અદાણીના ચાર લાખ કરોડ સહિત રોકાણકારોના 11 લાખ કરોડ સાફ

- હીન્ડેનબર્ગના રિપોર્ટથી અદાણી જૂથની આગેવાની હેઠળ સેન્સેક્સ, નિફ્ટી ત્રણ મહિનાના તળિયે
- અદાણી જૂથને ધિરાણ કરનાર બેન્કિંગ શેરોમાં પણ ભારે વેચવાલી અદાણી વૈશ્વિક ધનકુબેરની યાદીમાં સાતમાં ક્રમે ઉતરી ગયા
અમદાવાદ : છેલ્લા બે સત્રમાં શેરબજારમાં જોવા મળેલી ભારે વેચવાલીએ રોકાણકારોની સંપત્તિ (માર્કેટ કેપિટલાઈઝેશન)માં રૂ.૧૦,૭૩,૯૫૭ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ સંસ્થા હીન્ડેનબર્ગ દ્વારા અદાણી જૂથની કંપનીઓ અને તેની નાણાકીય સ્થિરતા અને ગેરરીતિ અંગે સવાલો ઉઠાવતો એક અહેવાલ બુધવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલના પગલે અદાણી જૂથમાં રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં જ રૂ.૪,૧૭,૮૨૪ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય સ્થિરતા અને દેવા અંગે સવાલ ઉઠાવતા અદાણી જૂથને લોન આપનારી ભારતીય બેંકોના શેરો પણ શુકવારે તૂટી ગયા હતા. તેની સાથે અદાણી જૂથમાં સૌથી વધુ રોકાણ ધરાવતી નાણાકીય સંસ્થા તરીકે જીવન વીમા નિગમ (એલઆઈસી)ના શેરમાં પણ કડાકો બોલી ગયો હતો. શુકવારે બજાર બંધ રહી ત્યારે સેન્સેક્સ ૮૭૪.૧૬ પોઈન્ટ ઘટી ૫૯,૩૩૦ અને નિફ્ટી ૨૮૭.૬૦ પોઈન્ટ ઘટી ૧૭,૬૦૪ પોઈન્ટની ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યા હતા.
ગુરુવારે અમેરીકન શેરબજાર મજબૂત હતા અને શુકવારે એશીયાઇ બજારો પણ વધ્યા હતા પણ ભારતીય બજારમાં ટ્રેડીંગ શરુ થતા જ અદાણી જૂથની કંપનીઓની આગેવાની હેઠળ બજારમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે અદાણી જૂથના કુલ દેવામાં રૂ.૮૧,૨૦૦ કરોડનું ધિરાણ કરનાર ભારતીય બેન્કિંગ શેરો પણ તૂટયા હતા. બેન્કિંગ અને ફાઈનાન્સની સાથે શેરબજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ એક તબક્કે આગલા બંધ કરતા ૧૨૩૦.૩૬ પોઈન્ટ અને નિફ્ટી ૩૯૮ પોઈન્ટ જેટલા તૂટયા હતા. જોકે, છેલ્લી કલાકોમાં નીચલા મથાળે થોડી ખરીદી નીકળતા બજારો ઉછાળા સાથે બંધ આવી હતી.
ભારતીય શેરબજારમાં વ્યાપક ઘટાડા માટે વિદેશી સંસ્થાઓની વેચવાલી પણ એક કારણ છે. ડિસેમ્બર મહિનામાં રૂ.૧૪,૨૩૧ કરોડના વેચાણ બાદ એક્સચેન્જ ઉપર આજે વધુ રૂ.૫,૯૭૭.૮૬ કરોડનું વેચાણ વિદેશી ફંડ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેચવાલીના દબાણથી પણ શેરબજારમાં ઘટાડો વધારે તીવ્ર બન્યો હોય એવું કેટલાક વિશ્લેષકો માને છે.
અદાણી જૂથના શેરોમાં બીજા દિવસે પણ વેચવાલી ચાલુ રહી હતી. આજે અદાણી એન્ટરપ્રાઈસના શેર ૧૮.૫૨ ટકા ઘટી રૂ.૨૭૬૨.૧૫, અદાણી પોર્ટ ૧૬.૦૩ ટકા ઘટી રૂ.૫૯૮.૬૦, અદાણી પાવર પાંચ ટકા ઘટી રૂ.૨૪૮.૦૫, અદાણી ટોટલ ૨૦ ટકા ઘટી રૂ.૨૯૩૪.૫૫, અદાણી ગ્રીન ૨૦ ટકા ઘટી રૂ.૧૪૮૪.૫૦, અદાણી વિલ્માર પાંચ ટકા ૫૧૭.૩૦, અદાણી ટ્રાન્સમીશન ૨૦ ટકા ઘટી રૂ.૨૦૦૯.૭૦, એસીસી સિમેન્ટ ૧૩.૦૪ ટકા ઘટી રૂ.૧૮૮૪.૦૫ અને અંબુજા સિમેન્ટ ૧૭.૧૬ ટકા ઘટી રૂ. ૩૮૧.૧૫ બંધ રહ્યા હતા.
જૂથની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળતા એક જ દિવસમાં પાંચમાં ભાગની સંપત્તિ ધોવાઈ જતા ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા ધનકુબેરની જગ્યાએ હવે સાતમાં ક્રમે આવી ગયા છે. ફોર્બ્સની યાદી અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ શુકવારે બજાર બંધ રહી ત્યારે ૯૬.૬ અબજ ડોલર થઇ ગઈ છે. અગાઉ ૧૧૯.૩ અબજ ડોલર હતી. આમ એક જ દિવસમાં તેમની સંપત્તિમાં ૨૨ અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું છે.
હીન્ડેનબર્ગના રિસર્ચ અનુસાર અદાણી જૂથ દ્વારા કંપનીઓમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને કંપનીની દેવાની સ્થિતિ ઘણી ગંભીર હોવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. અદાણી જૂથ દ્વારા અદાણી એન્ટરપ્રાઈસના પબ્લિક ઇસ્યુ પહેલા જ બહાર આવેલા આ રિસર્ચનું ખંડન કરવામાં આવ્યું છે અને હીન્ડેનબર્ગ સામે કોર્ટમાં કાર્યવાહી કરવાનો વિકલ્પ કંપની વિચારી રહી હોવાનું નિવેદન પણ કરવામાં આવ્યું છે. જોકે, બજારમાં સેન્ટીમેન્ટ ઉપર આ નિવેદનની કોઈ અસર જોવા મળી હતી નહી.
અદાણી જૂથના અંદાજીત રૂપિયા બે લાખ કરોડના કુલ દેવામાં બેંકોનું દેવું રૂ.૮૧,૨૦૦ કરોડ આસપાસ હોવાનો અંદાજ છે. બાકીનું દેવું વિદેશી બજારમાં બોન્ડ થકી ઉભું કરવામાં આવ્યું છે. જે બેંકોનું ધિરાણ અદાણી જૂથમાં છે તેવી બેંકોના શેરમાં પણ આજે તીવ્ર વેચવાલી જોવા મળી હતી. એનએસઈ ઉપર નિફ્ટી બેંક ૧૩૦૨ પોઈન્ટ ઘટી ૪૦,૩૪૫ બંધ આવ્યો હતો. નિફ્ટી સરકારી બેંકોનો ઇન્ડેક્સ પાંચ ટકા તુટયો હતો. બેંક ઓફ બરોડાના શેર ૭.૪૮ ટકા, પંજાબ નેશનલ બેંક ૪.૮૪ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૪.૬૯ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બેંકોમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક બેથી ચાર ટકા ઘટીને બંધ આવ્યા હતા. સેન્સેક્સના ઘટાડામાં બેન્કિંગ શેરોનો ફાળો ૫૦ ટકા કરતા વધારે જોવા મળ્યો હતો.
LICએ અદાણી જૂથના શેરમાં રોકાણમાં રૂ. 18,646 કરોડનો ફટકો
- જૂથની કંપનીઓમાં LIC સૌથી મોટી સંસ્થાકિય રોકાણકાર
અદાણી જૂથની કંપનીઓમાં શેરહોલ્ડર તરીકે પ્રમોટર ફેમીલી (એટલે કે ગૌતમ અદાણી અને તેમના સહયોગી)ઓ પાસે ૭૫ ટકા કે તેના કરતા વધારે શેર છે. આ સિવાય વ્યક્તિગત રોકાણકારો અને અન્યોના શેર છે પણ સંસ્થાકીય રોકાણકાર તરીકે જીવન વીમા નિગમ (એલઆઈસી)નું રોકાણ સૌથી વધુ છે. હીન્ડેનબર્ગના રિસર્ચના બે દિવસના ધોવાણથી એલઆઈસીને સૌથી મોટું નુક્સાન જોવા મળી રહ્યું છે. તા.૨૪ જાન્યુઆરીના એલઆઈસીનું અદાણી જૂથમાં રૂ.૮૧,૨૬૭ કરોડનું રોકાણ હતું જે શુકવારના બંધ ભાવે રૂ.૧૮,૬૪૬ કરોડ ઘટી રૂ.૬૨,૬૨૧ કરોડ થઇ ગયું છે. એલઆઈસીના અદાણી જૂથની કંપનીઓમાં મોટા શેરહોલ્ડીંગના કારણે આજે તેના શેર પણ ૩.૪૫ ટકા ઘટી રૂ.૬૬૫.૫૫ બંધ રહ્યા હતા.
સ્ટેટ બંક પેન્શન ફંડે FPOના રૂ.3276ના ભાવે રોકાણ કર્યું હવે બજાર ભાવ રૂ.2762
- અદાણી એન્ટ.ના ભાવ ઘટતા FPO 0.01 ટકા જ ભરાયો
અદાણી એન્ટરપ્રાઈસ અત્યારે રૂ.૩૨૭૬ના ભાવે શેર ઓફર કરી ફોલોઓન પબ્લિક ઓફર થકી રૂ.૨૦,૦૦૦ કરોડ એકત્ર કરી રહી છે. આજે જ કંપનીનો એફપીઓ ખુલ્યો હતો. બુધવારે એન્કર ઇન્વેસ્ટર થકી રૂ.૬,૦૦૦ કરોડની રકમ રૂ.૩૨૭૬ના ભાવે શેર ઓફર કરી ઉભી કરી હતી. જોકે, એક જ દિવસમાં શેરના બજારભાવમાં જોવા મળી રહેલા કડાકાના કારણે એન્કર ઇન્વેસ્ટર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી પેન્શન ફંડ, એલઆઈસી, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ સહીતના અન્ય ફંડ્સને પણ અત્યારે જંગી ખોટ સહન કરવી પડે એવી સ્થિતિ છે. રિટેલ ઇન્વેસ્ટરને રૂ.૬૪ના ડિસ્કાઉન્ટ સહીત રૂ.૩૨૧૨ના ભાવે શેર મળી રહ્યા છે એટલે તેમને પણ બજાર ભાવથી નુકસાન થઇ રહ્યું છે. શેરનો બજાર ભાવ ઓફર ભાવ કરતા નીચો હોવાથી પ્રથમ દિવસે માત્ર ૦.૦૧ ટકા જ ભરણું ભરાયું હતું, ૪.૫૫ કરોડ શેર સામે ૪.૪૧ લાખ શેરની જ બીડ મળી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lYDo2uz
via IFTTT
ટિપ્પણીઓ નથી: