ભારતીય ક્રિકેટના 'કાશી' અમદાવાદમાં આજે 1000મી વન ડે રમાશે


ભારતની ભૂમિ પરની સૌપ્રથમ વન-ડે 1981માં અમદાવાદમાં રમાઈ હતી

આજે વેસ્ટ ઇન્ડિઝ સામે બપોરે 1.30થી મેચનો પ્રારંભ : 1974થી 2022ની વન-ડે યાત્રામાં ભારતની 518માં જીત અને 431માં હાર થઈ છે

તેંડુલકર (49) અને કોહલી (43)ની સૌથી વધુ સદી

બે વર્લ્ડકપ, બેન્સન હેજીસ, નેટવેસ્ટ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી સફળતા

અમદાવાદ : ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે આવતીકાલે અહીં મોટેરા સ્ટેડિયમ પર રમાનાર ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ વન ડે ભારતીય ક્રિકેટ ઈતિહાસની 1,000મી વન ડે ઈન્ટરનેશનલ હશે.

અમદાવાદ જોડે તે રીતે ભારતીય ક્રિકેટનો વિશિષ્ટ સંયોગ કહી શકાય કે ભારતની ભૂમિ પરની સૌપ્રથમ વન ડે ઈન્ટરનેશનલ પણ અમદાવાદમાં જ રમાઈ હતી. 1981ની તે સાલમાં મોટેરા સ્ટેડિયમ નહતું અને નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તે મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો.

ક્રિકેટ વિશ્વમાં ભારત છેક 1983 સુધી ભારતને વન ડે ક્રિકેટમાં ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, આયાર્લેન્ડ જેવી એસોસિએટ પ્રકારની ટીમ જ મનાતી હતી. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈંડિઝ અને ઈંગ્લેન્ડનું જ મુખ્ય ક્રિકેટ દેશ જેવું વર્ચસ્વ હતું. 

પણ 1883માં કપિલદેવના નેતૃત્વ હેઠળ ભારતે ક્રિકેટ વિશ્વનો મેજર અપસેટ સર્જતા વેસ્ટ ઈંડિઝની અપરાજિત મનાતી લોઈડની કેપ્ટન્સી હેઠળની ટીમને હરાવીને ભારતે વર્લ્ડકપ જીત્યો અને ભારતીય ક્રિકેટમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને જોશની વસંત ખીલી.

આ વિજયનું પરિણામ એ આવ્યું કે 1985માં બેન્શન હેજીસ બહુરાષ્ટ્રીય જંગમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ગાવાસ્કરની કેપ્ટન્સીમાં ચેમ્પિયનશીપ જીતી. રવિ શાસ્ત્રીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.

તે પછીના શારજાહ ક્રિકેટના યુગમાં મહ્દઅંશે ભારતનો પાકિસ્તાન સામે પરાજય થતો હતો પણ તેંડુલકરના આગમન પછી ભારતના ક્રિકેટનું વજન પડવા લાગ્યું. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં ફટકારેલી બેક ટુ બેક બે સદી ભારતના વન ડે ઈતિહાસની અને તેંડુલકરની નજરે પણ તેણે રમેલી શ્રેષ્ઠ પાંચ વન ડે ઈનિંગમાં સ્થાન પામે છે.

તેંડુલકર વન ડેમાં બેવડી સદી ફટકારનાર પણ પ્રથમ ક્રિકેટર બન્યો. ભારતે ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડમાં નેટવેસ્ટ ટ્રોફીમાં યુવરાજસિંઘ અને કૈફની યાદગાર ભાગીદારીથી પરાજ્ય આપીને ચેમ્પિયનશીપ મેળવી તે ભારતીય ક્રિકેટનો દમદાર દેખાવ મનાય છે. ગાંગુલીએ વટ કે સાથ આ વિજય સાથે લોર્ડઝની બાલ્કનીમાં શર્ટ કાડી લહેરાવ્યું હતું.

સચિન 49 વન ડે સદી સાથે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે તો કોહલીએ સચિન પછીની સિધ્ધી મેળવી 43 વન ડે સદી ફટકારી છે. ધોનીની કેપ્ટન્સી નીચે ભારતે 2011માં વન ડેનો વર્લ્ડકપ જીત્યો. રોહિત શર્માએ ત્રણ વખત વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે જે વર્લ્ડ રેકોર્ડ છે. બોલિંગમાં કુમ્બલે 334, શ્રીનાથ 315, અગરકર 288, ઝાહિરખાન 269 અને હરભજન ટોપ ફાઈવમાં છે. વર્તમાન ક્રિકેટરોમાં જાડેજા 168 મેચમાં 164 વિકેટ સાથે ટોપ ટેનમાં છે.

ભારત અત્યાર સુધીમાં 999 વન ડેમાં 518માં જીત્યું છે અને 431માં હાર્યું છે. 9 મેચ ટાઈમાં પરિણામી છે અને 41 મેચ અનિર્ણીત રહી છે. ભારતની જીત-હારનો રેશિયો 1.21 છે. ટકાવારીની રીતે 54.54 ટકા મેચ જીત્યા છે. આવતી કાલે વિન્ડિઝ સામેની મેચ બપોરના 1.30થી શરૂ થશે. કોરોના નિયંત્રણને લીધે આ વન-ડે શ્રેણી બંધ-બારણે રમાનારી હોઈ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે.

અમદાવાદમાં ભારતીય ક્રિકેટની સિદ્ધિઓ

* ભારતની ભૂમિ પરની સૌપ્રથમ વન ડે ઈન્ટરનેશનલ ઈંગ્લેન્ડ સામે 1981માં સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરામાં યોજાઈ હતી.

* ગાવાસ્કરની ટેસ્ટ કારકિર્દીનો 10,000મો રન 1987માં મોટેરા સ્ટેડિયમમાં નોંધાયો હતો.

* કપિલદેવે વેસ્ટ ઈંડિઝ સામે 1983માં 83 રનમાં 9 વિકેટ ઝડપી હતી.

* કપિલદેવે ટેસ્ટ ક્રિકેટનો સૌથી વધુ 431 ટેસ્ટ વિકેટનો રિચર્ડ હેડલીનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકા સામે 1994માં તોડયો હતો.

* વી.વી.એસ. લક્ષ્મણે 1996માં તેની ટેસ્ટ કારક્રિદીનો પ્રારંભ કર્યો.

* તેંડુલકરે 18,000મો વન ડે રન નોંધાવ્યો.

* હરભજન સિંઘે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ન્યુઝીલેન્ડ સામે (115)મોટેરા સ્ટેડિયમમાં જ 2010માં નોંધાવેલી.

* ઓફ સ્પિનર અશ્વિને 400મી ટેસ્ટ વિકેટ ઈંગ્લેન્ડ સામે 2021માં ઝડપી હતી.

* રોહિત શર્મા કોહલીના સ્થાને કેપ્ટન્સીનો પ્રારંભ કરશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fAUHCoe
via IFTTT

ટિપ્પણીઓ નથી: