મોદી મેજિકથી ચાર રાજ્યોમાં ભગવો લહેરાયો

નવી દિલ્હી, તા.૧૦
ભાજપે દેશમાં રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી વખત વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અનેક ઈતિહાસો રચ્યા છે. આ સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, ગોવા, મણીપુરમાં પણ વિજય ધ્વજ ફરકાવ્યો છે. બીજીબાજુ સરહદીય રાજ્ય પંજાબમાં બધા જ પરંપરાગત પક્ષોના સૂપડા સાફ કરતાં આપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ભગવંત માન શહિદ ભગતસિંહના પૈતૃક ગામમાં શપથ ગ્રહણ કરશે.
ઉત્તર પ્રદેશમાં ૩૭ વર્ષમાં પહેલી વખત કોઈ પક્ષનું પુનરાગમન
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પહેલા એવા મુખ્યમંત્રી છે, જે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી ફરીથી મુખ્યમંત્રી બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં અગાઉ સંપૂર્ણાનંદ, હેમવતી નંદન બહુગુણા, મુલાયમ સિંહ યાદવ, માયાવતી સહિત કેટલાક મુખ્યમંત્રીઓ ફરીથી સત્તા પર આવ્યા છે, પરંતુ કોઈએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નહોતો. આ સિવાય ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૩૭ વર્ષમાં પહેલી વખત કોઈ પક્ષની સરકાર સત્તામાં પુનરાગમન કરી રહી છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન, બેરોજગારી, મોંઘવારી, કોરોનાની બીજી લહેરમાં ગંગામાં તરતી લાશો, લખીમપુર ખીરી ઘટના જેવા અનેક પડકારો છતાં યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં ફરીથી સરકાર બનાવવા સક્ષમ બન્યા છે.
ભગવત માન શહીદ ભગતસિંહના પૈતૃક ગામમાં શપથગ્રહણ કરશે
બીજીબાજુ પંજાબમાં 'આપ'એ દિલ્હીનું પુનરાવર્તન કરતી હોય તેમ બધા જ પરંપરાગત પક્ષોનો સફાયો કરી નાંખ્યો હતો. પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકોમાંથી આપે ૯૨ બેઠકો જીતી લીધી હતી જ્યારે શાસક કોંગ્રેસ માત્ર ૧૮ બેઠકો જીતી શકી હતી. આપના મુખ્યમંત્રીપદના દાવેદાર ભગવત માન ધુરી પરથી ૫૮,૨૦૬ મતોથી જીતી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબનું નવું મંત્રીમંડળ નવાન શહેર જિલ્લામાં શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખાટકર કલાનમાં શપથગ્રહણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીનો ફોટો નહીં લાગે. તેના બદલે અહીં શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરના ફોટો લગાવાશે.
દલિત નેતાને સીએમ બનાવવાનો કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક નિષ્ફળ
આપના આ વાવાઝોડા સામે બાદલ પરિવાર, નવજોતસિંહ સિદ્ધુ, ચરણજીતસિંહ ચન્ની કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળના દિગ્ગજ નેતાઓ પોતાનો ગઢ બચાવી શક્યા નથી. ચૂંટણીના થોડાક સમય પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વચ્ચે દલિતોને આકર્ષવા માટે કોંગ્રેસે શેડયુલ કાસ્ટના નેતા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવીને માસ્ટર સ્ટ્રોક માન્યો હોવાનું કહેવાતું હતું. ચન્નીના મુખ્યમંત્રી બનવા સાથે પંજાબમાં શેડયુલ કાસ્ટમાંથી પહેલી વખત કોઈ નેતા મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ આપની આંધીમાં ચરણજીત ચન્ની ભદૌર અને ચમકૌર સાહિબ એમ બંને બેઠકો પરથી હારી ગયા.
પાંચ વખત સીએમ બનનારા ૯૪ વર્ષના પ્રકાશ સિંહ બાદલ પણ હાર્યા
આ ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસનો તો સફાયો થઈ જ ગયો છે. પરંતુ શિરોમણી અકાલી દળે પણ કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. અકાલી દળ માત્ર ત્રણ બેઠકો જીતી શકી છે. શિરોમણી અકાલી દળના સંરક્ષક અને પાંચ વખત મુખ્યમંત્રી બનનાર પ્રકાશ સિંહ બાદલ લંબી પરથી ચૂંટણી હારી ગયા છે. પ્રકાશ સિંહને આપના ગુરમીત સિંહ ખુડિયાએ ૧૧,૩૫૭ મતોથી હરાવ્યા છે. ૯૪ વર્ષે ચૂંટણી મેદાનમાં ઉતરેલા પ્રકાશસિંહને ૫૪,૩૬૦ મત મળ્યા હતા જ્યારે આપના ગુરમીત સિંહને ૬૫,૭૧૭ મત મળ્યા હતા.
અમરીન્દર, ખેડૂતોના સંયુક્ત મોરચાને એક પણ બેઠક નહીં
ચૂંટણીના થોડાક સમય પહેલાં જ કોંગ્રેસમાંથી હકાલપટ્ટીનો સામનો કરનારા કેપ્ટન અમરિન્દર સિંહે પણ પરાજયનો સામનો કરવો પડયો છે. ભાજપ સાથે જોડાણ કરનારા અમરિન્દરના પક્ષને એક પણ બેઠક મળી નહીં. બીજીબાજુ ખેડૂત આંદોલન સફળ રહેવાથી ચૂંટણી મેદાનમાં કૂદેલા ખેડૂતોના સંયુક્ત મોરચાને પણ એક પણ બેઠક મળી નહોતી અને કદાવર ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી.
ઉત્તરાખંડમાં કોંગ્રેસમાં સીએમપદની દાવેદારી કરનારા હરીશ રાવત હાર્યા
ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે ૭૦માંથી ૪૭ બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસ ૧૯ બેઠકો જ જીતી શકી છે. જોકે, ભાજપ માટે કમનસીબ બાબત એ છે કજેમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ તે પુષ્કરસિંહ ધામી ખાતિમા બેઠક પરથી ૬૫૭૯ મતોથી હારી ગયા છે. આ સિવાય કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રીપદની દાવેદારી કરનારા હરિશ રાવત પણ લાલકુવા બેઠક પરથી ૧૭,૫૨૭ મતોથી હારી ગયા છે.
ગોવામાં બંને નાયબ મુખ્યમંત્રી હાર્યા, તૃણમૂલ પણ ફ્લોપ
ભાજપ માટે વિધાનસભા ચૂંટણીના આ પરિણામો ઐતિહાસિક રહ્યા છે. ભાજપે પાંચમાંથી ચાર રાજ્યોમાં વિજય મેળવ્યો છે. ગોવામાં ભાજપે ૪૦માંથી ૨૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસ ૧૧ બેઠકો મેળવી શકી હતી. ગોવામાં ભાજપે વિજય મેળવ્યો હોવા છતાં તેમના બંને નાયબ મુખ્યમંત્રીઓ મનોહર આજગાંવકરે પેરનેમ બેઠક ઉપર ૬,૦૦૦ મતોથી અને ચંદ્રકાંત કાવલેકરે ૩,૦૦૦ મતોથી પરાજયનો સામનો કર્યો હતો. મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નથી. તૃણમૂલને ગોવામાં ૫.૨૧ ટકા મત મળ્યા હતા. મણિપુરમાં પણ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. તેણે ૬૦માંથી ૩૨ બેઠકો જીતી લીધી છે જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બે આંકડા જેટલી બેઠકો પણ જીતી શકી નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aOylkrD
via IFTTT
ટિપ્પણીઓ નથી: