'ધીરજનો બંધ તૂટી ચુક્યો છે, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે'- શિવસેનાની કેન્દ્ર પાસે માંગ

- આજ સુધી મહારાજા હરિ સિંહના જન્મદિવસ પર અવકાશ નથી મળી શક્યો
નવી દિલ્હી, તા. 12 જૂન, 2021, શનિવાર
શિવસેનાએ જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. શિવસેનાના નેતાઓએ શુક્રવારે જમ્મુ પ્રેસ ક્લબ ખાતે આ માંગણી ઉઠાવી હતી. શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને અલગ દરજ્જો મળે, જમ્મુને અલગ વિધાનસભા અને બંધારણીય દરજ્જો મળે. બાલા સાહેબ ઠાકરે જમ્મુ અને કાશ્મીર યુનિટના અધ્યક્ષ મનીષ સાહનીની અધ્યક્ષતામાં કાર્યકરોએ આ માંગણી દોહરાવી હતી.
શિવસેનાના નેતાઓના કહેવા પ્રમાણે કાશ્મીરની ભૂલો અને ભેદભાવને હવે નહીં સ્વીકારવામાં આવે. હવે સમય આવી ગયો છે કે, જમ્મુ પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે. મનીષ સાહનીએ જણાવ્યું કે, જમ્મુને કેન્દ્રશાસીત પ્રદેશ બનવું મંજૂર છે પરંતુ કાશ્મીર સાથે જોડાયેલા રહેવું કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. છેલ્લા 73 વર્ષોથી જમ્મુ ભેદભાવ ઉપરાંત કાશ્મીરી નેતાઓની ભૂલની સજા ભોગવી રહ્યું છે જે આજે પણ ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીર પાસેથી રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો તેનું મુખ્ય કારણ પણ કાશ્મીરમાં સક્રિય આતંકવાદ અને કાશ્મીરી નેતાઓના વિવાદાસ્પદ વિચાર જ છે. સાહનીએ કાશ્મીરી નેતાઓને તકવાદી દર્શાવતા કહ્યું કે, આજે પણ કાશ્મીરના નેતાઓ કલમ 370 નાબૂદી અને દુશ્મન દેશ પાકિસ્તાન તથા ચીનનો રાગ આલાપવાની કોઈ તક નથી છોડતા.
કાશ્મીરી નેતાઓનો સાથ મંજૂર નથી
શિવસેનાના નેતાઓએ જણાવ્યું કે, જમ્મુ ભારતીય બંધારણ અને નિશાન લાગૂ થવાનો વિરોધ કરનારાઓ સાથે કોઈ હિસાબે રહેવા તૈયાર નથી. કેએએસ, કેપીએસ, શેર-એ-કાશ્મીર વગેરે એવોર્ડમાંથી 'જે' હંમેશા ગાયબ હતું. તેમનો ઈશારો જમ્મુ તરફ હતો. તેમણે જણાવ્યું કે, આજ સુધી મહારાજા હરિ સિંહના જન્મદિવસ પર અવકાશ નથી મળી શક્યો. જમ્મુ એમ્સને લઈને પણ અમારે રસ્તાઓ પર ઉતરવું પડ્યું હતું. આજે પણ હિન્દુ નેતાઓને કાશ્મીરમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે.
આજ સુધી 1989-90માં આતંકવાદી ઘટનાઓના કારણે પલાયન માટે મજબૂર થયેલા હિન્દુ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી પણ નથી થઈ શકી. તેમણે વર્તમાન અને પૂર્વ કેન્દર સરકારો પર પણ કાશ્મીર કેન્દ્રિત હોવાનો આરોપ લગાવ્યો હતો. સાહનીએ જણાવ્યું કે, આજે પણ જમ્મુ કાશ્મીર અંગેના મુખ્ય નિર્ણયો મામલે જમ્મુને નજરઅંદાજ કરીને કાશ્મીરના નેતાઓ સાથે બેઠકોને મહત્વ આપવામાં આવે છે.
કાશ્મીરથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નથી
શિવસેનાના નેતાના કહેવા પ્રમાણે તેમની ધીરજનો બાંધ તૂટી ગયો છે અને હવે તેમના પાસે કાશ્મીરથી અલગ થવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. આજે પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક વિકાસના પેકેજ, રાહત પેકેજ, ઓક્સિજન પ્લાન્ટ્સ, સ્વાસ્થ્ય સુવિધાઓ, કેસર પ્રોત્સાહન યોજના અને પર્યટન વિકાસથી લઈને નોકરીઓ સુધી જમ્મુ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. સીમાંકન આયોગની વર્ષ 2011ના આધાર પરની વસ્તી ગણતરીમાં પણ જમ્મુને નિરાશા સિવાય કશું જ નહોતું મળ્યું. સાહનીએ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, અમે અમારા ભવિષ્ય, ઓળખ અને સંસ્કૃતિની સુરક્ષા માટે એકજૂથ થઈને અલગ જમ્મુની માંગ બુલંદ કરીએ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPL2Cf
via IFTTT
ટિપ્પણીઓ નથી: