કેન્દ્ર ૮૦ કરોડ લોકોને નવે. સુધી મફત અનાજ આપશે


નવી દિલ્હી, તા.૭

કોરોના મહામારીની બીજી લહેર હવે ઓસરી રહી છે એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે કોરોના રસીકરણ મુદ્દે દેશને સંબોધન કર્યું હતું. આ સાથે વડાપ્રધાને કોરોના મહામારીની બીજી લહેરમાં અસરગ્રસ્ત ગરીબોને રાહત આપતા દિવાળી એટલે કે નવેમ્બર ૨૦૨૧ સુધી દેશના ૮૦ કરોડ લોકોને મફત રાશન આપવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્રની પીએમજીકેએવાય યોજના હેઠળ ગરીબોને પ્રતિ મહિને પાંચ કિલો અનાજ મફતમાં અપાયું છે. વધુમાં વડાપ્રધાને યોગ દિવસ એટલે કે ૨૧મી જૂનથી સમગ્ર દેશમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા મફત રસી આપવાની જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેર સમયે રસીકરણ અભિયાનમાં સર્જાયેલી અવ્યવસ્થાઓનું ઠીકરું વિપક્ષના માથે ફોડતાં વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોની માગણીને પગલે તેમને ૨૫ ટકા રસીઓ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદવાની સુવિધા અપાઈ હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર જ રાજ્યોને મફતમાં રસી આપશે જ્યારે ખાનગી સેક્ટર દ્વારા અપાતી રસીઓની વ્યવસ્થા જળવાઈ રહેશે.

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરાયું ત્યારે ૮૦ કરોડથી વધુ લોકોને આઠ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આઠ મહિના સુધી મફત અનાજ અપાયું હતું. કોરોનાની બીજી લહેરને કારણે આ યોજનાને દિવાળી એટલે કે નવેમ્બર ૨૦૨૧ સુધી લંબાવવામાં આવશે. પીએમજીકેએવાય હેઠળ કેન્દ્ર સરકારે મે અને જૂન મહિનામાં ૭૯.૩૯ કરોડ લોકોને પ્રતિ માસ પ્રતિ વ્યક્તિ મફત રાશન આપ્યું હતું, જેનો સરકારી તિજોરી પર રૂ. ૨૫,૩૩૨.૯૨ કરોડનો બોજ પડયો હતો. 

દરમિયાન રસીકરણ મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના કોઈપણ રાજ્યે રસીકરણ પર હવે કોઈ ખર્ચ કરવો નહીં પડે. અત્યાર સુધી દેશમાં કેન્દ્ર સરકાર તરફથી ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૪૫ વર્ષથી વધુ વયના લોકોને મફત રસી અપાતી હતી. હવે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોનો પણ તેમાં સમાવેશ કરાશે. હાલ રસીકરણ અભિયાનમાં ૫૦ ટકા કામ કેન્દ્ર સરકાર, ૨૫ ટકા રાજ્ય સરકાર અને ૨૫ ટકા ખાનગી સેક્ટરના હાથમાં હતું. હવે રસીકરણનું ૭૫ ટકા કામ કેન્દ્ર સરકાર અને બાકીનું ૨૫ ટકા કામ ખાનગી સેક્ટર કરશે. ખાનગી હોસ્પિટલો રસીની નિશ્ચિત કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ રૂ. ૧૫૦ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેના નિરિક્ષણનું કામ રાજ્યોએ જ કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટે રસીકરણ નીતિ અંગે બધા જ સુસંગત દસ્તાવેજો અને તેમના વિચારોની નોંધ દર્શાવતી ફાઈલો કોર્ટ સમક્ષ રજૂ કરવા અને રાજ્યોએ રસીની કથિત અછત મુદ્દે કેન્દ્ર પર આરોપો ઘડતાં કેન્દ્ર સરકારે રસીકરણ નીતિમાં ફેરફાર કર્યો હતો અને રસીકરણ અભિયાનનું કેન્દ્રીકરણ કર્યું છે. ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે રસી ખરીદવાની નીતિ અને રસી માટે કોવિન એપ પર ફરજિયાત નોંધણીની નીતિ મુદ્દે સામે સવાલો ઉઠાવ્યા હતા.

દેશમાં રસીકરણ અભિયાન દરમિયાન રસી અંગેની નીતિના વિવાદો તેમજ અવ્યવસ્થા માટે વડાપ્રધાને વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. વડાપ્રધાને વિપક્ષના સવાલોના જવાબ આપતા કહ્યું કે, દેશમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ ૧૬મી જાન્યુઆરીથી રસીકરણનું કામ શરૂ કરાયું હતું. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, સાંસદો સાથે બેઠક કર્યા પછી અલગ અલગ તબક્કામાં રસીકરણ શરૂ કર્યું હતું. કોરોનાની બીજી લહેર પહેલાં ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ ન હોત તો મોટી સમસ્યા સર્જાઈ હોત. દેશમાં બીજી લહેર પહેલાં કોરોનાના કેસ ઘટતાં સવાલો ઊભા થવા લાગ્યા કે બધું જ કેન્દ્ર કેમ નક્કી કરે છે. લોકડાઉન લગાવવાનો અધિકાર રાજ્યોને અપાય. રાજ્યોની માગ સ્વીકારતા તેમને આ અધિકાર અપાયા.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી એપ્રિલ સુધી રસીકરણનું કામ કેન્દ્ર સરકારે કર્યું હતું. રસીકરણમાં વય મર્યાદા, વૃદ્ધોને પહેલાં રસી આપવા અંગે સવાલો ઊભા થયા. રાજ્યોએ દબાણ કરતાં ૧લી મેથી ૨૫ ટકા કામ રાજ્યોને સોંપાયું. ત્યાર પછી રાજ્યોને દુનિયામાં રસીકરણની સ્થિતિ અંગે ખ્યાલ આવ્યો. દરમિયાન કોરોનાની બીજી લહેર આવ્યા પછી રાજ્ય સરકારોએ ફરી વિચાર બદલ્યો. એટલે હવે રસીકરણનું સંપૂર્ણ કામ કેન્દ્ર સરકાર સંભાળી રહી છે.

વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે કોરોના રસી મુદ્દે કોઈએ કોઈપણ અફવાઓ તરફ ધ્યાન ન આપવું જોઈએ અને દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ. કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર કોરોનાના પ્રોટોકોલ છે અને રસી સુરક્ષા કવચ છે. ભારત પાસે પોતાની રસી ના હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. ૨૦૧૪માં રસીકરણનું કવરેજ માત્ર ૬૦ ટકા હતું. આ જ ઝડપથી દેશમાં રસીકરણ થયું હોત તો ૪૦ વર્ષ લાગી જાત. અમે રસીકરણની ઝડપ વધારી અને કાર્યક્ષેત્ર પણ વધાર્યું. ભારતે કોરોના સામે એક જ વર્ષમાં બે રસી બનાવી અને અત્યાર સુધીમાં ૨૩ કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.  તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં રસીનો પુરવઠો ઝડપથી વધવાનો છે. દેશમાં સાત કંપનીઓ રસીનું ઉત્પાદન કરી રહી છે, ત્રણ રસીની ટ્રાયલ એડવાન્સ તબક્કામાં ચાલે છે. અન્ય દેશોમાંથી પણ રસીકરણ ખરીદવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. બાળકો માટે પણ રસીના બે ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યા છે. દેશમાં નાક વાટે રસી આપવા અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T57x5R
via IFTTT

ટિપ્પણીઓ નથી: