ન્યૂ ઈન્ડિયાને ડિજિટલ લોલિપોપ : મધ્યમવર્ગ ઠેરનો ઠેર


નવી દિલ્હી, તા.૧
ન્યૂ ઈન્ડિયામાં ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ માર્કેટ (ઈ-કોમર્સ)ની સાથે ડિજિટલ (ઓનલાઈન) શિક્ષણ, ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા વધી રહી છે. તેમજ સમગ્ર વિશ્વ વર્ચ્યુઅલ કરન્સી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સરકાર પણ અર્થતંત્રને ડિજિટલ બનાવવા આગળ વધી રહી છે. કદાચ એટલે જ કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારામને વર્ષ ૨૦૨૨-૨૩નું ડિજિટલ બજેટ રજૂ કર્યું ત્યારે તેમાં ડિજિટલ ઈન્ડિયા પર વધુ ભાર મૂક્યો છે. નવા ભારતના આ બજેટમાં કરન્સી, યુનિવર્સિટી, સ્વાસ્થ્ય ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં ડિજિટલ એક્ટિવિટીને પ્રોત્સાહન અપાયું છે. નાણામંત્રીએ સતત બીજા વર્ષે ટેબ્લેટથી બજેટ રજૂ કર્યું હતું. જોકે, વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર ન કરાતાં નિષ્ણાતોએ મધ્યમ વર્ગ માટે બજેટને ડિજિટલ લોલીપોપ સમાન ગણાવ્યું હતું.
સીતારામનનું સતત બીજું ડિજિટલ બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કોરોના મહામારીથી ભાંગી પડેલા અર્થતંત્રને બેઠું કરવા માટે હાઈવે અને અફોર્ડેબલ હાઉસિંગ પર વધુ ખર્ચ સાથે રૂ. ૩૯.૪૫ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. સીતારામને મંગળવારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં ચોથું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ સતત બીજા વર્ષે ટેબલેટમાંથી વાંચીને બજેટનું ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ બજેટમાં આગામી ૨૫ વર્ષના અર્થતંત્રનો પાયો રચવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બેજટને અર્થતંત્રને મજબૂતી આપતું બજેટ ગણાવ્યું હતું.
આગામી ૨૫ વર્ષ માટે વિકાસનો પાયો નાંખતું બજેટ
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું કેન્દ્રીય બજેટ આગામી ૨૫ વર્ષના વિકાસનો પાયો નાંખશે. દેશ હાલ આઝાદીના ૭૫ વર્ષ માટે અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. આ બજેટ ૨૫ વર્ષ પછી આઝાદીના શતાબ્દી વર્ષના સમયમાં ભારતના અર્થતંત્રની બ્લુપ્રિન્ટ રજૂ કરે છે.  
ટેક્સ નહીં વધારીને મધ્યમ વર્ગને રાહત આપી : સીતારામન
જોકે, વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફારની મધ્યમ વર્ગની આશા આ બજેટમાં પણ પૂરી થઈ શકી નહોતી. મોદી સરકારે છેલ્લા સાત વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો ન હોવાથી મધ્યમ વર્ગ ઠેરનો ઠેર હોવાનું અનુભવી રહ્યો છે. જોકે, બજેટ પછી પત્રકાર પરિષદમાં સીતારામને જણાવ્યું હતું કે સરકારે ગયા વર્ષે અને આ વર્ષે ટેક્સ નહીં વધારીને મધ્યમ વર્ગને ઘણી મોટી રાહત આપી છે.
કો-ઓપ. સોસા. ઉપર ટેક્સ ઘટાડી ૧૫ ટકા, સરચાર્જ ૭ ટકા કરાયો
ટેક્સ સંબધિત મોટી જાહેરાત કરતાં સીતારામને સહકારી મંડળીઓને કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા ૧૮ ટકાનો ટેક્સ ઘટાડીને ૧૫ ટકા કર્યો છે તેમજ સરચાર્જ ૧૨ ટકાથી ઘટાડી ૭ ટકા કર્યો છે. સરકારને કોર્પોરેટ ટેક્સની આવક વધીને ૫.૪૭ લાખ કરોડ થવાની સંભાવના છે, જે ૨૦૨૧માં ૪.૪૬ લાખ કરોડ હતી.
મૂડી ખર્ચ ૩૫ ટકા વધી રૂ. ૭.૫ લાખ કરોડ થશે
નાણામંત્રીએ રોજગારીના સર્જન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કર્યો છે. એપ્રિલ ૨૦૨૨થી શરૂ થતા નાણાકીય વર્ષ માટેના આ બજેટમાં ૩૫ ટકાના વધારા સાથે રૂ. ૭.૫ લાખ કરોડના મૂડી ખર્ચની ભલામણ કરાઈ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે બજેટમાં ૫જી સ્પેક્ટ્રમની હરાજી, ૨૫,૦૦૦ કિ.મી. સુધીના નેશનલ હાઈવે બનાવવા ખર્ચ, નદીઓના ઈન્ટર-લિન્કિંગ અને નવી પેઢીની ૪૦૦ વંદે ભારત ટ્રેન બનાવવા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને પ્રોત્સાહન આપ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DSvIgJ1Bo
via IFTTT

ટિપ્પણીઓ નથી: