ઈસ્લામ છોડીને હિંદુ બનશે વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદ ગ્રહણ કરાવશે સનાતન ધર્મ

- વસીમ રિઝવી હંમેશા કટ્ટરપંથીઓના નિશાન પર રહે છે અને તેમણે કુરાનની 26 આયાતો દૂર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે. ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવશે. વસીમ રિઝવી સોમવારે સવારે 10:00 કલાકે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરમાં હિંદુ ધર્મ અંગીકાર કરશે. યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે તેમને હિંદુ ધર્મ અંગીકાર કરાવશે.
વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ પોતાની વસીયત જાહેર કરી હતી. તેમાં તેમણે જાહેરાત કરી હતી કે, તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે પરંતુ સંપૂર્ણ હિંદુ રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ સાથે જ તેમણે યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમની ચિતાને અગ્નિ આપશે.
રિઝવીએ એક વીડિયો દ્વારા કહ્યું હતું કે, તેમની હત્યા કરવાનું અને તેમની ગરદન કાપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. વધુમાં કહ્યું હતું કે, 'મારો ગુનો ફક્ત એટલો છે કે, મેં કુરાનની 26 આયાતોને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. મુસલમાનો મને મારી નાખવા ઈચ્છે છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે, મને કોઈ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપવામાં આવે. માટે મૃત્યુ બાદ મારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.'
વસીમ રિઝવી હંમેશા કટ્ટરપંથીઓના નિશાન પર રહે છે. તેમણે કુરાનની 26 આયાતો દૂર કરવા માગ કરી હતી અને તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારથી જ રિઝવી મુસ્લિમ સંગઠનોના નિશાન પર છે. મુસ્લિમ સંગઠનોના કહેવા પ્રમાણે રિઝવીને ઈસ્લામ અને શિયા સંપ્રદાય સાથે કશું જ નથી લાગતું-વળગતું. મુસ્લિમ સંગઠનો રિઝવીને મુસ્લિમ વિરોધી સંગઠનોના એજન્ટ ગણાવે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31yKOTS
via IFTTT
ટિપ્પણીઓ નથી: