'સંવેદનાના સૂર' પાછળનો ટહુકો થઈ ગયો શાંત, નસીર ઈસમાઈલીનું અવસાન

- કોરોનાના કારણે નસીર ઈસમાઈલીનું અવસાન
તા. 28 એપ્રિલ, 2021, બુધવાર
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારી અને ગુજરાતી સાહિત્ય જગતની પ્રસિદ્ધ હસ્તિ નસીર ઈસમાઈલીનું અવસાન થયું છે. નસીર ઈસમાઈલીનું 74 વર્ષની ઉંમરે કોરોનાના કારણે અવસાન થયું છે. 12 ઓગષ્ટ, 1946ના રોજ હિંમતનગર ખાતે તેમનો જન્મ થયો હતો અને તેમનું મૂળ વતન ધોળકા હતું.
નસીર ઈસમાઈલી 'ઝુબિન'ની ગુજરાત સમાચારની પૂર્તિમાં આવતી 'સંવેદનાના સૂર' નામની કોલમ યૌવનના ઉંબરે પગ મુકતા લાખો દિલોથી માંડીને તમામ ઉંમરના લોકોની ધડકન સમાન હતી.
ઈસમાઈલી નસીરૂદ્દીન પીરમહંમદ 'નસીર ઈસમાઈલી' 3 ભાષાઓ ઉપરાંત ઉર્દુમાં પણ ખૂબ જ પ્રવિણ હતા. તેમની સર્વપ્રથમ મૌલિક કૃતિ 'સ્વપ્નનું મૃત્યુ' નામની વાર્તા હતી. તેમની વાર્તાઓ પ્રતિષ્ઠિત હિન્દી સામાયિક 'કહાનીકાર'માં પણ છપાયેલી છે.
1990માં તેમની વાર્તાઓ પરથી 'જિંદગી એક સફર' નામની ટીવી સીરિયલ પણ બની હતી. તેમણે 'તૂટેલો એક દિવસ' નામની નવલકથા પણ લખી છે. તેમની વાર્તાઓથી આકર્ષાઈને એક કવિયત્રી તેમને મળવા માંગતી હતી પરંતુ સંજોગોવશાત તે શક્ય ન બનતા તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. નસીર ઈસમાઈલીને આ ઘટનાનો બહુ મોટો આઘાત લાગ્યો હતો અને તેમાંથી જ ટીવીની બહુ વખણાયેલી પ્રસંગકથા 'સંગતિ' નિર્માણ પામી હતી.
નામદાર આગાખાન તેમ જ અક્રમ વિજ્ઞાની 'દાદા ભગવાન' બંને માટે તેમને ખૂબ જ પૂજ્ય ભાવ હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R56926
via IFTTT
ટિપ્પણીઓ નથી: