બોમ્બની અફવાથી જામનગર ઍરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું ઈમર્જન્સી લૅન્ડિંગ


મોસ્કોથી ગોવા જઈ રહેલી ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા સાથે પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાનું નક્કી થતાં જામનગરના એરર્ફોસ બેઝ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરી લેવાયું છે, અને તેમાં બેઠેલા ૨૩૬થી વધુ વિદેશી નાગરિકોને જુદી જુદી ૯ બસો મારફતે તાત્કાલિક અસરથી અન્યત્ર શિફ્ટ કરી દેવાયા છે. જ્યારે પ્લેનને કોર્ડન કરી લઈ બારીકાઈ થી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.કલેકટર-એસપી સહિતના અધિકારીઓ એરફોર્સ સ્ટેશનમાં દોડી ગયા હતા, ઉપરાંત ફાયર-૧૦૮ ની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ પણ એરફોર્સ સ્ટેશન પર તહેનાતમાં  મૂકી દેવામાં આવી છે.

મોસ્કોથી ગોવા જઈ રહેલી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ કે જેમાં બૉમ્બ હોવાની અફવા મળી હતી, અને એરપોર્ટના તંત્ર દ્વારા વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનું નક્કી કર્યું હતું, અને નજીકના એરપોર્ટ તરીકે જામનગરના એરફોર્સ સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી.

અંદાજે રાતે ૯.૦૦ વાગ્યાના સમયે જામનગરના એરફોર્સ બેઝ પર પ્લેનને ઉતારવા માટેનો સંદેશો મોકલવામાં આવ્યો હતો, જેને લઈને સૌપ્રથમ એરફોર્સ ના અધિકારીઓ સહિતનો કાફલો તહેનાત માં ગોઠવાયો હતો.

ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તથા અન્ય અધિકારીઓ તાત્કાલિક ધોરણે જામનગરના એરપોર્ટ સ્ટેશનના એરપોર્ટ બેઝ પર પહોંચી ગયા હતા. 

આ ઉપરાંત જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ, એસઓજી ની ટીમ સહિતની પોલીસ ટુકડીઓ પણ એરપોર્ટ બેઝ પર પહોંચી ગઈ હતી. જયારે ૧૦૮ની અડધો ડઝનથી વધુ એમ્બ્યુલન્સ ને એરફોર્સ બેઇઝમાં પહોંચાડી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની પણ આત્યાધુનિક ફાયર ફાઈટર સાથે ની ટીમ એરપોર્ટ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી.

 ૯.૨૬ વાગ્યા આસપાસ ફ્લાઈટને જામનગરના એરપોર્ટ સ્ટેશનની હવાઈ પટ્ટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લેવાયું હતું. ત્યારબાદ સમગ્ર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તેમાં બેઠેલા પ્રવાસીઓને નીચે ઉતારવાનું શરૂ કરાયું હતું, અને એરફોર્સ તેમજ જામનગરના એરપોર્ટની જુદી જુદી ચાર બસો મારફતે તમામ મુસાફરોને બસમાં બેસાડીને અન્ય ત્રણ વિમાનથી દૂર ખસેડી લેવામાં આવ્યા હતા. તમામ મુસાફરોના સામાનની ચકાસણી કરવામાં આવી હતી. જેના માટે ડોગ સ્કવોર્ડ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ  ની પણ મદદ લેવાઈ હતી. પ્લેન થી તમામ તંત્ર દૂર ખસી ગયું હતું, અને બૉમ્બની અફવાના મામલે બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને એરફોર્સના  કમાન્ડો ની ટીમ ગોઠવાઈ ગઈ હતી.

 જામનગરનું પોલીસ તંત્ર, હોસ્પિટલ નું તંત્ર, ફાયર નું તંત્ર વગેરેને સાબદા રહેવા માટે ની સૂચનાઓ આપી દેવામાં આવી હોવાથી જી. જી. હોસ્પિટલ તથા અન્ય મેડિકલ વિભાગનો સ્ટાફ તહેનાતમાં રહ્યો હતો. જોકે બોમ્બ અંગેની કોઈ ચોક્કસ કડી મળી નથી, પરંતુ સમગ્ર તંત્ર દ્વારા તે દિશામાં કવાયત કરવામાં આવી રહી છે.

 વિદેશી ફ્લાઈટમાં બૉમ્બની અફવા પછી જામનગર શહેરમાંથી ૧૦૮ ની જુદી જુદી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, અને પોલીસ જીપ વગેરેના સાયરનો ગુંજી ઉઠ્યા હતા અને શહેરમાં પણ ભય નો માહોલ સર્જાયો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kHRXvcA
via IFTTT

ટિપ્પણીઓ નથી: