ભારતે મોકલ્યું પાકિસ્તાનને આમંત્રણ, પાકિસ્તાની મંત્રી હિના રબ્બાનીએ ફરી દેખાડ્યા તીખા તેવર

ઈસ્લામાબાદ, તા.26 જાન્યુઆરી-2023, ગુરુવાર

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાને લઈને ચાલી રહી ગરમાગરમી વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે કહ્યું કે, બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી. ગુરુવારે ખારે કહ્યું કે, વર્તમાન સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત સાથે કોઈપણ પ્રકારની બેકચેનલ ચર્ચા થઈ નથી. હિના રબ્બાનીનું આ નિવેદન ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં પાકિસ્તાનને આમંત્રણ અપાયાના એક દિવસ બાદ આવ્યું છે.

ભારતે આપેલા આમંત્રણનો પાકિસ્તાન તરફથી કોઈ જવાબ નહીં

ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી અને મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બાંદિયાલને શાંઘાઈ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ સંમેલન મે મહિનામાં ગોવામાં યોજાવાનું છે. અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશન દ્વારા ભારત દ્વારા મોકલાયેલા આમંત્રણનો હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ કૂટનીતિ નહીં

હિના રબ્બાની ખાને સંસદમાં સેનેટ સત્ર દરમિયાન કહ્યું કે, હું કહેવા માંગુ છું કે, વર્તમાન સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ય દુનિયાને જણાવ્યા વગર કોઈપણ પ્રકારની બેકચેનલ કૂટનીતિ ચાલી રહી નથી. મારું માનવું છે કે, અગાઉના સરકારો વખતે આવું થતું હતું. તમે વાતો કંઈક બીજી કરો છો અને પાછળ કંઈક અન્ય વાતો કો છો - આ કોઈ દેશને શોભતું નથી.

તેમણે આગળ કહ્યું કે, જો બેકચેનલ કૂટનીતિથી કોઈપણ પ્રકારનો ફાયદો થતો હોય, તો જરૂર થવી જોઈએ, પરંતુ હાલ કોઈપણ પ્રકારની બેકચેનલ કૂટનીતિ થઈ રહી નથી. ખારે કહ્યું કે, પાકિસ્તાને હંમેશા શાંતિને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, હાલ સરહદ પાર ભારત સાથેની દુશ્મની એક અભૂતપૂર્વ સ્થિતિમાં છે.

અમારા દેશે 3 યુદ્ધોથી બોધપાઠ મેળવ્યો : શાહબાજ શરીફ

જ્યારે વાત પાકિસ્તાન સાથે સંબંધોની થઈ રહી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ કહ્યું હતું કે, ‘તમે દોસ્ત બદલી શકો છો, પરંતુ પડોશી નહીં’. ભારત હંમેશા પડોશી દેશ પાકિસ્તાન સાથે સારા સંબંધ બનાવવાની પહેલ કરતું રહ્યું છે. જોકે બદલામાં ક્યારેક કારગિલ મળ્યું તો ક્યારેક ઉરી અને પુલવામાં... એક વાર ફરી બંને દેશોની પહેલથી લાગી રહ્યું છે કે, સંબંધો સુધરી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે કહ્યું હતું કે, તેમના દેશે 3 યુદ્ધોથી બોઠપાઠ મેળવ્યો છે અને ભારત સાથે શાંતિથી રહેવા ઈચ્છે છે. શરીફના આ નિવેદનના થોડા દિવસો બાદ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ નવી દિલ્હીથી ઈસ્લામાબાદને મોકલવામાં આવ્યું.

ભારત તરફથી પાકિસ્તાનને મોકલાયું આમંત્રણ

વિદેશ મંત્રી એસ.જયશંકર તરફથી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને બેઠક માટે મેના પહેલા અઠવાડિયામાં ગોવાની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલાયું છે. જો પાકિસ્તાન આમંત્રણનો સ્વીકાર કરશે તો આ મુલાકાત લગભગ 12 વર્ષમાં આ પ્રકારની પ્રથમ મુલાકાત હશે. હિના રબ્બાની ખાર જુલાઈ-2011માં ભારતની મુલાકાત લેનાર છેલ્લી પાકિસ્તાની વિદેશ મંત્રી હતી.

SCO સમિટ 2023માં સામેલ થશે આ દેશો

SCO સમિટમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. આ પ્રકારનું આમંત્રણ મધ્ય એશિયાના દેશોની સાથે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓને પણ મોકલાયું છે. જોકે દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ અત્યાર સુધીના નીચા સ્તરને ધ્યાને રાખી પાકિસ્તાનના વિદેશમંત્રીને ભારત તરફથી મોકલાયેલું આમંત્રણ વિશેષ નોંધપાત્ર બાબત છે.

આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરેન્સ પોલિસી

એક ટોચના અધિકારીએ અગ્રણી મીડિયા જૂથને આ બાબત અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે, આપણી ‘પડોશી પહેલી નીતિ’ને ધ્યાનમાં રાખી ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. ભારત તરફથી સતત એવી સ્થિતિ રહી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ મુદ્દો હોય, તો તે મુદ્દાને આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જોકે તે બાબતોને પણ સ્પષ્ટ કરાઈ છે કે, ભારત રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર સમજુતી કરશે નહીં અને ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડવાના તમામ પ્રયાસોનો સામનો કરવા માટે ભારત મજબૂત અને નિર્ણાયક પગલાં લેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uBqrzXT
via IFTTT

ટિપ્પણીઓ નથી: