છેલ્લા 5 વર્ષમાં ભારતની નાગરિકતા માગવામાં પાકિસ્તાનીઓ સૌથી મોખરે

- છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી
નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે CAA અને NRCને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે સદનમાં અમુક એવા આંકડાઓ રજૂ કર્યા જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યુ હતું. નિત્યાનંદ રાયે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,646 લોકોએ ભારતની નાગરિકતા માગી છે.
પાકિસ્તાનીઓ મોખરે
આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ 7,782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.
તે સિવાય આ યાદીમાં બીજા નંબરે ભારતના પાડોશી બાંગ્લાદેશનું નામ છે. બાંગ્લાદેશના 184 લોકોએ હિંદુસ્તાનની નાગરિકતા માટે અપ્લાય કરેલું છે. ત્રીજા નંબરે સંકટમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનનું નામ છે જ્યાંના 795 લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર જણાઈ રહ્યા છે.
જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર-1 બની જાય છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં 15,176 બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે. જ્યારે 4,085 પાકિસ્તાનીઓ એવા પણ છે જેમને ભારતના શરણમાં આવવાનું યોગ્ય લાગ્યું.
લાખો લોકોએ છોડી ભારતીય નાગરિકતા
એક તરફ અનેક લોકો દ્વારા ભારતીય નાગરિકતાની માગણી કરવામાં આવી છે તો એક વર્ગ એવો પણ છે જેણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા અપનાવી છે. છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે.
લેખિત ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું કે, 2017ના વર્ષમાં 1,33,049 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. જ્યારે 2018ના વર્ષમાં 1,34,561 લોકોએ ભારતીય સદસ્યતા છોડી. 2019માં 1,44,017 ભારતીયોએ પોતાની સદસ્યતા છોડી. 2020માં 85,248 લોકોએ અને 2021ના વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં 1,11,287 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xHre3Z
via IFTTT
ટિપ્પણીઓ નથી: