જ નેતાગીરીમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે.

આ અગાઉ પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી જિતુ વાઘાણીની મુદત પૂરી થતાં તેમને સ્થાને  સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અગાઉ 2017ની ચૂંટણીના એક વર્ષ પૂર્વે મુખ્યમંત્રીપદ પરથી આનંદીબહેન પટેલ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. આનંદીબહેન પટેલના રાજીનામા પછી સાતમી ઓગસ્ટ 2016ના દિને સહુના આશ્ચર્ય વચ્ચે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ તબક્કે મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ નક્કી જ હતી, છતાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ હતી. તેથી નીતિન પટેલ નારાજ થયા હતા. તેમની નારાજગી પાંચ વર્ષથી છાશવારે દેખાતી હોય છે. અગાઉ 2002ની સાલમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રીના હોદ્દો છોડવાની ફરજ પાડવામાં આવી હતી. 

 તેમણે આજે એકાસણું પણ કર્યું હતું

સંવત્સરીએ રૂપાણીએ રાજીનામું આપ્યું અને પછી પ્રતિક્રમણ કર્યું

(પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ,તા.11

ગુજરાતના મુખ્યમંત્રી સ્થાનકવાસી જૈન છે. શનિવારે રાજીનામું આપ્યા પછી તેમણે દર વર્ષની માફક પ્રતિક્રમણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે આજે એકાસણું પણ કર્યું હતું.  



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tAO4Za
via IFTTT

ટિપ્પણીઓ નથી: