અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે PM મોદીને ફોન કરીને વેક્સિન સપ્લાય માટે આપ્યું વચન


- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કરેલી જાહેરાત પ્રમાણે જૂનના અંત સુધીમાં વેક્સિનના 8 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગુરૂવારે ફોનમાં વાતચીત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે ફોનમાં વેક્સિન અંગે ચર્ચા થઈ હતી જેમાં કમલા હૈરિસે વડાપ્રધાન મોદીને વેક્સિન સપ્લાયનું વચન આપ્યું છે. એક અહેવાલ પ્રમાણે કમલા હૈરિસે જ વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો. 

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'થોડા સમય પહેલા કમલા હૈરિસ સાથે વાત થઈ છે. મેં સમગ્ર વિશ્વમાં વેક્સિન શેરિંગની અમેરિકાની રણનીતિના ભાગરૂપે ભારતને વેક્સિન સપ્લાયના આશ્વાસનની પ્રશંસા કરી હતી. તે સિવાય અમેરિકી સરકાર, કારોબારીઓ અને પ્રવાસી ભારતીયોના સમર્થન માટે પણ તેમનો આભાર માન્યો હતો. '

વધુમાં લખ્યું હતું કે, તેમણે ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેક્સિન સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન મોદીએ કમલા હૈરિસને ભારત આવવા આમંત્રણ પણ પાઠવ્યું છે. તેમણે સ્થિતિમાં સુધારા બાદ ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કરેલી જાહેરાત પ્રમાણે જૂનના અંત સુધીમાં વેક્સિનના 8 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવશે. તેમાં શરૂઆતમાં 2.5 કરોડ ડોઝ સપ્લાય થશે જેમાંથી 75 ટકા એટલે કે 1.9 કરોડ કોવૈક્સ અંતર્ગત બીજા દેશોમાં મોકલવામાં આવશે. બાકી બચેલા 60 લાખ ડોઝ એવા દેશોમાં મોકલવામાં આવશે જ્યાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pi07rS
via IFTTT

ટિપ્પણીઓ નથી: