વરસાદ આવતા જ જતી રહેતી હતી લાઈટ, રોષે ભરાયેલા ગ્રામીણોએ કાર્યાલયમાં કરી તોડફોડ

- પોલીસે 4 લોકોની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ સરકારી કામમાં અડચણ ઉભી કરવાની કલમ 353 અંતર્ગત કેસ નોંધ્યો
નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર
મહારાષ્ટ્રના એક ગામના લોકો સતત વીજળી ગુલ થવાથી એટલી હદે પરેશાન થઈ ગયા હતા કે તેમણે વીજ વિભાગના કાર્યાલય પર જ હુમલો કરી દીધો હતો. આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જિલ્લા ખાતે શનિવારે રાતના સમયે બની હતી. પોલીસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે તોરનાલા ગામમાં થોડો વરસાદ વરસે તે સાથે જ વીજળી ગુલ થઈ જતી હતી. ગામ લોકોએ સમસ્યામાંથી છુટકારા માટે અનેક વખત ફરિયાદ કરેલી પણ કોઈ ઉકેલ નહોતો આવ્યો.
શનિવારે સાંજના સમયે પણ જેવો વરસાદ આવ્યો તે સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી. પરંતુ આ વખતે ગામના લોકોની ધીરજે જવાબ આપી દીધો હતો અને રોષે ભરાયેલા ગામ લોકો સીધા વીજળી સ્ટેશને પહોંચી ગયા હતા. તે સમયે ત્યાં જુનિયર એન્જિનિયર અને 2 અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા. રોષે ભરાયેલા ગ્રામીણોએ કાર્યાલયમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.
વીજળી વિભાગે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે તે લોકો વિરૂદ્ધ સરકારી કામમાં અડચણ ઉભી કરવાની કલમ 353 અંતર્ગત કેસ નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gJ1zkk
via IFTTT
ટિપ્પણીઓ નથી: