કાશ્મીરમાં બીન મુસ્લિમોને ઠાર કરતા આતંકીઓ


શ્રીનગર, તા.૭

શ્રીનગરના હાર્દસમા વિસ્તાર સફાકદલમાં આતંકીઓએ ગુરુવારે સવારે એક સરકારી સ્કૂલમાં ઘૂસીને એક મહિલા પ્રિન્સિપાલ અને એક શિક્ષકની હત્યા કરતાં છેલ્લા પાંચ દિવસમાં કાશ્મીર ખીણમાં આતંકીઓએ ધોળા દિવસે સાત બીન મુસ્લિમ નાગરિકોની હત્યા કરી છે, જેને પગલે કાશ્મીર ખીણમાં આતંકીઓ ફરીથી ૯૦ના દાયકાનો આતંકવાદ ફેલાવવા સક્રિય બન્યા હોવાનું અને તેમનાથી નાગરિકો ભયભીત થઈ ગયા હોવાનું કહેવાય છે. 'ધ રેસિસ્ટન્સ ફોર્સ'એ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

આતંકીઓએ ગુરુવારે સરકારી સ્કૂલ ઈદગાહના બે શિક્ષકોની પૂર્વ નિયોજિત રીતે હત્યા કરી હતી. સ્કૂલમાં આગામી પરીક્ષાની તૈયારીઓ અંગે શિક્ષકોની બેઠક ચાલી રહી હતી. આતંકીઓ આ મિટિંગમાં ઘૂસી આવ્યા અને બધા શિક્ષકોના નામ પૂછવા લાગ્યા. સ્થાનિક મુસ્લિ શિક્ષકો સિવાય બે બીન મુસ્લિમ શિક્ષકોને આતંકીઓએ બેઠકમાંથી બહાર કાઢ્યા અને સ્કૂલ પરિસરમાં જ ગોળી મારી હત્યા કરી. 

શ્રીનગરના હાર્દસમા વિસ્તારમાં ઈદગાહ ખાતે સરકારી બોય્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઘૂસીને આતંકીઓએ સવારે ૧૧.૧૫ વાગ્યે મહિલા પ્રિન્સિપાલ સુપિન્દર કૌર અને દીપક ચાંદને ગોળી મારી હતી.  સલામતી દળોએ આખો વિસ્તાર ઘેરી લઈને શોધ અભિયાન શરૂ કર્યું છે. આતંકીઓએ જે રીતે આ ઘટનામાં બેની હત્યા કરી હતી તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આતંકીઓએ ફરી બીન મુસ્લિમ, બીન કાશ્મીરીઓને વિણી-વિણીને હત્યા કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા પાંચ દિવસમાં જ આતંકીઓએ સાત નાગરિકોની હત્યા કરી છે. બે દિવસ પહેલાં જ આતંકીઓએ શ્રીનગરના જાણિતા ફાર્માસિસ્ટ માખનલાલ બિંદુની તેમની દૂકાનમાં જઈને જ ગોળી મારી હત્યા કરી હતી. થોડાક કલાક પછી અન્ય એક જગ્યાએ બિહારના એક પાણીપુરીવાળાની પણ હત્યા કરી હતી.

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી કાશ્મીર ખીણમાં તાજેતરમાં જ 'ધ રેસિસ્ટન્સ ફોર્સ' ઊભરી આવી છે. આ જ સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. આતંકીઓએ હવે મોટા હુમલા કરવાના બદલે નિશાન બનાવીને નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું છે. તેઓ વિશેષરૂપે બીન કાશ્મીરી, બીન મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે. ૧૯૯૦ના દાયકામાં પણ કંઈક આવો જ ટ્રેન્ડ ચાલ્યો હતો.

હકીકતમાં ૫ ઑગસ્ટ, ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા પછી સલામતી દળો પર આતંકી હુમલાની ઘટનાઓ ઓછી થઈ ગઈ છે, પરંતુ નાગરિકો પર આતંકીઓના હુમલા વધ્યા છે. બીન કાશ્મીરી મજૂરોની હત્યાથી શરૂ થયેલો સિલસિલો ભાજપના નેતાઓ, સરપંચોની સાથે હવે કાશ્મીરી પંડિતોની ટાર્ગેટેડ હત્યા સુધી પહોંચી ગયો છે. આતંકીઓએ છેલ્લા પાંચ દિવસમાં સાત નાગરિકોની હત્યા કરી છે, જેમાંથી મોટાભાગના લઘુમતીઓ હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આતંકી હુમલામાં ૨૫ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે સૌથી વધુ શ્રીનગરમાં ૧૦, પુલવામા અને અનંતનાગમાં ૪-૪, કુલગામમાં ૩, બારામુલ્લામાં ૨, બડગામ અને બાંદીપુરામાં ૧-૧ નાગરિક હુમલાનો ભોગ બન્યા છે. મહત્વની બાબત એ છે કે આ બધી જ હત્યાઓ ટાર્ગેટેડ કિલિંગ હતી.

બીએસએફે પાક.માંથી શસ્ત્રોની દાણચોરી રોકી

જમ્મુ, તા. ૭

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકીઓ દ્વારા પાકિસ્તાનમાંથી શસ્ત્રોની દાણચોરીનો પ્રયાસ અટકાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરના સામ્બ જિલ્લામાં જંગી પ્રમાણમાં શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો જપ્ત કર્યો હતો. બીએસએફના ડીઆઈજી એસ.પી.એસ. સંધુએ જણાવ્યું હતું કે, જમ્મુની બીએસએફે ગુરુવારે સામ્બ વિસ્તાર નજીક આતંકીઓ દ્વારા શસ્ત્રોની દાણચોરી અટકાવી હતી અને ચાર પિસ્તોલ, આઠ પિસ્તોલ મેગેઝીન અને ૨૩૨ રાઉન્ડ એમ્યુનિશન સહિતનો દારૂગોળો જપ્ત કર્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ys2gIP
via IFTTT

ટિપ્પણીઓ નથી: