લતા મંગેશકરની તબિયત ફરી કથળતા આઈસીયુમાં : દેશભરમાં પ્રાર્થના

કોવિડ ન્યુમોનિયામાં સપડાયાના 28 દિવસ બાદ
હોસ્પિટલમાં લતાજીના ખબર અંતર પૂછ્યા બાદ આશા ભોંસલેએ કહ્યું દીદીની તબિયતમાં હવે સુધારો થયો છે
મુંબઈ : કોવિડ ન્યુમોનિયાથી પીડાઈ રહેલી દંતકથા સમી ગાયિકા લતા મંગેશકરનું સ્વાસ્થ્ય કથળતા તેમને ફરી વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા છે અને તેમના પર હવે એગ્રેસિવ ઉપચાર કરવામાં આવી રહ્યા હોવાની માહિતી શનિવારે તેમની સારવાર કરી રહેલા ડોકટરે આપી છે.
તબીયત કથળવાના સમાચાર મળતા જ દેશભરના તમામ ધર્મસ્થાનોમાં લતાજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને દુઆ થઈ રહી છે. દરમ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે તેમજ એનસીપીના નેતા સુપ્રિયા સુળે સાંજે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડોકટરો સાથે વાતચીત કરીને લતાદીદીની તબિયત વિશે જાણકારી મેળવી હતી.
લતાજીના બહેન અને પાર્શ્વ ગાયિકા આશા ભોંસલે પણ દીદીની તબિયત વિશે જાણકારી મેળવવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે 92 વર્ષીય ગાયિકા 8મી જાન્યુઆરીએ કોવિડના હળવા લક્ષણો સાથે પોઝિટિવ જણાતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કરાયા હતા જ્યાં ડો. પ્રતિત સમદાણી અને તેમની ટીમ દીદીની સારવાર કરી રહી છે.
સમદાણીએ મીડિયાને જણાવ્યું કે લતા દીદી આઈસીયુમાં છે અને તેમને એગ્રેસીવ થેરપી અપાઈ રહી છે. હાલ તેઓ તમામ સારવારનો સારો પ્રતિસાદ આપી રહ્યા છે એમ પણ ડોકટરે જણાવ્યું. અગાઉ તેમણે જણાવ્યું હતું કે લતા દીદીની તબીયત ફરી કથળી છે. તેમને તકલીફ થતા ફરી આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે અને વેન્ટીલેટર પર મુકાયા છે.
29 જાન્યુઆરીએ સમદાણીએ જણાવ્યું હતું કે દીદી પર સારવારની સકારાત્મક અસર થઈ હોવાથી તેમને વેન્ટીલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે પણ આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 29 નવેમ્બરે લતાજીને શ્વાસની તકલીફ થતા આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું. તેમને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.
ભારતની સૌથી મહાન પાર્શ્વ ગાયિકા લતા મંગેશકરે તેમની કારકિર્દીની શરૂઆત 1942માં માત્ર 13 વર્ષની વયે શરૂ કરી હતી અને વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે. કારકિર્દીમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમની સાત દાયકાની કારકિર્દીમાં કેટલાક ગીતો અમર થઈ ગયા છે અને આજે પણ એટલા જ લોકપ્રિય છે.
અજીબ દાસ્તાં હૈ યે, આયેગા આયેગા, પ્યાર કિયા તો ડરના ક્યા, નીલા આસમાન સો ગયા જેવા ગીતો આજે પણ લોકોને ગણગણવા ગમે છે. ભારતની કોકિલ કંઠી ગણાતા લતાજીને લગભગ તમામ એવોર્ડ અપાઈ ચુકાયા છે. દેશનો સૌથી ઉચ્ચ એવોર્ડ ભારત રત્ન તેમજ પદ્મ ભુષણ, પદ્મ વિભુષણ અને દાદા સાહેબ ફળકે એવોર્ડ તેમને આપવામાં આવ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MQL7wJV
via IFTTT
ટિપ્પણીઓ નથી: