જાદુગર નરેન્દ્ર મોદી કોનું નામ બહાર કાઢશે તે અંગે સસ્પેન્સ

પ્રફુલ્લ પટેલ, નિતીન પટેલનાં નામ વધુ ચર્ચામાં
સહકારી ક્ષેત્રના માધ્યમથી ચૂંટણીની વૈતરણી પાર ઉતરવાનો વ્યૂહ અપનાવ્યો હોવાથી ચર્ચામાં ન હોય તેવી વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં જ્ઞાાતિવાદી ગણિતોને આધારે બેઠકો અને હોદ્દાઓની ફાળવણી થવાની સંભાવના બળવત્તર બની રહી છે. પાટીદારોમાંથી ચાર પાંચ નામ અત્યારે મુખ્યમંત્રીના હોદ્દા માટે બોલાઈ રહ્યા છે.
તેમાાં નીતિન પટેલ, દિવ દમણના વહીવટદાર પ્રફુલ પટેલ, કેન્દ્રના શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવિયા અને બિહાર-ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહેલા અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાના નામ લેવાઈ રહ્યા છે.
તેવી જ રીતે અન્ય પછાત વર્ગની વ્યક્તિઓને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. અન્ય પછાત વર્ગના નેતાની તલાશ ચાલુ જ છે. નાયબ મુખ્યમંત્રી તરીકેના આદિવાસી દાવેદારોમાં ગણપત વસાવાનો સમાવેશ થઈ રહ્યો છે.
જ્યારે અન્ય દાવેદારોમાં હાલના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ બોલાઈ રહ્યું છે. અન્ય પછાત વર્ગના 54 ટકા મત હોવાથી તેમની જ્ઞાાતિના ઉમેદવારને ઉચ્ચ હોદ્દો આપવાની જાહેરાત કરીને દરેક જ્ઞાાતિમાંથી મહત્તમ મત આકર્ષવાનો વ્યૂહ અપનાવવામાં આવે તેવી ગણતરી મૂકાઈ રહી છે.
બીજી એક થિયરી એવી વહેતી કરવામાં આવી છે કે પાટીદારો અને ભાજપ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ભાજપ અને પાટિદારો વચ્ચે વધી રહેલા અંતરનો એડવાન્ટેજ કેજરીવાલની પાર્ટી આમઆદમી પાર્ટી-આપ ન લઈ જાય તેનું પણ ભાજપના મોવડીઓ ધ્યાન રાખવા માંગે છે.
આ જ કારણોસર નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પ્રફુલ પટેલ અને ગોરધન ઝડફિયાના નામ બોલાઈ રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી જાદુગરની માફક છેલ્લી ઘડીએ આશ્ચર્ય સર્જવાની માનસિકતા ધરાવતા હોવાથી આ સિવાયના અન્ય કોઈ નેતાને શિરે પણ ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ મૂકી દેવાય તેવી શક્યતાને નકારી શકાતી નથી.
જોકે કેન્દ્રમાં અલગ સહકાર ખાતું બનાવવામાં આવ્યું તે પછી સહકારી ક્ષેત્રની સંસ્થાઓ પર વર્ચસ જમાવીને ચૂંટણીની વૈતરણી પાર કરવાનો વ્યૂહ ભાજપ અપનાવી રહ્યોહોવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે. આ સંજોગોમાં સહકાર સાથે સંકળાયેલી વગદાર વ્યક્તિને પણ છેલ્લી ઘડીએ ઊભી કરી દેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાય નહિ.
પરિણામે કેન્દ્રમાંથી જ ગુજરાતની અન્ય કોઈ વ્યક્તિને ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર બેસાડી દેવાની સંભાવનાને પણ નકારી શકાય નહિ. તેનું કારણ આપતા કેટલાક રાજકીય જાણકારો કહે છે કે અત્યારના સંજોગોમાં પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો રસ્તો ગુજરાતમાંથી જાય છે.
આ સ્થિતિને જોતાં અમિત શાહના નામની પણ હવા ચાલી રહી છે. વિજય રૂપાણીને ઓગસ્ટ 2016માં મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી તેના છથી દસ કલાક અગાઉ પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે હું મુખ્યમંત્રીપદની હોડમાં નથી.
તેથી નીતિન પટેલ મુખ્યમંત્રી પદે નિશ્ચિત હોવાની જાહેરાત તમામ મિડીયામાં થવા માંડી હતી, પરંતુ છેલ્લી પંદર મિનિટમાં જ બાજી પલટાઈ ગઈ હતી. આ જ સ્થિતિ આ વખતે પણ સર્જાય તેવી સંભાવનાને નકારી શકાતી નથી. જાદુગર ટોપીમાંથી આશ્ચર્યજનક વસ્તુ બહાર કાઢે તે રીતે ભાજપની નેતાગીરી છેલ્લી ઘડીએ નવું આશ્ચર્ય સર્જી રાજકીય વિશ્લેષકોને ખોટા પાડી દેવામાં માહેર છે.
ગોરધન ઝડફિયાથી ભાજપની નેતાગીરી વરસો સુધી નારાજ રહી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપ વતીથી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી જ તેમનું નામ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ઉપસી આવ્યું છે. પ્રફુલ પટેલ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહીને ભાજપની કેન્દ્રિય નેતાગીરીની ઇચ્છા મુજબ કાર્ય પાર પાડતા હોવાથી તેમનું નામ બોલાઈ રહ્યું છે. પરંતુ મુખ્યમંત્રી પદના બે મોટા દાવેદારોમાં મનસુખ માંડવિયા અને નીતિન પટેલનું નામ બોલાઈ રહ્યું છે.
અલબત્ત નીતિન પટેલથી કેન્દ્રિય નેતાગીરી નારાજ હોવાનું ભૂતકાળમાં પ્રધાનમંત્રીને કે પછી અમિત શાહને એરપોર્ટ પર રિસીવ કરવા ગયા હતા ત્યારે તેમને અવગણ્યા હોવાના વિડીયો વાઈરલ થયેલા છે. આ સ્થિતિમાં તેમને ગુજરાતની બહાર કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દઈને તેમને ગુજરાતથી દૂર કરી દઈન ેમુખ્યમંત્રીના હોદ્દાથી કાયમને માટે દૂર કરી દેવાનો વ્યૂહ પણ અપનાવવામાં આવી શકે છે.
ત્રીજું, ગુજરાતમાં સુરતની ચૂંટણીમાં સહુના આશ્ચર્ય વચ્ચે આપે 27 જેટલી બેઠકો જીતી લઈને ભાજપનો આંચકો આપ્યો છે. તેથી આપ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવા થનગની રહ્યું છે. આ સ્થિતિમાં આપનો વ્યાપ ન વધે તે માટે પાટીદારોની નારાજગી ન વધે તેવો વ્યૂહ ભાજપ અપનાવશે. તેથી પાટીદાર નેતાને સાવ જ અવગણી શકે તેવી શક્યતા સીમિત જણાય છે.
બીજી તરફ અન્ય પછાત વર્ગની 54 ટકા જેટલી વસતિ છે. તેથી અન્ય પછાત વર્ગમાંથી પણ કોઈ વ્યક્તિને ગુજરાતમાં મહત્ત્વના હોદ્દા પર મૂકીન ેતેનો એડવાન્ટેજ લેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. અન્ય પછાત વર્ગની વ્યક્તિને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો મળે તેવી પણ સંભાવના રહેલી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3z1Zlmk
via IFTTT
ટિપ્પણીઓ નથી: