કોરોનાએ ફરી વધારી ચિંતાઃ ગઈકાલની સરખામણીએ મૃતકઆંકમાં 3 ગણો વધારો


- ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુને 31મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર, 2021, મંગળવાર

ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાએ ફરી એક વખત ચિંતામાં વધારો કર્યો છે. હકીકતે છેલ્લા 24 કલાકમાં મૃતકોની જે સંખ્યા સામે આવી છે તે સોમવારની સરખામણીએ 3 ગણાથી પણ વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5,326 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 453 લોકોના મોત થયા છે જે સોમવારની સરખામણીએ 3 ગણાથી પણ વધારે છે. જોકે આ દરમિયાન 8,043 લોકો સ્વસ્થ પણ થયા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,95,060 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશમાં હાલ સક્રિય દર્દીઓની સંખ્યા 79,097 છે. જ્યારે કુલ મૃતકઆંક વધીને 4,78,007 થઈ ગયો છે. કુલ સંક્રમિતોની વાત કરીએ તો તે આંકડો 3,47,52,164 જેટલો છે. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના કુલ 138 કરોડ કરતા પણ વધારે ડોઝ અપાઈ ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના આંકડાઓ પ્રમાણે ગઈકાલે 24 કલાકમાં 6,563 નવા દર્દીઓ સામે આવ્યા હતા. તે દરમિયાન 132 લોકોના મોત થયા હતા અને એક્ટિવ કેસનો આંકડો 82,267 હતો. 

ગુજરાતમાં 31મી ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ

ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુને 31મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીઓ પર લગામ કસવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાતના 1:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/328AEdB
via IFTTT

ટિપ્પણીઓ નથી: