રશિયાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઉડાવવાની પશ્ચિમી દેશોને ધમકી આપી


મોસ્કો/કીવ, તા. ૧૨
રશિયા પર પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી રઘવાયા બનેલા રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખે શનિવારે ચેતવણી આપી છે કે રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનના તૂટી પડવાનું કારણ બની શકે છે. તેમણે આ પ્રતિબંધો સામે રશિયાને પણ આકરા પગલાં લેવાનું આહ્વાન કર્યું છે. બીજીબાજુ યુક્રેન પર હુમલાને વધુ તીવ્ર બનાવતાં રશિયાએ યુદ્ધના ૧૭મા દિવસે પોર્ટ સિટી મારિયુપોલની એક મસ્જિદ પર બોમ્બાર્ડિંગ ક્રયું હતું, જ્યાં બાળકો સહિત ૮૦થી વધુ નાગરિકોએ આશ્રય લીધો હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. જોકે, આ હુમલાથી જાનહાની અંગે ચોક્કસ વિગતો સામે આવી નથી.
રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂકનારા પશ્ચિમી દેશોને 'ગાંડા' ગણાવતા રોસ્કોસ્મોસના પ્રમુખ દિમિત્રી રોગોઝિને રશિયાને પ્રતિબંધો વિરુદ્ધ આકરાં પગલાં લેેવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે રશિયા પર મૂકાયેલા આર્થિક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) માટે કામ કરતી રશિયન કંપની સ્પેસક્રાફ્ટના સંચાલનમાં અવરોધો ઊભા કરી શકે છે અને આઈએસએસના રશિયન ભાગને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં જાળવી રાખવામાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
રોગોઝિને ટેલીગ્રામ પર લખ્યું કે આઈએસએસનો ૫૦૦ ટન વજનનું માળખું સમુદ્ર અથવા જમીન પર તૂટી પડવાનું જોખમ છે. તેમણે એક નકશો જાહેર કરીને આઈએસએસ ક્યાં તૂટી પડી શકે તે સંભવિત જગ્યાઓનો નકશો પણ જાહેર કર્યો હતો અને તેમણે કહ્યું કે આઈએસએસ રશિયા પર તૂટી પડે તેવી શક્યતા નથી. આ સાથે રોસ્કોસ્મોસના પ્રમુખે નાસા, કેનેડિયન અવકાશ એજન્સી અને યુરોપીયન અવકાશ એજન્સીને રશિયા પર મૂકાયેલા 'ગેરકાયદે પ્રતિબંધો' હટાવવા માગણી કરી છે. હાલ અવકાશ એકમાત્ર એવું ક્ષેત્ર છે, જ્યાં અમેરિકા અને રશિયા એકબીજાના સહયોગથી કામ કરે છે.
બીજીબાજુ યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે નાટોએ જાહેરાત કરી હતી કે, તેના સૈનિકો અને સહયોગીઓ સોમવારથી નોર્વેમાં તાલિમી અભ્યાસ શરૂ કરશે. આ અભ્યાસનો મુખ્ય આશય નાટો દેશોનો બચાવ કરવાની ક્ષમતા ચકાસવાનો છે. નાટોનો આ અભ્યાસ રશિયાની સરહદથી થોડાક અંતરે દૂર નોર્વેમાં યોજાશે. આ તાલિમી અભ્યાસમાં ૨૭ દેશોના અંદાજે ૩૦,૦૦૦ સૈનિક, ૨૦૦ વિમાન અને ૫૦ જહાજ ભાગ લેશે. નાટોનું આ તાજેતરનું સૌથી મોટો તાલિમી અભ્યાસ હશે.
દરમિયાન અમેરિકાએ પણ રશિયાના સરહદીય દેશોમાં તેના ૧૨,૦૦૦થી વધુ સૈનિકો નિયુક્ત કર્યા છે. જોકે, બાઈડેને યુદ્ધમાં જોડાવા માટે આ સૈનિકોને તૈનાત કરાયા હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. અમેરિકન પ્રમુખ બાઈડેને કહ્યું કે, આ સૈનિકોને લેટવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા દેશોમાં નિયુક્ત કરાયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સૈનિકો યુક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ લડવા નથી જઈ રહ્યા, પરંતુ તેઓ નાટોના દાયરામાં આવતી એક-એક ઈંચ જમીનનું રક્ષણ કરશે. બાઈડેને દાવો કર્યો કે પુતિન યુક્રેન યુદ્ધ ક્યારેય જીતી નહીં શકે.
યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે જર્મન ચાન્સેલર ઓલાફ શ્કોલ્ઝ અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ શનિવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ૭૫ મિનિટ ફોન પર વાત કરી હતી અને તેમને તાત્કાલિક યુદ્ધ બંધ કરવા અપીલ કરી હતી. બીજીબાજુ યુક્રેનના પડોશી દેશોએ નવા શરણાર્થીઓના આવવાની સંખ્યા ઘટી હોવાનું જણાવ્યું હતું. યુક્રેનમાંથી અત્યાર સુધીમાં ૨૬ લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cSgt9CO
via IFTTT

ટિપ્પણીઓ નથી: