નાગાલેન્ડમાં જવાનોના ગોળીબારમાં 14 નાગરિકોનાં મોત


કોહિમા, તા. ૫
ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના માન જિલ્લામાં શનિવારે સાંજે સલામતીદળો દ્વારા કથિતરૂપે કરાયેલી ગોળિબારની બે ઘટનામાં ૧૩ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને ૧૧ને ઈજા પહોંચી હતી, જેમાં પહેલી ઘટના ખોટી ઓળખનો કેસ હોવાની સંભાવના છે, જેમાં છ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના પછી ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓએ સુરક્ષાદળોના વાહનો સળગાવી દીધા હતા અને તેમના હુમલામાં એક જવાનનું પણ મોત નીપજ્યું હતું. આત્મરક્ષામાં સલામતી દળોએ કરેલા ગોળીબારમાં વધુ સાત નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના પછી આ વિસ્તારમાં વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી છે જ્યારે ભારતીય સૈન્યે આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
મ્યાંમારની સરહદ નજીક આવેલા નાગાલેન્ડના ઓટિંગ ગામ નજીક ઉગ્રવાદીઓ હોવાની શંકાના આધારે સલામતીદળોએ ૧૦થી વધુ મજૂરોને લઈ જતી પીક-અપ વાન પર કરેલા ગોળીબારમાં છ યુવાનો માર્યા ગયા હતા અને અન્ય બેના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યાં હતા. આ ઘટનાથી ગામવાસીઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે સલામતી દળો પર હુમલો કર્યો હતો અને તેમના વાહનો સળગાવી દીધા હતા. આ હુમલા સામે આત્મરક્ષામાં સલામતી દળોએ ગોળીબાર કરતાં વધુ પાંચ નાગરિકો માર્યા ગયા હતા અને છને ઈજા પહોંચી હતી. આ હુમલામાં એક જવાનનું પણ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ ખોટી ઓળખનો કેસ છે કે કેમ તેની તેઓ તપાસ કરી રહ્યા છે.
એનએસસીએન-કેના ઉગ્રવાદી અંગે સુરક્ષા દળોને બાતમી મળી
આ ઘટના માને જિલ્લાના ઓટિંગ અને તિરુ ગામની વચ્ચે થઈ હતી. શનિવારે મોડી સાંજે એક કોલસાની ખાણમાંથી કેટલાક રોજમદાર કામદારો એક પીક-અપ વાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના થઈ હતી તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે ઉમેર્યું કે, ઉગ્રવાદી સંગઠન નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-કે (એનએસસીએન-કે)ના યુંગ ઔંગ જૂથના ઉગ્રવાદીઓની ગતિવિધિઓની સૂચના મળતા તેમને ઝડપી લેવા અભિયાન ચલાવી રહેલા આસામ રાઈફલ્સના જવાનોએ કથિતરૂપે પીક-અપ વાન પર ગોળીબાર કર્યો હતો, જેમાં છ યુવાનો માર્યા ગયા હતા. યુવાનોના મોતના સમાચારથી ગ્રામવાસીઓએ સલામતી દળો પર હુમલો કર્યો હતો.
એસઆઈટી એક મહિનામાં તપાસ કરશે : ગૃહમંત્રી શાહે શોક વ્યક્ત કર્યો
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે અને લોકોને વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી છે તેમજ કહ્યું છે કે એસઆઈટી દ્વારા આ ઘટનાની તપાસ કરાશે. નાગાલેન્ડના આઈજીપીના અધ્યક્ષપદે પાંચ સભ્યોની એસઆઈટી એક મહિનામાં આ તપાસ પૂરી કરશે. બીજીબાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, નાગાલેન્ડના ઓટિંગમાં થયેલી દુર્ઘટનાથી વ્યથિત છું. જે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારો પ્રત્યે હું ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઈટી આ ઘટનાની સઘન તપાસ કરશે, જેથી ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવી શકાય.
કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી કરાશે : ભારતીય સૈન્ય
દરમિયાન સૈન્યની ૩ કોરના મુખ્યાલયે જણાવ્યું હતું કે, નાગાલેન્ડના મોન જિલ્લાના તિરુમાં ઉગ્રવાદીઓની સંભવિત ગતિવિધિઓની વિશ્વસનીય માહિતી મળવાના આધારે આ વિસ્તારમાં એક વિશેષ અભિયાન ચલાવવાની યોજના બનાવાઈ હતી. આ ઘટના અને ત્યાર પછી જે થયું તે અત્યંત ખેદજનક છે. લોકોની મોતની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણોની 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' મારફત ઉચ્ચ સ્તરે તપાસના આદેશ અપાયા છે અને કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સૈન્યે કહ્યું કે આ અભિયાનમાં સલામતીદળના જવાનો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આસામ રાઈફલના કેમ્પમાં નાગરિકોની તોડફોડ
નાગાલેન્ડના મોને જિલ્લામાં નાગરિકોના મોતની ઘટનાથી ગુસ્સે ભરાયેલા એક ટોળાએ રવિવારે બપોરે આસામ રાઈફલ્સના કેમ્પ અને નાગાલેન્ડના મોન જિલ્લામાં કોન્યાક યુનિયનની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સમયે આસામ રાઈફલના જવાનોએ કરેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત નીપજ્યું હતું. ટોળાએ નાગરિકોના મોતમાં સંડોવાયેલ જવાનો સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. નાગાલેન્ડ સરકારે આ ઘટનાના ઉશ્કેરણીજનક વીડિયો, પિક્ચર્સ અને મેસેજ ફેલાતા અટકાવવા મોબાઈલ, ઈન્ટરનેટ અને ડેટા સર્વિસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમ છતાં તોડફોડની ઘટનાના વીડિયો વાઈરલ થયા હતા. બીજીબાજુ આ ઘટનાના વિરોધમાં ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ઈએનપીઓ)એ પ્રદેશના છ આદિવાસી જૂથોને રાજ્યના સૌથી મોટા પ્રવાસન મેળા હોર્નબિલ ફેસ્ટિવલમાંથી ભાગીદારી પાછી ખેંચવા વિનંતી કરી હતી. ઉપરાંત તેમણે ફેસ્ટિવલના સ્થળે સુરક્ષા દળો વિરુદ્ધ કાળા વાવટા ફરકાવવા આદિવાસી જૂથોને વિનંતી કરી હતી.
નાગરિકોના મોત અંગે વિપક્ષનો ગૃહમંત્રાલય પર હુમલો
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષે ગૃહમંત્રાલય પર સવાલ ઊઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પોતાની જ જમીન પર નાગરિકોની સાથે સુરક્ષા દળના કર્મચારીઓ પણ સલામત નથી તો ગૃહમંત્રાલય શું કરી રહ્યું છે તેનો સરકારે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જણાવ્યું કે, નાગાલેન્ડની ઘટનાના સમાચાર આઘાતજનક છે. ઉત્તર પૂર્વમાં વારંવાર હિંસાની ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે મોદી સરકાર રાષ્ટ્રીય સલામતીના રક્ષણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજી અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના મુદ્દે સરકારની ટીકા કરી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lAeK9i
via IFTTT

ટિપ્પણીઓ નથી: