કોરોનાની રસીની આડઅસરના કારણે દેશમાં એકના મોતની કેન્દ્રની પુષ્ટી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૫
દેશમાં કોરોનાની રસી લીધા પછી એક વ્યક્તિના મોતનો સૌપ્રથમ કેસ નોંધાયો હોવાની સરકારે પુષ્ટી કરી છે. કોરોનાની રસીની આડઅસરોનો અભ્યાસ કરી રહેલી સરકારની સમિતિએ રસીકરણ પછી એનાફિલેક્સિસ (જીવલેણ એલર્જી)ના કારણે મૃત્યુના પહેલા કેસની પુષ્ટી કરી છે. કોરોનાની રસી મૂકાયા પછી પ્રતિકળ અસરોથી મોતના ૩૧ કેસોનું સમિતિએ મૂલ્યાંકન કર્યું છે. રાષ્ટ્રીય એઈએફઆઈ સમિતિના અહેવાલ મુજબ ૬૮ વર્ષની એક વ્યક્તિને ૮મી માર્ચ, ૨૦૨૧ના રોજ રસી અપાઈ હતી, ત્યાર પછી ગંભીર એલર્જીના કારણે તેનું મોત થઈ ગયું. રસીના પ્રત્યેક ડોઝમાં મોતના કેસ ૨.૭ હોવાનું સરકારનું કહેવું છે.
સમિતિના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું કે, આ કોરોના રસીકરણ સાથે સંકળાયેલા એનાફિલેક્સિસથી મોતનો પહેલો કિસ્સો છે. આ ઘટનાથી એક બાબત સ્પષ્ટ થાય છે કે રસી મૂકાવ્યા પછી રસીકરણ કેન્દ્ર પર ૩૦ મિનિટ સુધી રાહ જોવી જરૂરી છે. મોટાભાગે એનાફિલેક્ટિક પ્રતિક્રિયાઓ અડધો કલાકના સમયમાં થઈ જાય છે અને તાત્કાલિક સારવારથી દર્દીને મરતો બચાવી શકાય છે. સમિતિએ એવા કિસ્સાઓનો અભ્યાસ કર્યો, જે પાંચ ફેબુ્રઆરીએ સામે આવ્યા હતા. આઠ કેસ ૯મી માર્ચે અને ૧૮ કેસ ૩૧મી માર્ચે સામે આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવાયું છે કે એપ્રિલના પહેલા સપ્તાહના આંકડા મુજબ રસીના પ્રત્યેક ૧૦ લાખ ડોઝમાં મૃત્યુના કેસ ૨.૭ છે. ૧૦ લાખ ડોઝમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ૪.૮ છે. સમિતિએ કહ્યું કે મૃત્યુ થવું અથવા દર્દીનું હોસ્પિટલમાં દાખલ થવું એ સાબિત નથી કરતું કે આ ઘટનાઓ રસી મૂકાવાના કારણે થઈ. સમિતિ મુજબ મોતના કુલ ૩૧ કેસમાંથી ૧૮ કેસમાં દર્દીઓની મોતને રસીકરણ સાથે કોઈ લેવા-દેવા નહોતી. સાત કેસને અનિશ્ચિત શ્રેણીમાં રખાયા છે. ત્રણ કેસ રસીના ઉત્પાદન સંબંધિત હતા. એક કેસ ચિંતા અને વ્યાકુળતા સાથે સંબંધિત હતો અને બે કેસને કોઈ શ્રેણીમાં રખાયા નથી.
એનાફિલેક્સિસ એક જીવલેણ એલર્જી હોય છે. તેની તુરંત સારવાર થવી જોઈએ. આ એક ઈમર્જન્સી સ્થિતિ છે, જે ઝડપથી ફેલાય છે. સમયસર તેની સારવાર થાય તો આ અસામાન્ય એલર્જીથી મોટાભાગના લોકો સાજા થઈ જાય છે. ત્વચા પર ચકામા પડી જવા, ખંજવાળ થવા લાગવી અને સોજો આવવો એ એનાફિલેક્સિસના મુખ્ય લક્ષણો છે. ઓક્સિજનની અછતના કારણે ત્વચાનો રંગ વાદળી પડી શકે છે. અનેક વખત ચક્કર આવે છે અને માથામાં દુખાવો પણ થવા લાગે છે. શ્વાસ લેવામાં ઘરઘરાહટનો અવાજ આવે છે. જીભ પર પણ સોજો થાય છે. એનાફિલેક્સિસના આ લક્ષણોથી દર્દીએ તુરંત હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ તેમ સૂત્રોનું કહેવું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gswHo9
via IFTTT
ટિપ્પણીઓ નથી: