જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો બે જવાન શહીદ, ત્રણ નાગરિકનાં મોત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૨
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ નાગરિકોનાં મોત થયા છે. સોપોરના અરમાપોરામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમને નિશાન બનાવતા ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક પોલીસ જવાન સહિત અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે, સોપોરમાં સલામતી દળો પર થયેલા હુમલામાં લશ્કર-એ-તોઈબાનો હાથ છે. હુમલાખોર આતંકીઓને ઓળખી લેવાયા છે. સોપોરમાં આતંકી હુમલાને રાજકીય પક્ષોએ વખોડી કાઢ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં આતંકીઓ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કરી ભાગી છૂટયા હતા. જોકે, સલામતી દળોએ સંપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં માર્યા ગયેલા બે પોલીસ કોન્સ્ટેબલ્સને શ્રદ્ધાંજલી આપતાં ડીજીપી દીલબાગ સિંહે જણાવ્યું કે, કાવતરાંખોરોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવાશે. તેમણે ઉમેર્યું હતું કે સોપોર પોલીસ સ્ટેશનની ટીમ કોરોનાની ફરજ હતી ત્યારે તેના પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
દીલબાગ સિંહે કહ્યું કે, સલામતી દળોએ આ વિસ્તારમાં વ્યાપક અભિયાન હાથ ધર્યું છે અને હુમલાખોર આતંકીઓને ટૂંક સમયમાં ઝડપી લેવાશે. આ હુમલો લશ્કર-એ-તોયબાએ કર્યો હોવાની અમને માહિતી મળી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયમાં આતંકી હુમલાઓનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે, હકીકતમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ઘટયો છે. પોલીસ અને અન્ય સલામતી દળો આ વિસ્તારો પર સારું નિયંત્રણ ધરાવે છે. જોકે, પાકિસ્તાન દ્વારા તાજેતરના સમયમાં ડ્રોન મારફત ભારતમાં શસ્ત્રો ઘૂસાડવામાં આવતાં સૈન્યને એલર્ટ કરાયું છે.
બીજીબાજુ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા અને બધા જ અગ્રણી રાજકીય પક્ષોએ શનિવારે સોપોરમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી હતી. મનોજ સિંહાએ કહ્યું હતું કે, હું બારામુલ્લાના સોપોરમાં સલામતી દળના જવાનો અને નાગરિકો પર થયેલો આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને હું દિલાસો પાઠવું છું. હિંસાના કાવતરાંખોરો માનવતાના દુશ્મન છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, કોઈપણ શંકા કે ભેદભાવ વિના આવા હુમલાની તુરંત ટીકા થવી જોઈએ. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે કાશ્મીરમાં આતંકી હુમલાઓને કોઈ સ્થાન નથી અને નિર્દોષ નાગરિકોની હત્યા જધન્ય અને કાયરતાપૂર્ણ કૃત્ય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3grwFff
via IFTTT
ટિપ્પણીઓ નથી: