ઈન્ડિયામાં ઓમિક્રોનની એન્ટ્રી : સરકાર એલર્ટ


નવી દિલ્હી, તા.૨
વિશ્વભરમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે વિશ્વના ૩૦ દેશોમાં ઓમિક્રોનના ૩૭૫થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ યુરોપમાં નોંધાયા છે. ભારતના કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે, જેમાં ૬૬ વર્ષના વિદેશી નાગરિક અને ૪૬ વર્ષના એક હેલ્થ વર્કરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે. વધુમાં ઓમિક્રોનથી સંક્રમિત આ બે વ્યક્તિમાંથી એકના સંપર્કમાં આવેલા અન્ય પાંચ લોકોને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. દરમિયાન ઓમિક્રોન મુદ્દે 'જોખમી' દેશોમાંથી દિલ્હી આવેલા વધુ ચાર પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત બંને દર્દીઓને હળવા લક્ષણો છે. ભારતમાં ઓમિક્રોનના કેસ નોંધાવા છતાં લોકોએ ગભરાવાની જરૃર નથી. લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવાની અને કોઈપણ વિલંબ વિના રસી લેવાની જરૃર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના બે કેસમાંથી ૬૬ વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકન નાગરિક હતો, જે ૨૦મી નવેમ્બરે બેંગ્લુરુ આવ્યો હતો. એરપોર્ટ પર તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને એક હોટેલમાં આઈસોલેશનમાં રખાયો હતો. જોકે, અન્ય એક લેબમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ૨૭મી નવેમ્બરે તે દુબઈ જતો રહ્યો હતો. તેના સંપર્કમાં આવેલા ૨૪ પ્રાથમિક અને ૨૪૦ સેકન્ડરી સંપર્કોની પણ માહિતી મેળવી લેવાઈ છે.
તેમણે ઉમેર્યું કે, ઓમિક્રોન સંક્રમિત બીજો દર્દી બેંગ્લુરુની એક હોસ્પિટલનો ડૉક્ટર છે. તેના દક્ષિણ આફ્રિકા સહિત વિદેશ પ્રવાસની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. બંને દર્દીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેઓ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયા હતા. બંને દર્દીઓના સંપર્કમાં આવેલા બધા જ લોકોને ટ્રેસ કરી લેવાયા છે અને તેમના ટેસ્ટ કરાયા છે. બેંગ્લુરુના ડૉક્ટરનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અધિકારી લવ અગ્રવાલે કહ્યું કે, દુનિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. ઓમિક્રોનના નવા વેરિઅન્ટ અંગે હજુ કોઈ નક્કર વૈજ્ઞાાનિક તથ્યો સામે આવ્યા નથી. ભવિષ્યમાં જે પણ નિર્ણય લેવાશે તે બધા જ વૈજ્ઞાાનિક તથ્યો સામે આવ્યા પછી લેવા જોઈએ.
બૂસ્ટર ડોઝના સવાલ પર ડૉ. વી.કે. પૌલે કહ્યું કે આખી દુનિયામાં હાલ ઓમિક્રોનની વિશેષતાઓ અને અસરને સમજવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. રસીના બૂસ્ટર ડોઝ માટે પણ અભ્યાસ ચાલી રહ્યો છે. જેમ જેમ સ્થિતિ સામે આવશે તેના આધારે સરકાર આગળ નિર્ણય લેશે. ઓનલાઈન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના રાષ્ટ્રીય સરવે મુજબ દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરોને ૨૫ વર્ષથી ઓછી વયના લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ કેસ જોવા મળ્યા છે.
દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે 'જોખમી દેશો'ની યાદીમાં મુકાયેલા દેશોમાંથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આવેલા ચાર વિદેશી પ્રવાસીઓ કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, એર ફ્રાન્સની ફ્લાઈટમાં એરપોર્ટ પર આવેલા ૨૪૩ લોકોમાંથી ત્રણ અને લંડનથી આવેલી એક ફ્લાઈટમાં ૧૯૫માંથી એક પ્રવાસી કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. તેમના સેમ્પલ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. આ સાથે 'જોખમી' દેશોમાંથી કુલ આઠ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આ લોકોને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બે દિવસમાં જોખમી દેશોમાંથી ૭,૯૭૬ પ્રવાસીઓ ભારત આવ્યા, જેમાંથી ૧૦ પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
દરમિયાન દેશમાં ગુરુવારે કોરોનાના નવા ૯,૭૬૫ કેસ નોંધાયા હતા અને વધુ ૪૭૭નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ ૩,૪૬,૦૬,૫૪૧ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૪,૬૯,૭૨૪ થયો છે. કોરોનાના એક્ટિવ કેસ ૯૯,૭૬૩ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૪૦,૩૭,૦૫૪દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસ  કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે કેરળ સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુ પામેલા ૪૦૩ લોકોના મોત કોરોનાથી થયું હોવાનું જાહેર કર્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31pl1NY
via IFTTT

ટિપ્પણીઓ નથી: