એલએસી પર ચીની સૈનિકોને જીવનું જોખમ, ૯૦ ટકા જવાનો બદલવા પડયા


નવી દિલ્હી, તા.૬

લદ્દાખ મોરચે ભારત સાથેના સંઘર્ષ સામે હિમાલયમાં ચીન વારંવાર દગાબાજી કરી રહ્યું છે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરથી સૈનિકોને પાછા બોલાવવા સંમત થયા પછી ચીન હવે આ બાબત ઠાગાઠૈયા કરી રહ્યું છે. ચીને હવે ગોગરા-હોટ સ્પ્રિંગ પરથી સૈનિકોને હટાવવાનો ધરાર ઈનકાર કરી દીધો છે. જોકે, વિશ્વના સૌથી દુર્ગમ યુદ્ધ ક્ષેત્રોમાંના એક હિમાલયના પર્વતીય વિસ્તારો પર નિયુક્ત ચીનના સૈનિકોના જીવ જોખમમાં મુકાયા છે. તેઓ હિમાલયની ઠંડીનો સામનો કરી શક્યા નથી. આ જ કારણથી ચીને એક વર્ષમાં ૯૦ ટકા સૈનિકોને બદલવા પડયા છે અને જૂના સૈનિકોને બદલીને નવા સૈનિકો ગોઠવવા પડયા છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ચીને ગયા વર્ષે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અંદાજે ૫૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા, પરંતુ ચીની સૈનિકો ત્યાં હિમાલયની ઠંડીનો સામનો કરી શક્યા નથી. પરિણામે ચીને હવે આજુબાજુના અન્ય ક્ષેત્રોમાંથી નવા સૈનિકોની નિયુક્તિ કરી છે. ખરાબ હવામાને ચીની સૈનિકોની સ્થિતિ ખરાબ કરી નાંખી છે. બીજીબાજુ ભારત પણ દર વર્ષે તેના જવાનો બદલે છે, પરંતુ ભારતે બધા જ જવાનોને બદલવાની જરૂર નથી પડી. ભારત અંદાજે ૪૦થી ૫૦ ટકા જેટલા જવાનોની જ બદલી કરે છે.

પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીનના સંઘર્ષને લગભગ એક વર્ષ પૂરું થઈ ગયું છે. ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ શરૂ થયો હતો અને ૧૬મી જૂને ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈન્ય વચ્ચે અથડામણ થયા પછી સરહદ પર તંગદીલી વધી હતી. બંને દેશે વિવાદનો ઉકેલ લાવવા માટે લાંબા સમય પછી વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. 

ભારત-ચીન વચ્ચે કુટનીતિજ્ઞાો અને કોર્પ્સ કમાન્ડર સ્તરની ૧૧ તબક્કાની વાટાઘાટો થઈ હતી, જેમાં ચીન સરહદ પર યથાસ્થિતિ જાળવવા અને સૈનિકોને પાછા ખેંચવા સંમત થયું હતું. આ સમજૂતીને પગલે ચીન અને ભારતે પેંગોંગ ત્સો લેક પરથી સૈનિકોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જે આ વર્ષે પૂરી થઈ હતી. પરંતુ હવે ચીને ફરીથી દગાબાજી શરૂ કરી છે. હિમાલયના અન્ય વ્યૂહાત્મક સ્થળો પરથી સૈનિકોને હટાવવાનો ચીને ધરાર ઈનકાર કરી દીધો છે. પેંગોંગ ત્સો સરોવર પછી ચીને ગોગરા અને હોટ સ્પ્રિંગ પરથી સૈન્યને પાછું ખેંચવાનું હતું. 

ભારતે તાજેતરમાં પણ બંને દેશ વચ્ચે દ્વિ-પક્ષીય સંબંધો સુધારવા માટે ચીનને વ્યૂહાત્મક સ્થળો પરથી સૈનિકોને પાછા ખેંચવા પર ભાર મૂક્યો છે.  પરંતુ હવે ચીનેનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા માટે કોર્પ્સ કમાન્ડર સ્તરે નિર્ણય લેવાના બદલે સ્થાનિક સ્તરના કમાન્ડો દ્વારા નિર્ણય લેવાય તે જરૂરી છે. 

બંને સૈન્યો વચ્ચે હોટલાઈન મારફત ૧૨મા તબક્કાની વાટાઘાટોની તારીખ નક્કી કરવાની છે, પરંતુ ચીને આ બાબતે કોઈ પહેલ કરી નથી. ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ચીને તેના સૈનિકોને પાછા હટાવવા જ પડશે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ચીન ઈચ્છે છે કે ગોગરા-હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સૈનિકોના પાછા હટવાની પ્રક્રિયા સ્થાનિક કમાન્ડરોના સ્તર પર થાય. તેના માટે વિશેષ બેઠક બોલાવવાની જરૂર નથી. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે તેના સૈનિકોનો જીવ જોખમમાં હોવા છતાં ચીન આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા માગતો નથી. ગોગરા-હોટ સ્પ્રિંગ ઉપરાંત દેપસાંગમાં પણ બંને દેશના સૈન્ય આમને-સામને છે. જોકે ત્યાં સંઘર્ષ દરમિયાન યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fUADxG
via IFTTT

ટિપ્પણીઓ નથી: