દેશમાં ઓમિક્રોનના વધુ ૧૭ કેસ નોંધાતા દોડધામ


નવી દિલ્હી, તા.૫
ભારતમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસો વધવા લાગ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં  ત્રણ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ૧૭ કેસ નોંધાયા હતા, જેમાં રાજસ્થાનમાં એક જ પરિવારના ચાર સહિત નવ, મહારાષ્ટ્રમાં સાત અને દિલ્હીમાં એક કેસનો સમાવેશ થાય છે. બીજીબાજુ બિહારે ભૂતકાળમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના આંકડાનો સમાવેશ કરતાં રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૨,૭૯૬ દર્દીઓના મોત થયા છે, જેમાંથી ૨,૪૨૬ મોત બિહારમાં થયા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, નાઈજિરિયાથી આવેલી એક એનઆરઆઈ મહિલા અને તેની બે પુત્રીઓ સહિત સાત લોકો કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા આઠ થઈ ગઈ છે. એનઆરઆઈ મહિલા અને તેની પુત્રીઓ ૨૪મી નવેમ્બરે નાઈજિરિયાથી પિમ્પરી ચિંચવાડ પહોંચ્યા હતા.
તેમના ઉપરાંત તેનો ભાઈ અને તેની બે સગીર પુત્રીઓ પણ ઓમિક્રોન વેરિઅન્ટની ઝપેટમાં આવી ગયાં છે. એનઆરઆઈ મહિલા અને તેની એક પુત્રી તથા તેના ભાઈએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેઓ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયા છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ફિનલેન્ડથી પૂણે આવેલી અન્ય એક વ્યક્તિનો ઓમિક્રોન ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવનારા ૧૩ લોકોને ટ્રેસ કરી લેવાયા છે અને તેમનું ટેસ્ટિંગ કરાયું છે. મહિલાને હળવા લક્ષણ છે જ્યારે અન્ય પાંચને કોઈ લક્ષણ નથી. છમાંથી ત્રણ ૧૮ વર્ષથી ઓછી વયના છે અને તેમણે રસી નથી લીધી જ્યારે અન્ય ત્રણએ રસીના બંને ડોઝ લીધા છે. બધા જ દર્દીઓને પિમ્પરી ચિંચવાડની જિજામાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું કે, ફિનલેન્ડથી આવેલી વ્યક્તિ નિયમિત સર્વેલન્સમાં કોરોના પોઝિટિવ આવી હતી.
એ જ રીતે રાજસ્થાનમાં એક પરિવારના ચાર સભ્યો ૨૫મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર પહોંચ્યા હતા. અહીં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. આ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પરિવારને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પરિવારે ૨૮મી નવેમ્બરે જયપુરમાં સિટી પેલેસમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. આ દરમિયાન આદર્શ નગરની એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતાં જણાયું હતું કે તે દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા પરિવારને મળ્યો હતો. આ પરિવારના સેમ્પલ લેતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
દરમિયાન તાન્ઝાનિયાથી દિલ્હી આવેલો ૩૭ વર્ષીય યુવાન પણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. દિલ્હીમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે. રાંચી નિવાસી યુવાન બીજી ડિસેમ્બરે તાન્ઝાનિયાથી દોહા અને ત્યાંથી દિલ્હી આવ્યો હતો. તેણે રસીના બંને ડોઝ લીધા છે. તે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક સપ્તાહ રોકાયો હતો. તેને હાલ લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બિહારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના જૂના કેસોનો સમાવેશ કરતાં રવિવારે દેશમાં કોરોનાથી વધુ ૨,૭૯૬નાં મોત નીપજ્યાં હતા, જેમાં ૨,૪૨૬ મોત બિહારમાં નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૪,૭૩,૩૨૬ થયો છે. દેશમાં રવિવારે કોરોનાના નવા ૮,૮૯૫ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૩,૪૬,૩૩,૨૫૫ થયા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ev2RZP
via IFTTT

ટિપ્પણીઓ નથી: