કાલીચરણ મહારાજની ખજુરાહો ખાતેથી ધરપકડ, મહાત્મા ગાંધી માટે કરી હતી વિવાદિત ટિપ્પણી


- રાયપુર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી માટે અયોગ્ય ટિપ્પણી કરનારા સંત કાલીચરણની આખરે ધરપકડ કરવામાં આવી છે. આના પહેલા તેઓ ફરાર હોવાનું કહેવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ રાયપુર પોલીસે સંત કાલીચરણની ખજુરાહો ખાતેથી ધરપકડ કરી છે અને તેમને હવે રાયપુર લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

મહાત્મા ગાંધી અંગે અયોગ્ય ટિપ્પણી કરવાને લઈ કાલીચરણ મહારાજ વિરૂદ્ધ રાયપુર સહિત દેશના અનેક ક્ષેત્રોમાં કેસ દાખલ કરાયો હતો. બુધવારે સાંજે જ એવા સમાચાર આવ્યા હતા કે, કાલીચરણ મહારાજ રાયપુરથી ફરાર થઈ ગયા છે. ત્યારબાદ રાયપુર પોલીસે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમને શોધવાનું શરૂ કરી દીધું હતું. 

રાયપુર એસપી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, કાલીચરણ મહારાજ ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરૂવારે સવારે 4:00 કલાકે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને સાંજ સુધીમાં પોલીસ તેમને રાયપુર લઈ જશે. 

કાલીચરણ મહારાજ વિરૂદ્ધ રાયપુરમાં કલમ 505 (2) અને કલમ 294 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો હતો. રાયપુરના પૂર્વ મેયર અને વર્તમાન અધ્યક્ષ પ્રમોદ દુબેએ તેમના વિરૂદ્ધ FIR દાખલ કરાવી હતી. 

કાલીચરણ મહારાજે શું કહેલું?

રાયપુર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે. આપણી આંખોની સામે જ તેમણે 1947માં કબજો જમાવી લીધો હતો... તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો જમાવ્યો હતો... હું નાથુરામ ગોડસેને નમન કરૂ છું કે તેમણે એ ...ને મારી નાખ્યો.'



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pDpQgj
via IFTTT

ટિપ્પણીઓ નથી: