એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું- ગભરાશો નહીં, આવશે તો મોદી જ

- અગાઉ પણ અનુપમ ખેર અનેક પ્રસંગે વડાપ્રધાન મોદીનો બચાવ કરવા ઉતરેલા
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર
દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ફરી એક વખત ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે- ગભરાશો નહીં. આવશે તો મોદી જ.
હકીકતમાં જ્યારથી દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર મોદી સરકારની ટીકા શરૂ થઈ ગઈ છે. આવી જ એક ઘટના રવિવારે પણ બની હતી પરંતુ અનુપમ ખેરથી રહેવાયું નહીં એટલે તેમણે તે ટ્વીટનો જવાબ આપી દીધો હતો. તે ટ્વીટમાં સરકારની ટીકા કરવામાં આવી હતી જેના જવાબમાં અનુપમ ખેરે લખ્યું હતું કે, "આદરણીય. આ કશુંક વધારે જ થઈ ગયું. તમારા સ્ટાન્ડર્ડથી પણ. કોરોના એક વિપદા છે. સમગ્ર વિશ્વ માટે. આપણે પહેલા કદી આ મહામારીનો સામનો નથી કર્યો. સરકારની ટીકા જરૂરી છે. તેના પર દોષારોપણ કરો. પરંતુ તેનો સામનો કરવો આપણા બધાની પણ જવાબદારી છે. જો કે, ગભરાશો નહીં. આવશે તો મોદી જ!! જય હો!"
આના પહેલા પણ અનેક પ્રસંગે અનુપમ ખેર વડાપ્રધાનનો બચાવ કરતા જોવા મળેલા છે. વડાપ્રધાન મોદી અને અનુપમ ખેર વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. જુલાઈ 2019માં વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ અનુપમ ખેરે લખ્યું હતું કે, પીએમ મોદી તેમના માટે ઉર્જાનો સ્ત્રોત છે. તાજેતરમાં જ અનુપમ ખેરનું એક પુસ્તક રીલિઝ થયું હતું 'યોર બેસ્ટ ડે ઈઝ ટુડે'. વડાપ્રધાન મોદીએ પણ આ પુસ્તકના વખાણ કર્યા હતા. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખુલીને ભાજપનું સમર્થન કરે છે. તેમના પત્ની કિરણ ખેર ચંદીગઢથી ભાજપના સાંસદ પણ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3euUu4T
via IFTTT
ટિપ્પણીઓ નથી: