આજે પીએમની સર્વપક્ષીય બેઠક, કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ, ઇન્ટરનેટ સસ્પેન્ડ


- કાશ્મીરમાં 370 લાગુ કરવાની અબ્દુલ્લા, મેહબુબાની માગ વચ્ચે

- પીએમના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં કાશ્મીર અંગે ચર્ચા થશે, કોંગ્રેસ સહિતના પક્ષો પણ ભાગ લે તેવી શક્યતા

શ્રીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે ગુરુવારે જમ્મુ કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે યોજાનારી આ બેઠક પૂર્વે જ જમ્મુ કાશ્મીરમાં હિંસા કે આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને ૪૮ કલાક માટે એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ ઇન્ટરનેટ સેવાને પણ હાલ પુરતા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.  પીપલ્સ એલાયંસ ફોર ગુપકાર ડિક્લરેશન (પીએજીડી)ના સભ્ય નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વગેરે સંગઠનો કાશ્મીરમાં ૩૭૦ ફરી લાગુ કરવા તેમજ વિવિધ રાજ્યોમાં કેદ કાશ્મીરી બંધકોને છોડવાની માગણી મુકશે. પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ તો પાકિસ્તાન સાથે વાત કરવા પણ કેન્દ્ર સરકારને અપીલ કરી છે. આ પક્ષોને અલગ અલગ રીતે આમંત્રીત કરવામાં આવ્યા છે તેથી તેઓ પોતાની માગણીઓ પણ પીએમ મોદી સાથેની બેઠકમાં રજુ કરશે. 

પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં કાશ્મીર મુદ્દે વાતચીત થાય અને કાશ્મીરીઓના હિતોનું ધ્યાન રખાય તો જ તેને સ્વિકાર કરીશું.  દરમિયાન જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના નેતા સૈયદ અલ્તાફ બુખારી પણ પીએમ મોદીના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ૨૪મી તારીખે ગુરુવારે યોજાનારી બેઠકમાં સામેલ થશે. સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા માટે જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિંદર રૈના અને પાર્ટીના નેતા તથા પૂર્વ ડે. સીએમ કવિંદર ગુપ્તા જમ્મુથી દિલ્હી જવા રવાના થયા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થઇ ગયા હતા. આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ થવા માટે તૈયાર છે. આ પહેલા ફારુક અબ્દુલ્લાના ઘરે એક બેઠક મળી હતી જેમાં પીએમ સાથેની બેઠકમાં ક્યા મુદ્દા ઉઠાવવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે અમે કોઇ પણ વાતચીતના વિરોધમાં નથી. અમરે વાતચીતનો કોઇ એજંડા નથી જણાવાયો. તેથી દરેક મુદ્દે વાતચીત થશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gXIzNZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: