કાનપુરના વેપારી પાસેથી રૂ. 175 કરોડની રોકડ મળી


અમદાવાદમાં સોપારી ભરેલી ટ્રકો રોકતા બોગસ ઈન્વોઈસની કરોડોની કરચોરીનો પર્દાફાશ

વેપારી પિયુષ જૈનના પુત્રની ધરપકડ, કાઉન્ટિંગ મશીનો ઓછા પડયા : 40 કંપનીઓ રડારમાં

નવી દિલ્હી : સોપારી અને સુગંધી પાન માસાલાના કાનપુરના વેપારી  પિયુષ જૈનને ત્યાં દરોડો પાડતા રૂા. 175 કરોડની રોકડ જપ્ત થઈ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું કે સીબીઆઈસીના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે.

બોગસ ઈન્વોઈસનો આખો ભાંડો અમદાવાદમાં સોપારી ભરેલી ટ્રકો રોકતા ફૂટયો હતો. થોડા દિવસ પૂર્વે અમદાવાદ શહેરમાં પ્રવેશતી કેટલીક ટ્રકોને અટકાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી ખબર પડી કે બોગસ ઈન્વોઈસ બનાવીને સુગંધી સોપારી, ગુટકા બનાવવા માટેની સામગ્રી કાનપુરથી મોકલવામાં આવી હતી.

આવકવેરા ખાતાની ઈન્ટેલીજન્સ વિંગના કેટલાક અધિકારીઓએ કાનપુર અને કનૌજ ખાતે વધુ તપાસ કરતા આ મોટી કરચોરીનો પર્દાફાશ થયો હતો. દરોડાની વિગતો આપતા વિવેક જોહરીએ જણાવ્યું કે ડીજીજીઆઈના અમદાવાદ યુનિટને માહિતી મળી કે પાન મસાલા અને જી કંપની ત્રિમૂર્તિ ફ્રેગરન્સ, બ્રાન્ડેડ ગુટકાના ઉત્પાદકો, કોઈપણ ઈન્વોઈસ વિના અને ટેક્સ ચુકવ્યા વિના માલ મોકલી રહ્યા છે.

આથી ડીજીજીઆઈ (અમદાવાદ)એ પાન મસાલાના ઉત્પાદક અને તેમના સપ્લાયરની પ્રીમાઈસેસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. ઉન્નાઉના એક ટ્રાન્સપોર્ટર અને ફ્રેગરન્સ કંપનીને ત્યાં પણ છાપા મારવામાં આવ્યા કારણ કે તેઓ પણ પાન મસાલા કંપનીને ફ્રેગરન્સનો પૂરવઠો પુરો પાડતા હતા.

વિવેક જોહરીએ વધુ માહિતી આપી કે આમાં સંડોવાયેલી એક પાર્ટીએ ટેક્સ ચોરી કબૂલ કરીને તેના માટે રૂા. 3 કરોડ જમા કરાવી દીધા છે. હજી સુધી કોઈ ધરપકડ નથી કરાઈ. જીએસટી કાયદા મુજબ ઈન્વોઈસની રકમ અમુક મર્યાદાથી વધુ હોય તો ઈન્વોઈસ બનાવવા જરૂરી છે. છાપામારી દરમ્યાન ડીજીજીઆઈને એવી આઈટમ પણ મળી જેના પર જીએસટી 28 ટકાના દરે લાગુ પડે છે.

છાપામારી દરમ્યાન બે વોર્ડરોબ ભરીને રોકડા રકમ મળી  આવી હતી. રોકડાના બંડલ કાગળના કવરોમાં લપેટાયેલા હતા. દરેક કવરમાં આવા 30 બંડલ હતા. રોકડ રકમની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (કાનપુર)ના અધિકારીઓની સહાય લેવામાં આવી છે.

આ રોકડની ગણતરી 24 ડિસેમ્બરની રાત પછી પણ ચાલુ રહી છે. કુલ રકમ 150 કરોડને પાર કરી જાય એવી સંભાવના છે એવી માહિતી જીએસટી અધિકારીઓએ આપી છે. રોકડ ગણવા માટે મંગાવાયેલા મશીનો પણ ખુટી પડયા હતા. સીબીઆઈસી, આઈટી અને જીએસટી વિભાગના અધિકારીઓને આ દરોડામાં હજી વધુ રોકડ મળવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મુંબઈમાં ગુરૂવારે મેસર્સ ત્રિમૂર્તિ ફ્રેગરન્સની ફેકટરીમાં શરૂ થયેલી આ રેડ હજી સુધી ચાલુ છે. આ કંપની શિખર બ્રાન્ડ પાન મસાલા અને અન્ય ગુટકાનું ઉત્પાદન કરે છે. કાનપુર સ્થિત ગણપતિ રોડ કેરિઅર્સના ગોડાઉનમાં પણ રેડ પાડવામાં આવી હતી. ત્યાર બાદ પિયુષ જૈનના યુનિટ પર કાર્યવાહી કરાઈ રહી છે.

ઉપરાંત પર્ફ્યુમના ઉત્પાદનો સપ્લાય કરતા મેસર્સ ઓડોકેમ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોની ફેકટરીમાં પણ રેડ પાડવામાં આવી છે. જીએસટી અધિકારીઓએ આપેલી માહિતી મુજબ બોગસ પેઢીઓના નામે બોગસ ઈન્વોઈસ બનાવવામાં આવ્યા હતા. રૂા. 50,000 ના આવા 200 જેટલા ઈન્વોઈસ હતા જે જીએસટી ચુકવ્યા વિના બનાવાયા હતા.

અખિલેશ યાદવે સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે પિયુષ જૈને એક મહિના અગાઉ સમાજવાદી અત્તરની લોન્ચિંગ લખનઉમાં કરી હતી. આ લોન્ચિંગ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હસ્તક થઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 22 ફુલોથી અત્તર બનાવવામાં આવ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3powM0z
via IFTTT

ટિપ્પણીઓ નથી: