મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના પરિવાર પર ITના દરોડા


મહારાષ્ટ્રમાં એનસીપીના મોભી શરદ પવારના સગાસંબંધીઓ એજન્સીઓના રડાર પર

પાંચ સાકર કારખાના સહિતની જગ્યાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહીથી રાજકારણ ગરમાયું

મુંબઇ : મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારના પરિવારજનોને ઇન્કમ ટેક્સ વિભાગે (આઇટી) એકપછી એકને સપાટામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આજે સાકર કારખાના સહિત અનેક જગ્યાએ આઇટીએ રેડ પાડતાં સનસનાટી વ્યાપી હતી. રાજકીય વર્તુળોમાં તર્ક વિર્તકો થવા લાગ્યા છે.

શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સંબંધિત સાકર કારખાનાના સંચાલકોના ઘરે આજે સવારથી આઇટીએ રેડ પાડી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. સાતારાની જરંડેશ્વર સાકર કારખાના પર આઇટી વિભાગે છાપો માર્યો હતો.

ફક્ત જરંડેશ્વર નહીં પણ દોંડ સુગર, આંબલિક સુગર, પુષ્પદનતેશ્વર સુગર અને નંદુરબાર ખાનગી સાકર એમ પાંચ સાકર કારખાના સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બધા સાકર કારખાના અજીત પવારના નિકટવર્તીના છે. 

દરમિયાન અજિત પવારની બહેન વિજ્યા પાટીલના મુક્તા પબ્લિકેશન હાઉસ પર પણ આઇટી વિભાગે રેડ પાડી હતી. આઇટી વિભાગના ચાર અધિકારીઓ મુક્તા પબ્લિકેશનમાં દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરી રહ્યા છે. વિજ્યા પાટીલના કોલ્હાપુર સ્થિત ઘર પર પણ આઇટી વિભાગે છાપો હતો, પણ  વિજ્યા પાટીલ પુઇખડી ખાતેના ઘરમાં ઉપસ્થિત હતા. 

આઇટી વિભાગે કરેલી કાર્યવાહી બદલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેઓ મુંબઈમાં મિડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મને નથી લાગતું કે મારી સાથે સંબંધિત કંપની પર રેડ પાડી તેનું મને લાગી આવ્યું નથી. પરંતુ અફસોસની વાત છે કે મારી બહેન જેને રાજકારણ અથવા કંપનીઓ સાથે સીધો સંબંધ નથી. તેનો માત્ર લોહીથી સંબંધ હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે જણાવ્યું હતું.

રેડ પાડવાનો આવકવેરા વિભાગનો અધિકાર

રેડ કોના પર કરવી તે ઇન્કમ ટેક્સ વિભાગનો અધિકાર છે. જો કંઈ શંકા આવી તો આઇટી રેડ મારી શકે છે. તે પ્રકારે મારા સાથે સંબંધિત કેટલીક કંપની પર રેડ પાડી છે. અમે દર વર્ષે કરવેરો ભરીએ છીએ. રાજ્યના નાણાં મંત્રી તરીકે હું સારી રીતે જાણું છું કે કેવી રીતે નાણાકીય શિસ્ત લગાડી શકાય, કઈ રીતે ટેક્સ ન ભરવો તેથી મારી સંબંધિત કંપનીઓનો ટેક્સ સમયસર ચૂકવવામાં આવે છે, એમ ભારપૂર્વક અજિત પવારે જણાવ્યું હતું.

બહેનો સામે પગલા લીધા ખરાબ લાગે છે

રાજકીય હેતુથી રેડ પાડી છે કે શું તે ફક્ત ઇન્કમ ટેક્સ વિભાગ જ કરી શકશે. મારા સાથેની સંબંધિત કંપની પર રેડ પાડી તે બાબતે મારે કશું કહેવું નથી. કારણ કે હું પણ એક નાગરિક છું. ફક્ત એક વાત ખરાબ લાગી છે. મારી કોલ્હાપુરની એક બહેન અને પુણેમાં રહેતી બે એમ ત્રણ બહેન છે. 

તેઓના લગ્ન 35 થી 40 વર્ષ પહેલા લગ્ન થયા છે. અને તેઓને સંસાર શરૂ છે. તેના પર કાર્યવાહી શરૂ છે. તો પછી  આની પાછળ શું કારણ હું સમજી શક્યો નથી, એમ અજીત પવારે જણાવ્યું હતું. મારી બહેનોનો વ્યવસ્થિતપણે પોતાનું જીવન જીવે છે. તેમના છોકરા-છોકરી પરિણીત છે. તેમના પૌત્રો છે. તેમને અજિત પવારના સંબંધી તરીકે જોવામાં આવે છે. તો રાજ્યની જનતાએ વિચારવું જોઈએ કે કઈ  સ્તરે વિવિધ સંસ્થાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, એમ અજિત પવારે જણાવ્યું હતું.

રાજકરણ ખૂબ જ નીચા સ્તરે થઈ રહ્યું છે

હું અન્ય સંગઠનો અને કંપનીઓ સામે પગલા લેવા વિશે કંઈ કહેવા માગતો નથી. તેઓ જે ઇચ્છે તે કરી શકે છે, પરંતુ જેઓ સંબંધિત નથી. તેમના માટે મને ખરાબ લાગે છે.  આજ સુધી મને ખબર નથી કે આટલા નીચા સ્તરે કોણ રાજકારણ કરી શકે છે. એવું દુ:ખ અજિત પવારે વ્યક્ત કર્યું હતું.

ઘણી સરકારો આવે છે અને જાય છે, પરંતુ જનતા સર્વસ્વ હોય છે. ગત વખતે ચૂંટણી દરમિયાન ઈડીએ શરદ પવારને નોટિસ મોકલી હતી. જ્યારે તેમનો બેન્ક સાથે કોઈ સંબંધ નહોતો. આથી ઘણી રામાયણ અથવા રાજકરણ થયુ ંહતું. તેને યાદ કરીને અજિત પવારે ઇન્કમ ટેક્સ વિભાગના રેડને પુષ્ટિ આપી હતી.

યેદિયુરપ્પાના સાથીના 50 સ્થળો પર આઈટીના દરોડા

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાના નજીકના સાથી ઉમેશના 50થી વધુ પરિસરો પર આવકવેરા વિભાગના કર્મચારીઓએ ગુરૂવારે દરોડા પાડયા હતા. યેદિયુરપ્પાએ પુષ્ટી કરી હતી કે તેમના સાથી યુમેશના પરીસરો પર દરોડા પડયા છે. આઈટી અિધકારીઓ ક્યારેય ખોટું કરનારી કોઈ વ્યક્તિને છોડતા નથી. તેઓ કાયદા મુજબ કામ કરી રહ્યા છે. 

પાર્થ પવારની ઓફિસમાં પણ આવક વેરાનો દરોડો

એન.સી.પી. નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની સામે અડચણી વધી રહી છે. આજે સવારથી અજીત પવાર સંબંધિત પાંચ સાકરના કારખાના, ત્રણ બહેનોના ઘર તેમજ મુક્તા પબ્લિકેશનની કચેરીમાં આવક વેરા વિભાગે

દરોડા પાડયા હતા. એટલું જ નહિ અજીત પવારના પુત્ર પાર્થ પવારની મુંબઇ સ્થિત નરીમાન પોઇન્ટની કચેરીમાં પણ આઇ.ટી.એ. દરોડો પાડયો હતો. પાર્થ પવારની નરીમાન પોઇન્ટ સ્થિત અનેતા મેકર્સ પ્રા.લી. કંપની પર બપોરથી દરોડા પાડવામાં આવ્યો હતો. પાર્થ પવાર અનંતા મકર્સ કંપનીનો સંચાલક છે. આવક વેરા વિભાગે ગુરૂવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પરિવારના સભ્યો સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયો પર દરોડા પાડયા હતા. 

દ્વેષ રાખીને પાડવામાં આવેલા દરોડા: શરદ પવાર

નવરાત્રિના પ્રથમ દિવસે આવક વેરા વિભાગે પાડેલી રેડથી મહારાષ્ટ્રમાં રાજકરણમાં ગરમાવટો આવ્યો છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના સગાંસંબંધીના ઠેકાણે રેડ પાડવામાં આવી હતી. આ રેડ પર શરદ પવારે ફરી કેન્દ્રની સરકાર અને સત્તાધારી ભાજપ સામે લક્ષ સાધ્યું હતું.

અજિત પવાર સંબંધિત કંપની પર દરોડો પાડયો એની પાછળ ઉત્તર પ્રદેશમાં લખીમપૂર ખીરીમાં થયેલા હિંસાચાર પ્રકરણમાં કેન્દ્ર સરકાર સામે લીધેલી આક્રમક ભૂમિકાને લીધે કાર્યવાહી કરાઈ એવું દેખાઈ રહ્યું છે, એમ શરદ પવારે જણાવ્યું હતું.

લખીમપુર ખીરીની હિંસાચારની ઘટનાની તુલના જાલિયનવાલા બાગ હત્યાકાંડ સાથે કરી હતી. તેનો દ્વેષ સત્તાધારી પક્ષના નેતાઓએે રાખ્યો  છે. તેના લીધે કાર્યવાહી કરાઈ હોય એવું દેખાય છે, એમ શરદ પવારે કેન્દ્રની સત્તાધારી ભાજપ સામે જોરદાર નિશાન તાક્યું છે.

ખેડૂતો શાંતિથી આંદોલન કરે અને સત્તધારી પક્ષના સંબંધિતો તેમને કચડી કાઢે છે. આ ઘટનામાં કેટલાક ખેડૂતોના મોત થયા હતા. આવી ઘટના અગાઉ ક્યારેય થઈ નહોતી. આ બનાવનો મહારાષ્ટ્રના પ્રધાન મંડળે નિષેધ કર્યો હતો અને મેં તીવ્ર પ્રતિક્રિયા આપી હતી, એમ શરદ પવારે જણાવ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AneL5g
via IFTTT

ટિપ્પણીઓ નથી: