દેશમાં કોરોનાના નવા 60 હજાર કેસ, આજથી તેલંગાણા 'અનલોક'


પહેલી જુલાઇથી તેલંગાણાની બધી જ સ્કૂલ-કોલેજો શરૂ થશે

રાજ્યો પાસે કોરોના રસીના હજુ 2.87 કરોડ ડોઝ, અત્યાર સુધીમાં કુલ 28.50 કરોડ ડોઝ અપાયા : કેન્દ્ર 

લોકડાઉન ખોલવામાં કાળજી રાખવી, માર્કેટમાં ભીડ ન થવા દેવી, રસીકરણ વધુ ઝડપી બનાવવું : રાજ્યોને કેન્દ્રનો આદેશ

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 60 હજાર કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા 2.98 કરોડે પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસો હવે ઘટીને સાત લાખે પહોંચી ગયા છે.

આ દરમિયાન વધુ 1647 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંકની સંખ્યા 3.85 લાખને પાર પહોંચી ગઇ છે. આ દરમિયાન 24 કલાકમાં કોરોનાના 19 લાખ ટેસ્ટ કરાયા છે. હવે રાજ્યો લોકડાઉન ખોલવા તરફ આગળ વધી રહ્યા છે. તેલંગાણામાં પહેલી રવિવારથી મોટા ભાગના પ્રતિબંધો ઉઠાવી લેવાશે.

તેલંગાણામાં એક મહિના સુધી લોકડાઉન લગાવાયું હતું, જે રવિવારે ખોલી નાખવામાં આવશે. જ્યારે પહેલી જુલાઇથી તેલંગાણાની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, કોલેજ-સ્કૂલ વગેરેને પણ ખોલી નાખવામાં આવશે. કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાથી રાજ્યો અનલોક તરફ આગળ વધી રહ્યા છે. 

તેલંગાણાના સ્વાસ્થ્ય વિભાગે રિપોર્ટ સોપ્યો તેમાં કહ્યું હતું કે રાજ્યમાં હવે કોરોના વાઇરસ કાબુમાં છે. જે બાદ સરકારે લોકડાઉન ખોલવાનો નિર્ણય લીધો હતો. તેલંગાણામાં કોરોનાના નવા માત્ર 1500 જેટલા કેસો સામે આવ્યા હતા. પહેલી જુલાઇથી બધી જ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે અને વિદ્યાર્થીઓ રૂબરૂ સ્કૂલ-કોલેજ જઇ શકશે.

બીજી તરફ રાજ્યો હવે લોકડાઉન ખોલવા તરફ આગળ વધી રહ્યા છે એવામાં કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે લોકડાઉન ખોલવામાં કાળજી રાખવામાં આવે, માર્કેટમાં ભીડ એકઠી ન થાય તેવી તકેદારી રાખવામાં આવે. 

સ્થાનિક સ્તરે કોરોના વાઇરસની શું સ્થિતિ છે તેને ચકાસ્યા બાદ જ લોકડાઉન ખોલવાનો નિર્ણય લેવામાં આવે. લોકડાઉન ખોલવામાં આવે તો પણ માર્કેટમાં વધુ ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. 

ડોક્ટરો પર હુમલાની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે ડોક્ટરો કે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાના કેસમાં એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે. કેન્દ્રએ સાથે એમ પણ કહ્યું છે કે ડોક્ટરો પર કોઇ પણ પ્રકારનો હુમલો થાય તો તેની સીધી અસર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ચાલી રહેલી સારવાર પ્રક્રિયા પર પડે છે. 

એવામાં આવુ કૃત્યુ કરનારાઓની સામે કડક પગલા લેવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે. જ્યારે રસીકરણ તેજ બનાવવાના આદેશ પણ અપાયા છે. કેન્દ્રએ કહ્યું હતું કે રાજ્યોને અત્યાર સુધી રસીના 28.50 કરોડ ડોઝ અપાયા છે અને રાજ્યો પાસે હજુ પણ 2.87 કરોડ ડોઝ ઉપલબ્ધ છે. ત્રણ દિવસમાં વધુ 52.26 લાખ ડોઝ અપાશે.  

બિહારમાં પાંચ મહિનામાં 75 હજારના મૃત્યુનું કારણ સરકારને ખબર જ નથી

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન બિહારમાં 75 હજાર લોકોના મોત થયા હતા, જોકે આ મોતનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. તેથી સરકાર દ્વારા કોરોનાને કારણે માર્યા ગયેલા લોકોના જે આંકડા જાહેર કરવામાં આવ્યા તેને લઇને પણ અનેક અટકળો ચાલી રહી છે અને વિપક્ષે આંકડા છુપાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે.

  બિહારમાં આ વર્ષે જ છેલ્લા પાંચ મહિનામાં 75 હજાર લોકોના મોત થયા તેમના મોતનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. આ આંકડો રાજ્ય દ્વારા કોરોનાથી જે મોત થયા તેના આંકડા જાહેર કરવામા આવ્યા તેના 10 ગણા વધુ છે.

બિહારમાં જાન્યુઆરી-મે 2019માં લગભગ 1.3 લાખ લોકોના મોત નિપજ્યા હતા. જે આંકડો આ જ સમયગાળા દરમિયાન 2021માં 2.2 લાખ હતો. જેમાં આશરે 85000નું અંતર જોવા મળ્યું છે. જાન્યુઆરી-મે 2021માં બિહારમાં કોરોનાથી 7,717 લોકોના મોત થયા હતા. 

શહીદ છ જવાનોના પરિવારને દિલ્હી સરકારની એક કરોડની સહાય 

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ઇન્ડિયન એર ફોર્સ, દિલ્હી પોલીસ અને સિવિલ ડિફેન્સના છ જવાનોના પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

ફરજ દરમિયાન મૃત્યુ પામેલા આ છ જવાનોમાં ત્રણ ઇન્ડિયન એર ફોર્સના, બે દિલ્હી પોલીસના અને ત્રણ સિવિલ ડિફેન્સ વિંગના છે. આ અંગેની જાહેરાત કરતા ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સરકાર ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારની સાથે ખભે ખભો મિલાવીને ઉભી રહેશે. અને જે પણ શક્ય હોય તે મદદ કરવામાં આવશે. સાથે જ સરકાર શહીદોેને સલામ કરે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qdmL5u
via IFTTT

ટિપ્પણીઓ નથી: