CBSE ધોરણ ૧૨નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે
નવી દિલ્હી, તા. ૧૭
કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં ધો.૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે ધો.૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે અને પરિણામ ૩૧ જુલાઇ સુધી જાહેર કરી દેવામાં આવશે. સીબીએસઇએ વધુમાં જણાવ્યું હતું કે ધો. ૧૦, ધો. ૧૧ અને ધો.૧૨ની પ્રી બોર્ડ પરીક્ષાના પરિણામને આધારે ફાઇનલ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સીબીએસઇ અને આઇસીએસઇના પરિણામ ફોર્મ્યુલાની સ્કીમને મંજૂરી આપી દીધી છે. સીબીએસઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ધો.૧૦ના પરિણામના ૩૦ ટકા, ધો. ૧૧ના પરિણામના ૩૦ ટકા ધો. ૧૨ની એકમ કસોટીઓના પરિણામના ૪૦ ટકાને આધારે ધો.૧૨નું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.
ગત સુનાવણીમાં સીબીએસઇએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ધો.૧૨ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આજે સીબીએસઇએ સુપ્રીમને જણાવ્યું હતું કે મૂલ્યાંકનની ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકરના નેતૃત્ત્વવાળી ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ કે કે વેણુગોપાલ હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ૩૧ જુલાઇ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધો.૧૨ના આંતરિક અને પ્રેક્ટિલના માર્ક પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. સીબીએસઇના પોર્ટલ પર આ માર્ક્સ જોઇ શકાશે.
જે વિદ્યાર્થી આ ફોર્મ્યુલાને આધારે તૈયાર કરેલા પરિણામથી સંતુષ્ટ નહીં હોય તની પરીક્ષા લેવા સુપ્રીમ કોર્ટે સીબીએસઇને જણાવ્યું છે. સીબીએસઇના પરીક્ષા કન્ટ્રોલર સંજય ભારદ્વાજે જણાવ્યું હતું કે ઉપરોક્ત ફોર્મ્યુલાને આધારે પરિણામ જાહેર થયા પછી જે વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમના માટે પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૃ કરી દેવામાં આવશે. ત્યારબાદ યોગ્ય સમયે કોરોનાના નિયમો અનુસરીને પરીક્ષા લેવામાં આવશે.
સીબીએસઇ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે ધો.૧૦ના મુખ્ય પાંચ વિષયમાંથી જે ત્રણ વિષયમાં સૌથી વધારે ગુણ હશે તે વિષયોના ગુણના આધારે ધો.૧૨નું પરિણામ તૈયાર કરવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THUdVe
via IFTTT
ટિપ્પણીઓ નથી: