કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર

- કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ
નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર
કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ છે.
સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12 ટકાએ પહોંચી શકે છે જે એપ્રિલમાં 8 ટકા હતો.
આ દરમિયાન આશરે 1 કરોડ લોકો બેરોજગાર થયા જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર જ છે. મહેશ વ્યાસના મતે હવે જ્યારે આર્થિક ગતિવિધિઓ ખુલી રહી છે તો થોડીક પરેશાનીઓનો જ અંત આવશે, બધી નહીં.
ધીરે-ધીરે થશે રિકવરી
મહેશ વ્યાસે જણાવ્યું કે, જે લોકોએ નોકરીઓ ગુમાવી છે તેમને ભારે મુશ્કેલીથી ફરી રોજગાર મળી રહ્યો છે. ઈન્ફોર્મલ સેક્ટર અમુક અંશે રિકવર થઈ રહ્યા છે પરંતુ જે ફોર્મલ સેક્ટર્સ છે, સારી ક્વોલિટીની નોકરી છે તેવા ક્ષેત્રમાં વાપસીને સમય લાગશે.
મે 2020માં બેરોજગારીનો દર 23.5 ટકાએ પહોંચી ગયો હતો અને તે સમયે નેશનલ લોકડાઉન લાગ્યું હતું. પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો રાજ્યોએ ધીમે-ધીમે પોતાના સ્તરે પ્રતિબંધો લગાવ્યા અને જે કામો શરૂ થયા હતા તે ફરી બંધ થઈ ગયા.
મહેશ વ્યાસના મતે જો બેરોજગારી દર 3-4 ટકા સુધીનો રહેશે તો તે ભારતીય અર્થતંત્ર માટે નોર્મલ માનવામાં આવશે. CMIEએ આશરે 17.5 લાખ પરિવારોનો સર્વે કર્યો હતો જેમાં પરિવારની આવક અંગેની જાણકારી લેવામાં આવી હતી. કોરોના કાળમાં અનેક પરિવારોની આવક પહેલાની સરખામણીએ ખૂબ ઘટી ગઈ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uFJp6O
via IFTTT
ટિપ્પણીઓ નથી: