યોગી કેબિનેટમાં એેકે શર્માને મળશે મહત્વનો રોલ, BJP સંગઠનમાં નહીં થાય મોટા ફેરફાર


- ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા જુલાઈમાં યુપીનો પ્રવાસ કરે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. ભાજપમાં આંતરિક મતભેદના સમાચારો વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે લખનૌ ખાતે 3 દિવસ સુધી મંથન કર્યું હતું. આ મંથન બાદના સૌથી મહત્વના અને મોટા સમાચાર એ છે કે, યુપીના સંગઠનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 

જાણવા મળ્યા મુજબ ભાજપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહના નેતૃત્વમાં જ આગામી વિધાનસભા ચૂંટણી લડશે. આગામી 1-2 સપ્તાહમાં યુપી કેબિનેટમાં મોટા ફેરફાર થશે જેમાં અનેક નવા ચહેરાઓને જગ્યા મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે એકે શર્માને યુપી સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે. 

યુપીમાં પ્રદેશ અધ્યક્ષ બદલાવાની અટકળો પર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે વિરામ મુક્યો છે. યુપીમાં ચૂંટણી પહેલા સતત સંગઠન અને સરકારની સમન્વય બેઠકો યોજાતી રહેશે. થોડા દિવસ પહેલા લખનૌ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સંઘના પદાધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓનો ફીડબેક લીધો હતો. 

સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેના ફીડબેકના આધાર પર ભાજપે સંગઠન મહાસચિવ બીએલ સંતોષને લખનૌ મોકલ્યા હતા અને તેમણે 3 દિવસની બેઠકો યોજી હતી. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા જુલાઈમાં યુપીનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vUUW3U
via IFTTT

ટિપ્પણીઓ નથી: