ભારતમાં ઑક્ટોબર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી


બેંગ્લુરુ/નવી દિલ્હી, તા.૧૮

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી ગયો છે અને કોરોનાના દૈનિક કેસ તથા મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. પરિણામે રાજ્યોએ લૉકડાઉન અને નિયંત્રણો હળવા કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, કોરોનાના ઘટતા કેસને પગલે લોકોએ બેદરકારી દાખવવી જોઈએ નહીં. કારણ કે નિષ્ણાતોએ નજીકના સમયમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે કોરોના મહામારી હજી આપણી વચ્ચે જ છે. આપણે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમે એક સરવેમાં દેશમાં ઑક્ટોબર સુધીમાં એટલે કે તહેવારોના સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ લહેર ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીમાં વધુ નિયંત્રિત હશે, પરંતુ આ ત્રીજી લહેરના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

સમગ્ર દુનિયાના ૪૦ સ્વાસ્થ્ય નિષ્ણાતો, ડૉક્ટરો, વૈજ્ઞાાનિકો, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાાનિકો અને પ્રોફેસરોમાં ૩થી ૧૭ જૂન વચ્ચે હાથ ધરાયેલા એક સ્નેપ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં રસીકરણમાં મહત્વપૂર્ણ ગતિ આવવાથી ત્રીજી લહેરનો પ્રકોપ થોડોક નરમ પડી શકે છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આગાહી કરનારા નિષ્ણાતોમાંથી ૮૫ ટકા અથવા ૨૧થી વધુ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું કે આગામી લહેર ઑક્ટોબર સુધીમાં આવશે. ત્રણ લોકોએ ઑગસ્ટની શરૂઆતમાં અને ૧૨ લોકોએ સપ્ટેમ્બરમાં તેના આવવાની આગાહી કરી છે. અન્ય ત્રણ નિષ્ણાતોએ નવેમ્બરથી ફેબુ્રઆરી વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.

જોકે, રાહતની વાત એ છે કે ૭૦ ટકાથી વધુ નિષ્ણાતો અથવા ૩૪થી ૨૪ લોકોએ કહ્યું છે કે ભારતમાં કોરોનાના વર્તમાન પ્રકોપની સરખામણીમાં કોઈપણ નવા પ્રકોપને વધુ સારી રીતે નિયંત્રીત કરી શકાશે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાાન સંસ્થા (એઈમ્સ)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં રસીકરણ અભિયાને ગતિ પકડી હોવાથી ત્રીજી લહેરને વધુ નિયંત્રિત કરી શકાશે અને કેસ ઘણા ઓછા હશે તેમજ બીજી લહેરથી કંઈક અંશે પ્રાકૃતિક પ્રતિરક્ષા પણ થશે. એટલે કે કોરોનાની ત્રીજી લહેર એટલી ભયાનક હોવાની સંભાવના નથી.

સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પરના જોખમ અંગે લગભગ બે તૃતિયાંશ નિષ્ણાતો એટલે કે ૪૦માંથી ૨૬ નિષ્ણાતોએ હા પાડી છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (નિમહંસ)માં મહામારી વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડૉ. પ્રદીપ બનંદૂરે કહ્યું કે રસીકરણની બાબતમાં તેઓ સંપૂર્ણપણે અછૂત રહ્યા છે, કારણ કે વર્તમાનમાં તેમના માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેમના માટે સ્થિતિ ગંભીર બની શકે છે. અન્ય એક સવાલના જવાબમાં ૪૧ નિષ્ણાતોમાંથી ૩૦એ કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસનું જોખમ ઓછામાં ઓછા એક વર્ષ સુધી રહેશે. ૧૧ નિષ્ણાતોએ કહ્યું કે જોખમ એક વર્ષથી ઓછો સમય રહેશે. ૧૫ લોકોએ કહ્યું તે બે વર્ષથી ઓછો સમય રહેશે જ્યારે ૧૩ નિષ્ણાતોએ કહ્યું કે બે વર્ષથી વધુ અને બે લોકોએ કહ્યું ભારતમાં કોરોનાનું જોખમ ક્યારેય ખતમ નહીં થાય.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાઈરસ હજી આપણી વચ્ચે જ છે. તેના મ્યુટેટ થવાની સંભાવનાઓ છે. તેથી આપણે સાવધાનીથી તૈયારી વધારવાની જરૂર છે. આ જ લક્ષ્ય સાથે એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાભિયાન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાને એક લાખથી વધુ કોવિડ વોરિયર્સ માટે વિશેષરૂપે તૈયાર એક 'ક્રેશ કોર્સ' કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આપણે દરેક રીતે કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ત્રીજી લહેરનો સામનો કરવા માટે આપણે દરેક સારવાર અને દરેક સંભાવનાઓ સાથે આપણી તૈયારી વધારવાની રહેશે.

બીજીબાજુ કોરોનાની બીજી લહેર વખતે સક્રિય દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં લોકો માસ્ક  નહીં પહેરતા હોવા બાબતે સુઓમોટો લીધી છે. દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવીને જવાબ માગતા કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર વધુ દૂર નથી ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્યોએ તેનો સામનો કરવા માટે શું તૈયારી કરી છે તે જણાવો. સાથે કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૯મી જુલાઈએ નિશ્ચિત કરી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યને દિલ્હીના બજારોમાં ભીડભાડ ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gARPc3
via IFTTT

ટિપ્પણીઓ નથી: