108માં આવવાના નિયમે વધુ બેનો જીવ લીધો, ધનવંતરી હોસ્પિટલ સામે રીક્ષામાં બે લોકોના મોત

અમદાવાદ, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓના સહયોગથી 950 બેડની ધનવંતરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેની મુલાકાત બે દિવસ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લીધી હતી. ત્યારબાદ લોકોને એવી આશા હતી કે હોસ્પિટલ શરુ થઇ જશે, પરંતુ તે દિવસે તો હોસ્પિટલ શરુ ના થઇ પરતું બીજી દિવસે એટલે કે શનિવારે પણ હોસ્પિટલ શરુ ના થઇ શકી. એક તરફ અમદાવાદની હોસ્પિટલોમાં બેડની અછત છે, ઓક્સિજનની અછત છે. લોકો પોતાના પરિજનોને બચાવવા માટે આમથી તેમ દોડી રહ્યા છે.

લોકો બે દિવસથી આ ધનવંતરી હોસ્પિટલ બહાર લાઇનમાં ઉભા છે, બસ જ આશાએ કે આ હોસ્પિટલ શરુ થાય તો તેમના પરિજનોને ત્યાં દાખલ કરી શકે. તેવામાં આજે એટલે કે રવિવારથી આ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. અને અહીં પણ એ જ નિયમ લાગુ કરાયો છે કે 108મા આવતા દર્દીઓને જ દાખલ કરાવામાં આવશે. આ નિયન સામે પહેલાથી જ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નિયમના કારણે અનેક લોકોના મોત થયા છે. 108માં ફોન કરતા ત્યાં 2-2 દિવસનું વેઇટિંગ છે. ખાનગી વાહનમાં આવતા લોકોને ક્યાંય પણ દાખલ કરાતા નથી.


ત્યારે તંત્રના અણઘડ નિયમના કારણે ધનવંતરી હોસ્પિટલની બહાર બે લોકોના મોત થયા છે. આજે જ આ હોસ્પિટલ શરુ થઇ છે અને શરુઆતે જ આવી નિર્દય ઘટના બની છે. અહીં એક વૃદ્ધાને રીક્ષામાં લવાયા હતા, પરતું તેમને દાખલ ના કરાતા બહાર જ તેમનું મોત થયું હતું. તો આ જ રીક્ષામાં અન્ય એક દર્દીને લાવ્યા હતા, તેમને પણ દાખલ ના કરાતા મોત થયું હતું. આ બંને દર્દીઓને સારવારની આશાએ હોસ્પિટલ લવાયા હતા, પરંતુ ત્યાં દાખલ જ ના કર્યા.

ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે જો દર્દીઓની સારવાર જ ના કરવી હોય તો આ હોસ્પિટલ શુ કામની? માત્ર આ હોસ્પિટલ નહીં પરંતુ શહેરની અન્ય કોઇ પણ સરકારી હોસ્પિટલમાં 108 વગર દાખલ નથી કરતા. આ નિયમ સામે હાઇકોર્ટે પણ પ્રશ્નો કર્યા હતા. આમ છતા તેમાં કોઇ ફેરફાર કરાયો નથી. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xnzhSZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: